1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By વૃષીકા ભાવસાર|
Last Modified: શનિવાર, 8 ઑક્ટોબર 2022 (11:40 IST)

Gujarat Poster War ગુજરાતમાં કેજરીવાલના મુસ્લિમ પોશાક સાથેનાં બેનરો લાગ્યાં

postar war
દિલ્હીની AAP સરકારના મંત્રી રાજેન્દ્ર પાલે શુક્રવારે ધર્મપરિવર્તન અંગેના વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ ભાજપ દ્વારા તેમનાં આ નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે. આ મુદ્દે ગઈકાલે રાજકોટમાં મંત્રી અરવિંદ રૈયાણીએ પ્રેસ-કોન્ફરન્સ યોજી આ ઘટનાને નિંદનીય ગણાવી હતી. ત્યારે આજે અમદાવાદ, સુરત અને રાજકોટમાં ચૂંટણી પહેલાં પોસ્ટર વોર શરૂ થયું હોય એવાં દૃશ્યો સામે આવ્યાં છે. 'હું ઈશ્વરને માનીશ નહીં' તેવા લખાણ સાથે કેજરીવાલના મુસ્લિમ પોશાક સાથેનાં બેનર લગાવવામાં આવ્યાં છે. જોકે આ બેનર કોણે લગાવ્યાં એ અંગેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, પણ ચૂંટણી સમયે આ પ્રકારનાં બેનર લાગતાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
postar war

અમદાવાદ, સુરત અને રાજકોટમાં લાગેલાં બેનરમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની મુસ્લિમ પોશાક અને ટોપી સાથેની તસવીર બેનરમાં લગાવવામાં આવી છે, જેમાં 'હું બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, રામ, કૃષ્ણને ઈશ્વર માનીશ નહિ, આ છે આમ આદમી પાર્ટીના શબ્દો અને સંસ્કાર' એવું બેનરમાં લખવામાં આવ્યું છે. આમ, ગુજરાતમાં એક તરફ આપના જોરશોરના ચૂંટણી પ્રચાર વચ્ચે બેનર-પોસ્ટર યુદ્ધ શરૂ થયું છે.ગઈકાલે મંત્રી અરવિંદ રૈયાણીએ પ્રેસ-કોન્ફરન્સ યોજી AAP પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે રાજેન્દ્ર પાલે જાહેર મંચ પરથી ધર્મપરિવર્તનની વાત કરી છે. આદિકાળથી આપણે હિન્દુ ધર્મ સાથે જોડાયેલા છીએ. પછી ભગવાન બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, કૃષ્ણ, રામ સાથે જોડાયેલા છીએ. ક્યાંક ને ક્યાંક લોકોને ફ્રી આપવાનું, ધર્મપરિવર્તન કરાવવાનું બંધ કરો. આ દેશના લોકોને કંઈક જુદું બતાવીને શું સાબિત કરવા માગો છો. ભગવાન રામની કથા હોય કે કૃષ્ણની ભાગવત હોય, એનો વિરોધ કરે છે. આવા નિવેદન બદલ તેમની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ.
postar war