1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 23 જાન્યુઆરી 2021 (13:26 IST)

અસદુદ્દીન ઓવૈસીની AIMIM પાર્ટીનો ગુજરાતમાં સત્તાવાર પ્રવેશ, પતંગના નિશાનથી રાજ્યમાં તમામ ચૂંટણી લડશે

ગુજરાતમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ મુસલિમીન (AIMIM)ના ગુજરાત પ્રમુખ તરીકે કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય સાબીર કાબલીવાલાની પસંદગી કરવામાં આવી છે. હવે રાજ્યમાં ઓવૈસીની પાર્ટીના પ્રવેશની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.ઓવૈસીની પાર્ટી AIMIM રાજ્યમાં છોટુ વસાવાની બીટીપી સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડશે.

આ અંગે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સાબિર કાબલીવાલાએ જણાવ્યું હતું કે હાલની ભાજપ સરકારે મુસ્લિમ,દલિત,આદિવાસી,ગરીબ અને પછાત વિસ્તારોના વિકાસની ગંભીર અવગણના કરી છે. જેના કારણે હજી પણ લોકો મુળભૂત સુવિધાઓથી વંચિત છે. બીજી તરફ કોંગ્રેસ પાર્ટી સત્તામાં હતી ત્યારે સમાજના નબળા વર્ગોના ઉત્થાનમાં નિષ્ફળ રહી હતી. તે ઉપરાંત વિરોધ પક્ષમાં પણ રહીને કોંગ્રેસ જનતાના મુદ્દાઓ ઉઠાવવામાં નિષ્ફળ રહી છે. વર્તમાન સ્થિતિને જોતાં ગુજરાતની જનતાને મજબૂત નેતૃત્વ અને વિકલ્પની જરૂર છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અમારી AIMIM પાર્ટી આગામી સમયમાં યોજાનારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓમાં ઓછામાં ઓછા 15 વોર્ડ પર તો ભરુચમાં ધારાસભ્ય છોટુ વસાવાની BTP પાર્ટી સાથે ગઠબંધનમાં સીટ શેરિંગના ધોરણે ચૂંટણીઓમાં ઝંપલાવશે. આ સાથે પાર્ટીના ચીફ ઓવૈસી પણ અમદાવાદ અને ભરુચમાં સભાઓ કરશે તેવી શક્યતાઓ છે. પાર્ટીના સ્ટેટ જનરલ સેક્રેટરી હમિદભાઈ ભટ્ટીએ જણાવ્યું હતું કે અમે આજે મેમ્બરશીપ ડ્રાઈવ અંતર્ગત ફોન નંબર જાહેર કર્યો છે. તેમજ ચૂંટણી પૂર્ણ થયાં બાદ સંગઠનના માળખાની જાહેરાત કરવામાં આવશે. હાલ અમારુ ધ્યાન અમદાવાદ અને ભરૂચમાં યોજાનારી ચૂંટણીઓ ઉપર છે. જે અંતર્ગત અમારી પાર્ટી વતી ઉમેદવારી કરવા ઈચ્છતા ઉમેદવારોના બાયોડેટા જોયા બાદ તેમની સાથે વ્યક્તિગત મુલાકાતો યોજવામાં આવી છે. આ ચૂંટણીઓમાં અમે સ્થાનિક મુદ્દાઓના નિરાકરણ માટે કટિબદ્ધતા સાથે જનતાની વચ્ચે જઈશું.