જમવાનુ માંગતા પુત્રીની હત્યા, ગુજરાત હાઈકોર્ટે માતાને આપ્યા જામીન
ગુજરાત હાઈકોર્ટે એક મહિલાને જામીન આપ્યા છે, જેણે તેની બે વર્ષની પુત્રીને ખોરાક માંગવા બદલ ઢોર માર મારીને મોતને ઘાટ ઉતારી હતી.કોર્ટે કહ્યું કે આ એક હૃદયદ્રાવક ઘટના છે. ભૂખમરો માત્ર આર્થિક મુદ્દો નથી. તે માનવીય ગૌરવ, ન્યાય અને અંતરાત્માનો પણ વિષય છે.
ગયા અઠવાડિયે પોતાના આદેશમાં, ન્યાયાધીશ હસમુખ ડી. સુથારની કોર્ટે કહ્યું હતું કે જ્યારે ભૂખમરો માતાને આવા પગલાં લેવા માટે મજબૂર કરે છે, ત્યારે તે વ્યક્તિની નહીં, પરંતુ સમગ્ર સમાજની નિષ્ફળતા છે. ભૂખમરાને સામાજિક નિષ્ફળતા ગણાવતા, કોર્ટે કહ્યું કે આ દુ:ખદ ઘટનાને કોઈ માતા કે બાળકને ભૂખમરો ન થાય તે સુનિશ્ચિત કરવાના નવા સંકલ્પ તરીકે જોવી જોઈએ.
કોર્ટે ત્રણ બાળકોની માતા લખીબેન સોલંકીની જામીન અરજી મંજૂર કરી. માર્ચ 2026 માં તેની પુત્રીને માર મારવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી.
ફરિયાદ પક્ષના મતે, આરોપી મહિલાએ તેની પુત્રી ઈશાને ઢોર માર માર્યો હતો. તેની પુત્રી જમવાનુ માંગી રહી હતી ત્યારે તે તેનાથી ચિડાઈ ગઈ હતી.
કોર્ટે જણાવ્યું હતું કે આ ઘટના ફક્ત એક વ્યક્તિગત દુર્ઘટના નથી, પરંતુ સામાજિક ન્યાય અને નૈતિકતા વિશે મૂળભૂત પ્રશ્નો ઉભા કરે છે. પોતાના ચુકાદામાં કોર્ટે જણાવ્યું હતું કે સામાજિક ન્યાય એ સિદ્ધાંત પર આધારિત છે કે દરેક માનવીને ખોરાક, આશ્રય, આરોગ્યસંભાળ અને ગૌરવ જેવી મૂળભૂત સુવિધાઓ મળવી જોઈએ.
