શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 30 ઑક્ટોબર 2022 (09:42 IST)

આજથી પીએમ મોદી ફરી માતરે વતનની મુલાકાતે, ગુજરાતને મળશે અનેક ભેટ

modigujarat visit
પ્રધાનમંત્રી 30 ઓક્ટોબરે વડોદરા ખાતે નવી તૈયાર થનારી C-295 એરક્રાફ્ટ વિનિર્માણ સુવિધાનો શિલાન્યાસ કરશે. 31 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી કેવડિયાની મુલાકાત લેશે. તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ તેઓ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી આરંભ 4.0ના સમાપન પર 97મા કોમન ફાઉન્ડેશન કોર્સના અધિકારી તાલીમાર્થીઓને સંબોધન આપશે. ત્યારબાદ પ્રધાનમંત્રી બનાસકાંઠા જિલ્લામાં પહોંચશે, જ્યાં તેઓ થરાદ ખાતે વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. તેઓ અમદાવાદમાં રાષ્ટ્રની ચાવીરૂપ રેલવે પરિયોજનાઓનું પણ લોકાર્પણ કરશે.
 
1 નવેમ્બરના રોજ, પ્રધાનમંત્રી રાજસ્થાનના બાંસવાડા જિલ્લાની મુલાકાતે જશે, જ્યાં તેઓ ‘માનગઢ ધામ કી ગૌરવ ગાથા’ નામના એક જાહેર કાર્યક્રમ સહભાગી થશે. ત્યારબાદ, તેઓ ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલા જાંબુઘોડા ખાતે વિવિધ વિકાસ યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.
 
પ્રધાનમંત્રીની વડોદરાની મુલાકાત
પ્રધાનમંત્રી વડોદરાની મુલાકાત દરમિયાન, C-295 એરક્રાફ્ટ વિનિર્માણ સુવિધાનો શિલાન્યાસ કરશે - દેશમાં ખાનગી ક્ષેત્રની આ પ્રથમ એરક્રાફ્ટ વિનિર્માણ સુવિધા બનશે. આ સુવિધાનો ઉપયોગ ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ અને એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ, સ્પેન વચ્ચેના સહયોગ દ્વારા ભારતીય વાયુસેના માટે 40 C-295 એરક્રાફ્ટનું ઉત્પાદન કરવા માટે થશે. આ સુવિધા સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાની દિશામાં લેવાનારું એક મુખ્ય પગલું હશે અને આ ક્ષેત્રના ખાનગી ખેલાડીઓની ક્ષમતાને ખુલ્લો દોર આપવામાં પણ મદદ કરશે. આત્મનિર્ભર ભારત અંતર્ગત એરોસ્પેસ ઉદ્યોગમાં ટેકનોલોજીકલ અને વિનિર્માણની પ્રગતિ દર્શાવતા પ્રદર્શનની પણ પ્રધાનમંત્રી મુલાકાત લેશે.
 
પ્રધાનમંત્રીની કેવડિયાની મુલાકાત
પ્રધાનમંત્રીની દૂરંદેશી પરથી પ્રાપ્ત થયેલા માર્ગદર્શન હેઠળ, રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષાને જાળવવા અને મજબૂત કરવાના આપણા સમર્પણને વધુ મજબૂત કરવા માટે 2014માં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ એટલે કે 31 ઓક્ટોબરને દર વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવશે. આથી, પ્રધાનમંત્રી કેવડિયાના સ્ટેટસ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. આ ઉજવણી રાષ્ટ્રીય એકતા દિવસ પરેડની સાક્ષી બનશે, જેમાં BSF અને પાંચ રાજ્ય પોલીસ દળોની ટુકડીઓ, જેમાં ઉત્તર ઝોન (હરિયાણા), પશ્ચિમ ઝોન (મધ્યપ્રદેશ), દક્ષિણ ઝોન (તેલંગાણા), પૂર્વીય ઝોન (ઓડિશા) અને નોર્થ ઇસ્ટર્ન ઝોન (ત્રિપુરા)ની ટુકડીઓ દ્વારા પરેડ કરવામાં આવશે. તે ઉપરાંત, કોમનવેલ્થ ગેમ્સ 2022ના છ પોલીસ સ્પોર્ટ્સ મેડલ વિજેતાઓ પણ પરેડમાં ભાગ લેશે.
 
