1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. રાજકોટ ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 4 જુલાઈ 2022 (11:25 IST)

પોળોના જંગલોમાં હવેથી પેટ્રોલ-ડીઝલની કારો નહીં ચાલે, ડેમ સાઈટ સહિતના વિસ્તારમાં જવા ઈ-રીક્ષા બનશે સહારો

સાબરકાંઠા જિલ્લાના કાશ્મીર ગણાતા વિજયનગરના પોળોના જંગલમાં સહેલાણીઓ વધારો થઈ રહ્યો છે. ઉત્તર ગુજરાતનું એક માત્ર કુદરતી સૌંદર્યની સમૃધ્ધિ ધરાવતું અને ઐતિહાસિક વિરાસત સમા વિસ્તાર અભાપુરમાં હવે ઈ-રીક્ષા થકી પોળોના જંગલમાં પ્રદૂષણ ફેલાતું રોકવા પ્રયાસ કરાયો છે. અહીં પેટ્રોલ-ડીઝલની કારમાં જવા નહીં મળે. તાજેતરમાં જ અહીં ઈ-રીક્ષા પ્રોજેક્ટ શરૂ કરાયો છે. તો કલેક્ટરે પોળો વિસ્તારના શારણેશ્વર મંદિરના ફોરેસ્ટ નાકાથી વણજ ડેમ અને વણજ ડેમથી વિજયનગર તરફ જતાં પ્રથમ ત્રણ રસ્તા સુધીના રોડ ઉપર ચાર પૈડા અને તેથી ભારે વાહનો પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે આ ઈ-રીક્ષા જ એક માત્ર સહારો બનશે.અભાપુર ખાતે ઇ-રીક્ષા લોકાર્પણ સમયે જિલ્લા વિકાસ અધિકારી શાહે જણાવ્યું હતું કે, પોળો સાબરકાંઠા જિલ્લાનું મુખ્ય પર્યટન સ્થળ છે અને વિપુલ કુદરતી સૌંદર્યનો ભંડાર છે. આ વિસ્તારમાં પ્રદૂષણ ના ફેલાય અને તે જોવાનું સ્થાનિકો અને વહિવટી તંત્રની જવાબદારી છે. શુધ્ધ હવા એ દરેક જીવનો અધિકાર છે અને તેનું સંવર્ધન એ આપણા સૌની સહિયારી જવાબદારી બને છે. ઇ-રીક્ષા થકી પર્યાવરણની જાળવણી થાય છે. વાતાવરણ પ્રદૂષણમુક્ત બનશે. આ વિસ્તારના લોકોને રોજગારી મળવાની સાથે બહારથી સહેલ માણવા આવતા લોકોને નવી સવલત મળશે.સાબરકાંઠાના પ્રવાસનધામ પોળો ફોરેસ્ટ ખાતે તેના કુદરતી સૌદર્યને લઇ અનેક લોકો આ કુદરતી સૌદર્યને નિહાળવા તેમજ માણવા અહીં આવતા હોય છે.

પ્રવાસ માટે આવતા લોકો પોતાની સાથે પ્લાસ્ટિકની બેગ તેમજ અન્ય વસ્તુઓનો ઉપયોગ કરતા હોય છે. જેને પગલે કુદરતના ખોળે પ્રદૂષણ જેવી આપત્તિ ઉભી થાય છે. આથી પોળો જંગલ ખાતેના શારણેશ્વર મંદિર પાસે પ્રવાસીઓની સુવિધા વધારવા અને જંગલ વિસ્તારને પોલ્યુશન ફ્રી ઈકો ટુરિઝમ તરીકે વિક્સાવવા માટે જિલ્લા કલેક્ટર હિતેષ કોયાએ 17 જૂને જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં પોળો વિસ્તારના શારણેશ્વર મંદિરના ફોરેસ્ટ નાકાથી વણજ ડેમ અને વણજ ડેમથી વિજયનગર તરફ જતાં પ્રથમ ત્રણ રસ્તા સુધીના રોડ ઉપર ચાર પૈડા અને તેથી ભારે વાહનો પર પ્રતિબંધ મૂક્યો છે. પ્રતિબંધ 16 ઑગસ્ટ સુધી અમલી રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ દંડ સંહિત કલમ 188 હેઠળ દંડ કાર્યવાહી કરાશે.