ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ: , સોમવાર, 15 જુલાઈ 2019 (09:30 IST)

અમદાવાદમાં યોજાશે આહા! ઇન્ટરનેશનલ થીયેટર ફેસ્ટિવલ ફૉર ચિલ્ડ્રન

રંગા શંકરાના સહયોગમાં નીકોઈ ફાઉન્ડેશન છેલ્લાં બે વર્ષથી અમદાવાદમાં બાળકો માટેના આહા! ઇન્ટરનેશનલ થીયેટર ફેસ્ટિવલ ફૉર ચિલ્ડ્રનનું આયોજન કરી રહ્યું છે. બાળદર્શકોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા ધરાવતા પ્રોડક્શનને દર્શાવીને આ ફેસ્ટિવલએ અત્યાર સુધીમાં જર્મની, યુ.કે. અને સ્વિત્ઝર્લેન્ડના નાટકો તેમજ સ્થાનિક અને ભારતીય અભિનયો દર્શાવ્યાં છે. આ નાટકોમાં 1 વર્ષના ભૂલકાંથી માંડીને 16 વર્ષના કિશોરો સુધીના વિવિધ વયજૂથના બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો છે!
 
આ વર્ષે આહા! ઇન્ટરનેશનલ થીયેટર ફેસ્ટિવલ ફૉર ચિલ્ડ્રન 14થી 20 જુલાઈ દરમિયાન શ્રી ચીનુભાઈ ઑડિટોરિયમ, એચ. કે. કૉલેજ ખાતે યોજાશે, જેમાં સમગ્ર વિશ્વની કઠપૂતળીઓની કળાને પ્રદર્શિત કરવામાં આવશે. કઠપૂતળીની કળા સામાન્ય રીતે બાળકોનું મનોરંજન માનવામાં આવતું હોવા છતાં હજારો વર્ષોથી તમામ વયના લોકો કઠપૂતળીઓનો આનંદ માણતા આવ્યાં છે. કઠપૂતળીઓની કળાના જાણકાર સ્ટીવ અબ્રામ્સ લખે છે કે, ‘દરેક પદાર્થ પાસે અભિવ્યક્ત કરવા માટે એક વાર્તા છે પરંતુ કઠપૂતળીઓ દુર્લભ શક્તિ ધરાવતા પદાર્થ છે.’ કઠપૂતળીઓ વડે પાત્રો અને વાર્તાઓની પુનર્રચના કરવાથી તે બાળકોને પોતે જે કંઈ શીખ્યા છે અને માહિતી ગ્રહણ કરી છે તેને આત્મસાત કરવામાં અને યાદ રાખવામાં મદદરૂપ થાય છે, જેથી તેઓ પોતાના દિમાગ અને દિલનો ઉપયોગ કરી વાર્તાઓને ફરીથી કહી શકે. કઠપૂતળીઓ વિચારો, માહિતી, વાર્તાઓ, પાત્રો, સાહિત્ય અને ઐતિહાસિક અને જીવન સંબંધિત પરિસ્થિતિઓ સાથે ભાવનાત્મક તેમજ જ્ઞાનાત્મક જોડાણ સાધે છે. આ અભિનયો ભારત, સ્વિત્ઝર્લેન્ડ, પેરુ, યુ.કે., યુ.એસ.એ. અને જર્મનીના છે.
 
વિચારોત્તેજક પ્રોડક્શન્સ લાવીને, શ્રેષ્ઠ ગુણવત્તાની કાર્યશાળાઓ યોજીને, સ્થાનિક કલાકારોને સહાયરૂપ થઇને અને સમુદાયના સભ્યો અને વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા કલાકારો સાથે સંલગ્ન કરવા માટે મંચ પૂરું પાડીને નીકોઈનો હેતુ શહેરમાં વ્યાપ્ત સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક વિભાજનોમાં કલા અને સંસ્કૃતિની પહોંચને વિસ્તૃત કરવાનો છે.