અંબાજીના આદિવાસી બાળકોના મ્યુઝિકલ બેન્ડ દ્વારા પરફોર્મન્સ રજૂ કરવામાં આવશે જે આ કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બની રહેશે. બેન્ડના સભ્યો એક સમયે અંબાજી મંદિરમાં ભીખ માંગતા હતા. પ્રધાનમંત્રીએ અગાઉ પણ આ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા અને ત ગયા મહિને તેઓ જ્યારે અંબાજીની મુલાકાતે આવ્યા હતા ત્યારે પણ તેમની સમક્ષ આ બાળકોએ પરફોર્મન્સ આપ્યું હતું. અન્ય મુખ્ય આકર્ષણોમાં "હમ એક હૈ, હમ શ્રેષ્ઠ હૈ" થીમ પર NCC દ્વારા એક વિશેષ શો રજૂ કરવામાં આવશે અને અન્ય એક આકર્ષણમાં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમનો સમાવેશ થાય છે, જેમાં જોડી બનાવેલા રાજ્યો દ્વારા એકસાથે પરફોર્મન્સ આપવામાં આવશે અને આ પ્રકારે આપણી સંસ્કૃતિનું પ્રદર્શન કરવામાં આવશે.
 
પ્રધાનમંત્રી આરંભ 4.0ના સમાપન પર 97મા કોમન ફાઉન્ડેશન કોર્સના અધિકારી તાલીમાર્થીઓને સંબોધન આપશે. આરંભનું 4થું સંસ્કરણ “ડિજિટલ ગવર્નન્સ: ફાઉન્ડેશન એન્ડ ફ્રન્ટિયર્સ”ની થીમ પર રાખવામાં આવ્યું છે, જેમાં અધિકારી તાલીમાર્થીઓને જાહેર સેવાઓ પહોંચાડવાની કામગીરીને વધુ મજબૂત બનાવવા અને છેવાડાની વ્યક્તિ સુધી સેવાની ડિલિવરી વધુ પારદર્શક, અસરકારક અને કાર્યદક્ષ બનાવવા માટે ટેકનોલોજીકલ સોલ્યુશન્સનો લાભ કેવી રીતે લઇ શકાય તે શીખવામાં મદદ કરવામાં આવી છે. આ બેચમાં 29 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 13 સેવાઓના 455 અધિકારી તાલીમાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
 
પ્રધાનમંત્રી કેવડિયા ખાતે પર્યટકો માટે શરૂ કરવામાં આવેલા બે નવા આકર્ષણો - મેઝ ગાર્ડન અને મિયાવાકી ફોરેસ્ટનું પણ લોકાર્પણ કરશે. મેઝ ગાર્ડન 3 એકર જમીનમાં ફેલાયેલો છે, જેથી હાલમાં તે દેશનો સૌથી મોટો મેઝ ગાર્ડન બની ગયો છે. તેમાં કુલ આશરે 2.1 કિમીનો પાથ-વે તૈયાર કરવામાં આવ્યો છે. તેની ડિઝાઇન 'શ્રીયંત્ર'ના આકારમાં તૈયાર કરવામાં આવી છે, જેના કારણે તે સ્થાન પર સકારાત્મક ઉર્જા લાવે છે તેવું માનવામાં આવે છે. ગાર્ડનમાં કુલ 1.8 લાખ છોડ વાવવામાં આવ્યા છે, જેનાથી સમગ્ર પરિદૃશ્યની સુંદરતામાં વધારો કર્યો છે. મિયાવાકી ફોરેસ્ટ લગભગ 2 એકર વિસ્તારમાં વિકસાવવામાં આવ્યું છે. તેમાં નેટિવ ફ્લોરલ ગાર્ડન, ટિમ્બર ગાર્ડન, ફ્રુટ ગાર્ડન, ઔષધીય ગાર્ડન, મિશ્ર પ્રજાતિ મિયાવાકી સેક્શન અને ડિજિટલ ઓરિએન્ટેશન સેન્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે જાપાની વનસ્પતિશાસ્ત્રી અકીરા મિયાવાકી દ્વારા પ્રેરિત ટેકનિકનો ઉપયોગ કરીને વિકસાવવામાં આવ્યો છે. આ ટેકનિક ટૂંકા ગાળામાં ગાઢ, નેટિવ જંગલો તૈયાર કરવામાં મદદ કરે છે.
 
