શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 11 જાન્યુઆરી 2021 (16:35 IST)

આજે સાંજે 5 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર વેક્સિન આવવાની શક્યતાઓ

સમગ્ર દેશમાં આગામી 16 જાન્યુઆરી 2021થી કોરોના વેક્સિન અભિયાન શરૂ થઇ રહ્યું છે ત્યારે આ વેક્સિનેશનના વિતરણ માટે ગુજરાત સરકાર તમામ રીતે સજ્જ છે. ત્યારે આજે સાંજે પાંચ વાગે અમદાવાદ એરપોર્ટ પર વેક્સિન આવશે. અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર સ્ટોરેજ ખાતે વેક્સિનને લઈ જવામાં આવશે. વેક્સિનને ગાંધીનગર લઈ જવા માટે ગ્રીન કોરિડોર કરવામાં આવશે. એરપોર્ટથી ગાંધીનગરના સમગ્ર રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. DCP,ACP,PI,PSI સહિતના પોલીસ કર્મી આખા રૂટ પર તહેનાત રહેશે. ગાંધીનગરમાં સ્ટોરેજ રૂમ પર પણ પોલીસનો રાઉન્ડ ધ ક્લોક પોલીસ બંદોબસ્ત રહેશે. તાજેતરમાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, કોરોના મહામારી સામે ના જંગમાં ભારત દુનિયાનું સૌથી મોટું વેક્સિનેશન કરવા જઇ રહ્યું છે .ગુજરાતમાં આપણે ઝડપથી ડેટાબેઝ તૈયાર કરવાનું કાર્ય પૂર્ણ કરી લીધું છે. ચાર લાખથી વધુ હેલ્થકેર વર્કર્સ, 6 લાખથી વધુ ફ્રન્ટલાઇન વર્કર્સ જેમાં પોલીસ, સફાઇ કર્મચારી અને કોવિડની ડ્યુટીમાં ડાયરેક્ટ ફરજ બજાવતા કર્મચારીઓનો સમાવેશ થાય છે એમ કુલ 11 લાખથી વધુ કોવિડ કર્મચારીઓને વેક્સિનનો ડોઝ પહેલા અપાશે. મુખ્યમંત્રી રૂપાણીએ જે બે વેક્સિનની મંજૂરી આપવામાં આવી છે તે મેડ ઇન ઇન્ડિયા છે તેનું ગૌરવ કરતા કહ્યું કે આત્મનિર્ભર ભારતના સ્વપ્નને વાસ્તવિકતામાં બદલવા માટે આપણા વૈજ્ઞાનિકોની પ્રબળ ઇચ્છા શક્તિ સાકાર થઇ છે. એટલું જ નહીં, આપણા વૈજ્ઞાનિકાએ અથાક પરિશ્રમથી વેક્સિનના નિર્માણમાં સફળતા મેળવી છે તે માટે મુખ્યમંત્રીએ અભિનંદન પણ આપ્યા હતા.