શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 30 ડિસેમ્બર 2022 (14:46 IST)

પાવાગઢ મંદિર અને અંબાજીમાં ગબ્બર પર ભક્તોએ શાંતિ પાઠ કરીને હીરાબાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

modi mother
PM મોદીની માતા હીરાબાનું શતાયુ વર્ષે નિધન થયું છે. હીરાબાના નિધનને પગલે સમગ્ર દેશના દિગ્ગજ નેતાઓ અને જાણીતી હસ્તીઓેએ શોક વ્યક્ત કર્યો છે. ગુજરાતમાં પણ ઠેર ઠેર હીરાબાના નીધનને લઈને ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે. ત્યારે તેમના વતન વડનગરમાં પણ લોકો શોકાતુર જોવા મળ્યાં છે. જ્યારે એશિયાના સૌથી મોટા માર્કેટ યાર્ડમાં પણ વેપારીઓએ આજે કામકાજ બંધ રાખીને શોક પાળ્યો છે. બીજી બાજુ પાવાગઢ અને અંબાજી મંદિરમાં પણ ભક્તો દ્વારા માં જગતજનની સમક્ષ શાંતિ પાઠ કરવામાં આવ્યા હતાં અને હીરાબાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.પાવાગઢ મંદિર ટ્રસ્ટ પરિવાર અને અંબાજીમાં ગબ્બર ખાતે મહંત અને ભક્તો દ્વારા માં જગતજનની સમક્ષ શાંતિ પાઠ કરવામાં આવ્યો હતો. ત્યાં ભક્તો દ્વારા માતાજી સમક્ષ હીરાબાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

મોરારી બાપુએ પણ હીરાબાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે શ્રદ્ધાંજલિ પાઠવતા કહ્યું હતું કે, પૂજ્ય હીરાબાના નિર્વાણના સમાચાર મળ્યા. નરેન્દ્રભાઈ આપના જેવા સપૂતને રાષ્ટ્ર અને દુનિયાની સેવા કરવા સમર્પિત કરનાર માતાની વિદાયથી કોને પીડાના થાય ? પૂજ્ય માના નિર્વાણને મારા પ્રણામ. એક સાધુ તરીકે હૃદયના ભીના ભાવ સાથે શ્રદ્ધાંજલિ અર્પુ છું.ઉત્તર ગુજરાતના ઊંઝાના વેપારીઓએ માર્કેટ યાર્ડમાં આજે કામકાજ બંધ રાખ્યું છે. માર્કેટમાં શોક જાહેર કરતાં યાર્ડની તમામ પેઢીઓ બંધ રહેવા પામી છે. તમામ વેપારીઓ, ખેડૂતો અને યાર્ડ દ્વારા વડાપ્રધાનના માતા હીરાબાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. બીજી બાજુ અંબાજી મંદિરમાં પણ હીરાબાના નીધનને પગલે શાંતિ પાઠ કરવામાં આવ્યા હતાં. PM મોદીના વતન વડનગરમાં પણ વેપારીઓએ આજે સ્વયંભૂ બંધ પાળ્યો હતો. વડનગરના વેપારી એસોસિએશને સ્વયંભૂ જ બંધ પાળીને શ્રદ્ધાજલી આપી છે. હીરાબાના અવસાન બાદ વડનગરના લોકોમાં પણ શોકની લાગણી છે. વેપારીઓએ આજે સવારે જ જાહેરાત કરી હતી કે, વડાપ્રધાનના માતૃશ્રીનું નિધન થવાથી શહેરના તમામ વેપારીઓ શુક્ર, શનિ અને રવિવારે બંધ પાળશે. નગરના સર્વે નાગરીકો આ દુઃખદ પ્રસંગે ઘેરા શોક અને દુઃખની લાગણી અનુભવે છે.