1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રાજકોટ , મંગળવાર, 28 મે 2024 (12:57 IST)

રાજકોટની ઘટનામાં ઉચ્ચ અધિકારીઓ સામે FIR દાખલ કરોઃ શક્તિસિંહ ગોહિલની માંગ

shakti singh gohil
shakti singh gohil
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે રાજકોટના ગેમ ઝોનમાં આગ લાગવાના કારણે હાલતો 30 વ્યક્તિએ જાન ગુમાવ્યા છે પણ સાચો આંકડો બહાર આવશે કે કેમ?રાજકોટમાં આ પ્રકારે ચડે ચોક ચાર ચાર વર્ષથી બાંધકામ અને ગેરકાયદેસર ગેમ ઝોન ચાલે છતાં તંત્ર બેદરકાર રહે તે કેટલે અંશે વ્યાજબી છે અને આ ગેમ ઝોન ફાયર સેફટીના તમામ નિયમોને છડે ચોક ઉલંઘન થયું છે. નાના અધિકારીઓ ઉપર પગલા લીધા જ્યારે મેયર મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ અધિકારીઓના ફોટા સોશિયલ મીડિયામાં જતા હોય ત્યાં નાના અધિકારીને સસ્પેન્ડ કરવાને બદલે મોટા અધિકારીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની પણ જવાબદારી બનતી હોય તેઓની સામે પણ એફઆઇઆર કરવી જોઈએ.
 
ઉદ્યોગપતિઓને લાખો રૂપિયા માફ થાય તો સહાય કેમ ના આપી શકાય
શક્તિસિંહે કહ્યું હતું કે, વર્ષ 2022માં તત્કાલીન ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, કિશોરભાઈ રાઠોડ તથા ભાજપની સમગ્ર ટીમ આ જગ્યાએ જાય છે. કલેકટર, મ્યુનિસિપલ કમિશનર, પોલીસ અધિકારીઓ જે ટ્રેકમાં ફોટો પડાવ્યો છે તે બાજુનું બિલ્ડીંગ સળગ્યું છે. સરકાર પાંચ અધિકારીને સસ્પેન્ડ કરીને આવા અધિકારીઓને છાવરે છે. જે અધિકારીઓ કટ કટાવતા હોય છે તેઓને ફિલ્ડમાં રાખે છે. જે કડક અને નિષ્ઠાવાન અધિકારીઓને સાઈડ પોસ્ટિંગ આપી દેવામાં આવે છે અને કહેવામાં આવે છે અમારું કીધું નહીં કરો તો તમારી નોકરી ખતમ. અધિકારીઓને પગાર કોંગ્રેસ ભાજપમાંથી આવવાનો નથી એ જનસેવક છે તે ભાજપના સેવક નથી. હું ફરી માંગ કરીશ કે, સરકાર ઉચ્ચ અધિકારીઓના નામ ફરિયાદમાં દાખલ કરે. જે પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તે પરિવારોને વધુ આર્થિક મદદ કરવી જોઈએ કારણ કે મોટા મોટા ઉદ્યોગપતિઓને લાખો રૂપિયા માફ કરી શકાય છે તો આ ઘટનામાં સરકારની જવાબદારી બને છે. 
 
20 વર્ષ પછી પણ એસઆઇટીનો અહેવાલ સત્યની નજીક કેમ જતો નથી
પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, કાયદાનું પાલન કરવાની જવાબદારી રાજકોટ મહાનગરપાલિકા પાસે હોય છે. ત્યારે મહાનગરપાલિકા આ કાયદાની અમલ વારી કરવામાં ઉણી ઊતરી છે. જો કામદાર ક્યાંય ક્ષતી કરે તો સુપરવાઇઝરની જવાબદારી બને છે. તે જ પ્રકારે નાની માછલીઓને પકડી મગરમચ્છોને જે રીતે છોડી દેવામાં આવે છે તે કેટલે અંશે વ્યાજબી છે. તક્ષશિલામાં 22 બાળકો હરણી તળાવ વડોદરામાં 14 જિંદગીઓ ડૂબી જાય, મોરબીના ઝુલતા પુલમાં મચ્છુની ગોદમાં કેટલાય સમાઈ જાય, સરકારની નિષ્ફળતા ઊભી થાય ત્યારે SITની રચના કરે છે. 20 વર્ષ પછી પણ એસઆઇટીનો અહેવાલ સત્યની નજીક કેમ જતો નથી. સીટની રચના એ પડદો પાડવાની બાબત છે ચાર વર્ષથી ગેમ ઝોનનું કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વગર ચાલતું હતું આ મોતના તાંડવ માટે જવાબદાર કોણ અધિકારીઓ ઇવેન્ટ મેનેજર બની ગયા છે. એડમિનિસ્ટ્રેશન ખાડે ગયું છે જેનો ભોગ ગુજરાતની પ્રજા અને ભૂલકાઓ બની રહ્યા છે હવે સાથે મળી ગુજરાતના જન જનની સુરક્ષા કરીએ રાજનીતિ બંધ કરવી જોઈએ.