શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 16 ફેબ્રુઆરી 2021 (11:20 IST)

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની ભાજપમાંથી અને બહેનનો કોંગ્રેસમાંથી પ્રચાર

મૂળ ગામ જામનગર હોવાથી ત્યાં મેં પ્રચાર કરવાનું પસંદ કર્યુ-નયનાબા 
ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે કાયમી જોડાયેલી રહીશ-રીવાબા
 
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પડઘમ જોરશોરથી થઇ ગયા છે. આ ચૂંટણીમાં આખુ ઘર અને પરિવાર પ્રચારમાં લાગી ગયા હોય એવા અનેક કિસ્સા જોવા મળી રહ્યાં છે. પરંતુ એક જ પરિવારમાં જાણિતી બે મહિલાઓ અલગ અલગ પક્ષ માટે પ્રચાર કરે એવું માત્ર રાજકોટ- સૌરાષ્ટ્રમાં જોવા મળી રહ્યું છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા ભાજપમાંથી પ્રચાર કરે છે તો બહેન નયનાબા જાડેજા સામાન્ય લોકો વચ્ચે શેરી-ગલીઓમાં પ્રચાર કરી રહી છે. પોલિટિક્સ..પોલિટિક્સની જગ્યાએ અને પારિવારીક સંબંધ પરિવારની 
જગ્યાએ હોય છે.
 
 નયનાબા જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ હું જામનગરમાં કોગ્રેસનો પ્રચાર કરી રહી છું. મૂળ ગામ જામનગર હોવાથી ત્યાં પ્રચાર કરવાનું પસંદ કર્યુ છે. જરૂર પડશે તો હું રાજકોટમાં પણ પ્રચાર કરીશ. રાજકારણ.. રાજકારણની જગ્યાએ હોય, પક્ષના હિતમાં કામ કરવાનું હોય છે. પછી અમે નણંદ-ભાભી મળીએ ત્યારે રાજકારણની ચર્ચા પણ કરતા નથી.  
 
પાર્ટી માટે કામ કરી રહી છું-રીવાબા
 
જો કે આ મુદ્દે રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાએ મૌન સેવ્યું હતું અને પાર્ટી માટે કામ કરી રહી છું તેવું જણાવ્યું હતું. તાજેતરમાં જ કોંગ્રેસના ગઢ ગણાતા રાજકોટના વોર્ડ નં.3માં ભાજપ દ્વારા ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું હતું. જેમાં રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, ભાજપની વિચારધારા સાથે છું એટલે ભાઇને સમર્થન કરવા આવી છું. આ સંમેલનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના કોર્પોરેટરે કામ કર્યા નથી. ભાજપે 85 લાખની ગ્રાન્ટ વાપરી છે. આ વોર્ડમાં કોંગ્રેસના ગાયત્રીબા વાઘેલા સામે ભાજપના નરેન્દ્રસિંહ જાડેજાને મેદાને ઉતાર્યા છે. ક્ષત્રિય સમાજના સંમેલનમાં રીવાબા જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ક્ષત્રિય સમાજના મહા સંમેલનનું આયોજન અમે કર્યુ છે. હું ક્ષત્રિય સમાજમાંથી આવું છું ત્યારે મતદારોને મારીલ એટલી અપીલ છે કે આપણા વોર્ડ નં.3ના ભાજપના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજા અને બીજા ત્રણ સભ્યને પણ મત આપી ભાજપને વિજયી બનાવીએ. આ પ્રચાર ન કહી શકાય પરંતુ અમારી ભાઇ-બહેન તરીકેની લાગણી છે. આથી હું મારા ભાઇના સમર્થનમાં આવી છું. હું ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે કાયમી જોડાયેલી રહીશ.