મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 6 જાન્યુઆરી 2020 (18:43 IST)

ગુજરાતમાં દર વર્ષે સરેરાશ 5000 બાળકો મૃત્યુ પામે છે: અમિત ચાવડા

અડધી પીચે રમવાની અને 20-20ના મારફાડ બેટ્સમેન હોવાની બડાશો હાંકતા વિજય રૂપાણી બાળકોના મૃત્યુ પર પત્રકારોના સવાલના જવાબ આપ્યા વગર ભાગ્યા: અમિત ચાવડા વિજય રૂપાણીએ બાળ મૃત્યુ અંગે બીજા રાજ્યોને સલાહ આપવાના બદલે પોતાના રાજ્યના મરતા બાળકોને બચાવી લેવા જોઈએ - અમિત ચાવડા
 
સરકારી ખર્ચે મોટા મોટા શામિયાના બાંધી સરકારી તંત્રનો દુરુપયોગ કરી ભાડાની ભીડ આગળ ભાષણોમાં મોટી મોટી ડંફાસો મારવી એ અલગ વાત છે અને સાચા અર્થમાં સુશાસનને લોકો સુધી પહોચાડવું એ અલગ વાત છે. ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં જે રીતે બાળકોના મૃત્યુ થઇ રહ્યા છે તે ખુબ જ ચિંતાનો વિષય છે અને નિંદનીય છે એમ ​ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું. 
 
પ્રાથમિક મળતી માહિતી મુજબ માત્ર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સરેરાશ ૪૫૦ બાળકો સારવાર માટે દાખલ થાય છે તેમાંથી દર મહીને આશરે ૮૫-૧૦૦ બાળકોના સરેરાશમાં મૃત્યુ પામે છે જે સરેરાશ ખુબ જ ઉંચો છે એજ રીતે માત્ર રાજકોટમાં છેલા મહિનામાં ૧૧૨ બાળકો મૃત્યુ પામ્યા છે. આમ જોવા જઈએ તો છેલ્લા વર્ષે ૧૨૩૫ બાળકોના મૃત્યુ માત્ર રાજકોટ શેહેરમાં જ થયા છે એટલે કે ગુજરાતની મોટી સરકારી સિવિલ હોસ્પિટલોમાં વર્ષે ૨5000 કરતા પણ વધુ બાળકો મૃત્યુ પામે છે.
 
​ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં આરોગ્ય તંત્રની બેદરકારી અને ગુજરાત સરકારની લોકોની સુખાકારી અને આરોગ્ય અંગે સરકારે દુર્લક્ષ સેવ્યું છે અને માત્ર પોતાની પાર્ટીનો પ્રચાર અને ચુંટણીઓ સિવાય ક્યાય ધ્યાન આપ્યું નથી. ભારત સરકારના તાજેતર માં જ પ્રસિદ્ધ થયેલ નીતિ આયોગના અહેવાલ પ્રમાણે ગુજરાતમાં 1 લાખ કરતા વધુ તબીબોની જરૂરિયાતની સામે ગુજરાતમાં માત્ર 66944 ડોકટર છે, તબીબી સેવાઓમાં અને આરોગ્યની સુવિધાઓમાં ગુજરાતનો દેશમાં 7મો ક્રમઃ આવે છે જે ગુજરાત મોડેલની પોલ ખોલે છે. 
 
સમગ્ર દેશમાં 1.73 લાખ તબીબોની નિમણુક સાથે સમગ્ર દેશમાં મહારાષ્ટ્ર નં-1 પર છે. સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુઠ્ઠું ગુજરાત મોડેલ વેચીને દેશનો સિંહાસન પ્રાપ્ત કર્યું છે પરંતુ ઘર આંગણે સ્થિતિ જુદી છે. ગુજરાતમાં સરકારી આરોગ્ય સેવામાં ડોક્ટર્સની તંગીના કારણે ગ્રામ્ય આરોગ્ય પર વિપરિત અસર થઇ છે, પરિણામે ગરીબ પરિવારોને સારવાર મળી શકતી નથી. ગુજરાતના આર્થિક રીતે સુખી લોકો તો ખાનગી દવાખાનોઓમાં સારવાર મેળવી લે છે. પરંતુ ગરીબ લોકો ફરજીયાત સરકારી દવાખાનામાં સારવાર લેવા મજબૂર છે એટલે ભાજપની આ સરકારમાં ગરીબો મુશ્કેલી વેઠી રહ્યા છે. 
 
​ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું છે કે મહારાષ્ટ્રમાં દેશના કુલ ડોક્ટરોની સરખામણીએ 11.68 ટકા ડોક્ટરો છે. દેશના ટોચના ચાર રાજ્યોમાં ડોક્ટરોની સંખ્યા વધુ હોવાનું મુખ્ય કારણ જે તે રાજ્યમાં સરકારી મેડીકલ કોલેજનું પ્રમાણ વધારે છે જ્યારે ખાનગી મેડીકલ કોલેજોનું પ્રમાણ ઓછું છે.
 
ગુજરાતમાં રાજ્ય મેડીકલ કાઉન્સિલના આંકડા પ્રમાણે રજીસ્ટર્ડ થયેલા ડોક્ટરોની સંખ્યા 66944 છે, જે દેશના કુલ ડોક્ટરોની સરખામણીએ માત્ર 5.77 ટકા છે. ગુજરાતમાં હાલમાં જરૂરિયાત પ્રમાણે 1000ની વસતીએ એક ડોક્ટર હોવો જોઇએ પરંતુ તે પ્રમાણ જળવાયું નથી. મોટાભાગના ડોક્ટરો શહેરોમાં સેવા આપે છે તેથી ગ્રામીણ ગુજરાતમાં ડોક્ટરોની ભયાનક તંગી હોવાથી ગ્રામ્ય વિસ્તારના લોકોને સારવાર માટે ફરજીયાત શહેરોમાં આવવું પડે છે. 
 
રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં ડોક્ટરો ઉપરાંત અન્ય મેડીકલ સ્ટાફની પણ મોટી અછત છે. રાજ્યના આરોગ્ય કેન્દ્રોમાં 2287 જેટલી નર્સની જગ્યા ખાલી છે. 1398 પુરૂષ હેલ્થવર્કર અને 623 સહાયક મહિલા હેલ્થ વર્કરની જગ્યા ખાલી પડી છે. મહત્વની સુપર સ્પેશ્યાલિસ્ટ નિષ્ણાંતોની સેવાઓ માટે 1452 પૈકી 1059 સ્પેશ્યાલિસ્ટની જગ્યા ખાલી છે. રાજ્ય સરકારે સરકારી ખર્ચે ઉત્સવોને મેળાવડાના તાયફાઓ બંધ કરી તાત્કાલિક અસરથી રાજ્યની આરોગ્ય સેવા ઉપર ધ્યાન આપવું જોઈએ.
 
​ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું છે કે નવજાત મૃત્યુ દર વધુ હોવાના મૂળમાં મહિલાઓ અને બાળકોમાં કુપોષણ છે. વિશ્વના બધા દેશોની સરખામણીમાં ભારત અને ભારત દેશ ની સરખામણીમાં ગુજરાત સૌથી વધુ કુપોષિત મહિલાઓ અને બાળકોનું દર ધરાવે છે. દર વર્ષે તાજા જન્મેલા ૧૦૦ બાળકો માંથી ૪૫ બાળકો સરેરાશ મૃત્યુ પામે છે. આ સામે કુપોષણ સામે લડવા માટે અનેક યોજનાઓ સરકારમાં અમલમાં છે. ગુજરાતમાં હાલ કુપોષણ સામે લડવા મહિલા અને બાળ કલ્યાણ વિભાગ (ICDS) તથા આંગણવાડીઓ આશાવર્કર બેહેનો તથા તેડાઘર બેહેનો વગેરે પુરતી સંખ્યા માં નથી.
 
ગુજરાતમાં હાલની જરૂરિયાત પ્રમાણે ૭૫૦૦૦ની આસપાસ આંગણવાડી હોવી જોઈએ જેની સામે માત્ર ૬૦૦૦૦ આંગણવાડી કાર્યરત છે. કુપોષણ સામેની લડતમાં સરકારની સંકલિત બાળ વિકાસ યોજના, માધ્યાયન ભોજન યોજના, મિશન બલમ સુખમ યોજના, મમતા ઘર, મમતા સખી, મમતા તરુની, મમતા ડોલી, માતા યશોદા એવોર્ડ, બાળ સખા યોજના જેવી અનેક યોજનાઓ સરકારમાં છે. પરંતુ સરકાર તેના અમલીકરણમાં સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે અને પ્રજાના પરસેવાની કમાણી પોતાના પ્રચાર પ્રસારમાં ઉડાડી દે છે અને ગુજરાતની મહિલા અને બાળક ઠેરના ઠેર છે. વિધાનસભામાં રજુ થયેલા છેલ્લા અહેવાલ અનુસાર ગુજરાતમાં 1,૪૧,૪૧૯ મહિલાઓ, ,બાળકો કુપોષિત છે અને આ કુપોષિત મહિલાઓ જ નબળા બાળકને, ઓછા વજન વાળા બાળકને અથવા અધૂરા મહીને જન્મ આપે છે જેથી નવજાત શિશુ ટૂંકા સમયમાં મૃત્યુને ભેટે છે.
 
ભૂતકાળમાં જુનાગઢમાં ગુજરાત સરકારની અક્ષમ્ય ભૂલની કારણે ૨૩ જેટલા થેલેસેમિયાના રોગ થી પીડાતા બાળકોને HIV યુક્ત લોહી ચડાવી ગંભીર ગુનાહિત બેદરકારી સામે આવી હતી અને ૨૩ કુમળા બાળકો HIV ગ્રસ્ત બન્યા હતા. એજ રીતે વડોદરામાં પણ ડોકટરોની ભૂલના કારણે હિપેટાઈટીસના રોગથી પીડાતા બાળકોને બ્લડ બેંકમાંથી આયેલું HIV યુક્ત લોહી ચડાવી દીધું હતું. આ જ રીતે અમદાવાદમાં પણ સરકારી નગરી હોસ્પિટલમાં અનેક લોકોએ તંત્રની ભૂલના કારણે પોતાની દિવ્ય દ્રષ્ટી ગુમાંવીં દીધી હતી.
 
ગુજરાત સરકાર કોંગ્રેસના સમયમાં બનાવેલા સરકારી દવાખાના જેવા કે ગામડામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) - સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) તથા તાલુકે તાલુકે સિવિલ હોસ્પિટલ, જીલ્લા મથકે સિવિલ હોસ્પિટલ, મોટા શહેરોમાં સિવિલ હોસ્પિટલ, બનાવી ગરીબ દર્દીઓને સરકારી રાહે નિશુલ્ક સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરી હતી. તેના માળખાને તોડી નાખી આ સરકારે મા કાર્ડ અને આયુષ્માન યોજનાઓ કરી ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવાનું કામ કર્યું છે તાજેતર માં જ આયુષ્માન કાર્ડનું કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે એટલે ગુજરાત  સરકારે તાત્કાલિક ચેતી રહી ને સરકારી આરોગ્યની સેવાઓ ગુજરાતની ગરીબ જનતાને પુરીં પડવી જોઈએ.