શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 23 એપ્રિલ 2022 (09:39 IST)

કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની નારાજગી વચ્ચે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અચાનક દિલ્હી પહોંચ્યા

naresh patel
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. ત્યાં જ રાજકારણમાં વિવિધ ઉથલપાથલની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે કાગવડ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અચાનક દિલ્હી પહોંચ્યા છે. તેઓ આજે કોંગ્રેસના અગ્રણી નેતાઓ સાથે મહત્ત્વપૂર્ણ બેઠક કરવાના છે. આ ઉપરાંત પ્રશાંત કિશોર અંગે કોંગ્રેસના નેતાઓમાં દુવિધા પ્રવર્તતી હોવા છતાં તેઓ કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા છે.

ગુજરાતમાં ડિસેમ્બર મહિના સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. એવી પણ ચર્ચા ચાલી રહી છે કે આ વર્ષે ચૂંટણી વહેલી યોજાઈ શકે છે. હાલમાં જ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાઈ શકે છે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. આ વચ્ચે હાલ પ્રશાંત કિશોરની ટીમે થોડા દિવસો પહેલાં જ ગુજરાતમાં ધામા નાખ્યાં હતા. પ્રશાંત કિશોરની ટીમ એપ્રિલના પહેલા અઠવાડિયાથી ગુજરાતમાં પહોંચી હતી.ગત વર્ષે પ્રશાંત કિશોરે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. એ બાદ તેઓ કોંગ્રેસમાં જોડાય રહ્યા છે એવી શક્યતાએ જોર પકડ્યું હતું. આ ઉપરાંત એવી પણ વાત સામે આવી છે કે પ્રશાંત કિશોરને કોંગ્રેસમાં કોઈ મોટું પદ આપવામાં આવી શકે છે.

પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસની સ્થિતિ દયનીય થઈ ગઈ છે. તો 2024ની લોકસભા ચૂંટણીમાં PM મોદીને ઘેરવા સ્થાનિક પક્ષોની સાથે પ્રશાંત કિશોર એક ચક્રવ્યૂહ બનાવવામાં પણ વ્યસ્ત છે.2022ની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધી રહેશે. જોકે પ્રશાંત કિશોર અંગે હજુ સુધી કોઇ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ કોંગ્રેસનાં જ સૂત્રોના જણાવ્યા મુજબ, ગુજરાત કોંગ્રેસનું સુકાન રણનીતિકાર પ્રશાંત કિશોરને સોંપી કોંગ્રેસ હાઈકમાન્ડ નવી ગેમ ખેલવા તૈયાર છે.