શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 26 સપ્ટેમ્બર 2018 (15:24 IST)

મોદીના ગુજરાતમાં 10 દિવસમાં 13 સિંહોની મૌત - જાણો શું છે કારણ

ગીરના જંગલમાં હાલમાં બનેલી કેટલીક ઘટનાઓથી લાગી રહ્યું છે કે દુનિયના એક માત્ર એશિયાટિક લાયનના કુદરતી ઘરમાં પણ સિંહો સુરક્ષિત નથી.ગીરમાં ધારી નજીક દલખાણીયા રેન્જમાં 10 દિવસમાં 6 સિંહબાળ સાથે 12 જેટલા સિંહોના મોતથી ખળભળાટ મચી ગયો છે. 
 
આ 12 પૈકી 8 સિંહોનું મોત રોગ અને ઇન્ફેક્શનના કારણે થયું હોવાનું સામે આવ્યું છે જે જોતા જંગલ ખાતું પોતાની ફરજમાં નિષ્ફળ ગયાનું સામે આવી રહ્યું છે.જ્યારે ત્રણ જેટલા સિંહબાળનું મૃત્યુ સિંહોની અંદરોઅંદરની લડાઈમાં થયું છે. 
 
જ્યારે વન વિભાગના જણાવ્યા અનુસાર 5-9 મહિનાના ત્રણ સિંહ બાળનું મોત 18 સપ્ટેમ્બરના રોજ સારવાર દરમિયાન થયું છે.
 
જ્યારે બે અન્ય સિંહબાળ જસાધર એનિમલ કેર સેન્ટર ખાતે ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે તો એક સિંહબાળની સારવાર જુનાગઢની વેટરનિટી હોસ્પિટલ ખાતે થઈ રહી છે. આ ઘટનાના પગલે પર્યાવરણ પ્રેમીઓ અને સિંહ પ્રેમીઓ વચ્ચે પણ દુખની લાગણી પ્રસરી ગઈ છે.વન વિભાગના મંત્રી ગણપત વસાવાએ કહ્યું કે, ‘આટલી મોટી સંખ્યામાં સિંહોના મૃત્યુને લઈને તપાસ કરવાના આદેશ આપ્યા છે. ગાંધીનગરથી એક ખાસ ટીમ અમરેલીમાં તપાસાર્થે જશે. પ્રાથમિક રિપોર્ટ મુજબ 3 સિંહોનું મોત ઇન્ફાઇટમાં થયું છે જે કુદરતી કારણ છે. જ્યારે બાકીના મૃત સિંહનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ તેમના મોત અંગેનું કારણ જાણવા મળશે અને પછી તે બાબતે જરુરી તમામ પ્રકારના પગલા લેવાશે. 
 
મૃત સિંહણની તપાસ કરતા તેના શરીરમાં ચીપ જોવા મળેલી. જેના ઉપરથી જાણવા મળેલ કે આ જ સિંહણ ગયા વર્ષે સપ્ટેમ્બર માસમાં બિમાર હતી. અને તેને સારવાર આપવામાં આવેલ હતી. સ્થાનિક સ્ટાફ દ્વારા પોસ્ટમોર્ટમ તેમજ ઈન્ફેક્શન અથવા તેના કારણોની ચકાસણી અર્થે આગળની કાર્યવાહી હાથ ઉપર ધરવામાં આવેલ છે. જે વિસ્તારમાં ૧૧ સિંહોના મૃત્યુ જોવા મળેલ એ વિસ્તારમાં રવિવારે સ્ટાફ દ્વારા પાંચ થી છ માસનું સિંહબાળ બીમાર અવસ્થામાં જોવામાં આવ્યું. જેને રવિવારે જસાધાર રેસ્ક્યુ સેન્ટર ઉપર લાવીને સારવાર આપવામાં આવી પરંતુ સોમવારે સવારે તેનું સારવાર દરમ્યાન મૃત્યુ થયેલ છે. તેના પોસ્ટમોર્ટમ અને વિસેરાનાં ટીસ્યુ વધારે ચકાસણી અર્થે લેબમાં મોકલવામાં આવી રહ્યા છે.
 
જસાધાર રેન્જમાં 3 સિંહો સારવારમાં હતા જેમાંથી એક સિંહબાળનું મોત નિપજતા હજુ બે સિંહ જસાધાર એનિમલ કેર સેન્ટરમાં સારવારમાં હોવાથી અને તેમની તબિયત નાજુક હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે. ત્યારે વન વિભાગ મગનું નામ મરી પાડતું ન હોય અને કોઈ કર્મચારી કે જવાબદારો સામે પગલાં ન ભરાતા હોય અને આખીય ઘટના પર ઢાક પીછોડો કરી અને સિંહોના મોત ઇનફાઈટમાં ખપાવી દેવામાં વન વિભાગ માહિર રહ્યું છે.