1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 8 એપ્રિલ 2020 (13:41 IST)

ગુજરાતમાં 24 કલાકમાં 932 ટેસ્ટ કરાયા, જેમાંથી 687 નેગેટિવ, 14 પોઝિટિવ

રાજ્યમાં કોરોના હવે બેકાબૂ બની રહ્યો છે. આજે વધુ ચાર પોઝિટિવ કેસ સામે આવતા કોરોનાના કુલ 179 દર્દીઓ થયા છે. જ્યારે જામનગરમાં 14 માસના બાળકનું કોરોનાથી મોત નીપજતાં કુલ મૃત્યાંક 16એ પહોંચ્યો છે. કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવે જણાવ્યું કે, ગઇકાલ સાંજથી અત્યારસુધીમાં 4 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં ભાવનગરમાં બે, સુરત અને વડોદરામાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયા છે અને બે દર્દીના મોત નીપજ્યાં છે. કુલ 179 પોઝિટિવ કેસમાંથી 138 એક્ટિવ દર્દી, 136 સ્ટેબલ, 2 વેન્ટિલેટર અને 25ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 24 કલાકમાં 932 ટેસ્ટ કર્યાં છે, જેમાં 14 પોઝિટિવ, 687 નેગેટિવ અને 235 પેન્ડિંગ છે. આજે પણ આ રીતે ટેસ્ટ કરવામાં આવશે. 179 પોઝિટિવ કેસમાંથી 33 વિદેશ, 32 આંતરરાજ્ય અને 114 લોકલ ટ્રાન્સમિશનના કેસ છે. લોકલ ટ્રાન્સમિશનના કેસો વધી રહ્યાં છે ત્યારે આવા કેસો વધે નહીં એ માટે હોટસ્પોટ વિસ્તારનો સંપૂર્ણ સીલ કરી દેવાયા છે.ગુજરાત સરકારે પ્રથમ તબક્કામાં આવી 40 હજાર કિટ્સ કેન્દ્ર સરકાર પાસેથી મંગાવી છે. આવાં રેપિડ ટેસ્ટમાં લોહીના પરીક્ષણથી વ્યક્તિના શરીરમાં ઉત્પન્ન થયેલાં એન્ટિબોડી એટલે કે બહારથી આવેલાં સજીવ તત્ત્વોની હાજરીથી કોરોનાનો ચેપ છે કે નહીં તે જણાય છે. હાલ જ્યાં ક્લસ્ટર કન્ટેનમેન્ટ કાર્યક્રમ ચાલી રહ્યો છે તેવાં હોટસ્પોટ વિસ્તારોમાં આ ટેસ્ટ દ્વારા પોઝિટિવ આવેલા દર્દીઓના સંપર્કમાં આવેલાં લોકોનું મોટાપાયે પરીક્ષણ ચાલી રહ્યું છે.