પ્રધાનમંત્રીની બનાસકાંઠાની મુલાકાત
પ્રધાનમંત્રી બનાસકાંઠામાં થરાદની મુલાકાત લેશે. તેઓ એક જાહેર કાર્યક્રમ દરમિયાન, રૂ. 8000 કરોડથી વધુ મૂલ્યની પાણી પુરવઠા પરિયોજનાનું કામ શરૂ કરાવશે. પ્રધાનમંત્રી દ્વારા મુખ્ય નર્મદા કેનાલમાંથી કસારાથી દાંતીવાડા સુધીની પાઇપલાઇન સહિત અનેક પરિયોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવશે, જેની કુલ અંદાજિત કિંમત રૂ. 1560 કરોડ છે. આ પરિયોજનાઓ પાણી પુરવઠામાં વધારો કરશે અને પ્રદેશના ખેડૂતો માટે પણ ફાયદાકારક સાબિત થશે. આ કાર્યક્રમ દરમિયાન સુજલામ સુફલામ કેનાલનું મજબુતીકરણ, મોઢેરા-મોતી દાઉ પાઇપલાઇનનું મુક્તેશ્વર ડેમ-કર્મવત તળાવ સુધી વિસ્તરણ, સાંતલપુર તાલુકાના 11 ગામો માટે લિફ્ટ ઇરીગેશન યોજના સહિતની અનેક યોજનાઓની જાહેરાત પણ કરવામાં આવશે.
 
પ્રધાનમંત્રીની અમદાવાદની મુલાકાત
પ્રધાનમંત્રી અમદાવાદમાં અસારવા ખાતે રૂ. 2900 કરોડથી વધુ મૂલ્યની બે રેલવે પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ પરિયોજનાઓમાં અમદાવાદ (અસારવા) - હિંમતનગર - ઉદયપુર ગેજ કન્વર્ટેડ લાઇન અને લુણીધર- જેતલસર ગેજ કન્વર્ટેડ લાઇનનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી ભાવનગર- જેતલસર અને અસારવા- ઉદયપુર વચ્ચે શરૂ કરવામાં આવેલી નવી ટ્રેનોને પણ લીલી ઝંડી બતાવીને તેનો પ્રારંભ કરાવશે.
 
સમગ્ર દેશમાં યુનિ-ગેજ રેલ પ્રણાલીને ધ્યાનમાં રાખીને, રેલવે દ્વારા હાલની નોન બ્રોડગેજ રેલવે લાઇનોને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવનારી આ પરિયોજનાઓ આ દિશામાં લેવામાં આવેલું વધુ એક પગલું છે. અમદાવાદ (અસારવા) - હિંમતનગર - ઉદયપુર ગેજ કન્વર્ટેડ લાઇનની લંબાઇ લગભગ 300 કિમી જેટલી છે. તેના કારણે કનેક્ટિવિટીમાં સુધારો થશે અને આ પ્રદેશમાં પ્રવાસીઓ, વેપારીઓ, ઉત્પાદન એકમો અને ઉદ્યોગો માટે ફાયદાકારક સાબિત થશે, પરિણામ સ્વરૂપે તેનાથી રોજગારીની તકોને વેગ મળશે અને પ્રદેશના સામાજિક-આર્થિક વિકાસમાં મદદ કરશે. 58 કિમી લાંબી લુણીધર- જેતલસર ગેજ કન્વર્ટેડ લાઇન પીપાવાવ પોર્ટ અને ભાવનગર માટે વેરાવળ અને પોરબંદરથી નાનો રૂટ પૂરો પાડશે. આ પરિયોજનાના કારણે આ સેક્શનમાં માલવાહક પરિવહન ક્ષમતામાં વધારો થશે, આથી હાલમાં વ્યસ્ત રહેતા કાનાલુસ - રાજકોટ - વિરમગામ રૂટની ભીડ ઓછી થશે. તે હવે ગીર અભયારણ્ય, સોમનાથ મંદિર, દીવ અને ગિરનારની ટેકરીઓ સાથે નિરંતર કનેક્ટિવિટીની સુવિધા પૂરી પાડશે અને આ પ્રકારે આ પ્રદેશમાં પર્યટનને પણ વેગ મળશે.
 
પ્રધાનમંત્રીની પંચમહાલની મુલાકાત
પ્રધાનમંત્રી પંચમહાલના જાંબુઘોડા ખાતે આશરે રૂ. 860 કરોડની પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. તેઓ ગોધરામાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના નવા પરિસરનું લોકાર્પણ કરશે. તેઓ વાડેક ગામ ખાતે આવેલી સંત જોરિયા પરમેશ્વર પ્રાથમિક શાળા અને સ્મારક તેમજ દાંડિયાપુરા ગામ સ્થિત રાજા રૂપસિંહ નાયક પ્રાથમિક શાળા અને સ્મારકનું પણ લોકાર્પણ કરશે.
 
પ્રધાનમંત્રી ગોધરા ખાતે કેન્દ્રીય વિદ્યાલયની ઇમારતનો શિલાન્યાસ કરશે. તેઓ રૂ. 680 કરોડથી વધુની કિંમતની પરિયોજનાઓ એટલે કે, ગોધરા મેડિકલ કોલેજના વિકાસ અને કૌશલ્યા - ધ સ્કિલ યુનિવર્સિટીના વિસ્તરણ માટે શિલાન્યાસ પણ કરશે.