સંબંધિત સમાચાર
- LPG Gas Cylinder Price- સિલિન્ડરનો ભાવ 1000 રૂપિયાને પાર, આ ગેસની અછત ક્યારે દૂર થશે?
- આ 6 કરોડ ગુજરાતીઓનુ અપમાન, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેના નિવેદન પર બોલ્યા CM ભૂપેન્દ્ર પટેલ
- ત્રણ મુખ્ય શહેરોના RTOને બોમ્બથી ઉડાવવાની ધમકી, ડ્રાઇવિંગ ટેસ્ટ અને અન્ય કામકાજ માટે આવેલા હજારો લોકોને પરત મોકલ્યા
- ગાંધીનગરમાં ભાજપનું મંથન: ઉમેદવારો નક્કી કરવા બેઠકોનો દોર શરૂ
- ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ગરમાયો: 10,039 બેઠકો માટે જામશે ખરાખરીનો જંગ, આજથી જાહેરનામું પ્રસિદ્ધ, 26 એપ્રિલે યોજાશે મતદાન
ગુજરાતમાં ઈંધણ-ખાતરનો પૂરતો સ્ટોક: અફવાઓથી ન ગભરાવા અને 'પેનિક બાયિંગ' ન કરવા સરકારની અપીલ
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની અછત ઉભી થશે તેવી અફવાઓ સોશિયલ મીડિયા પર વહેતી થઈ છે. જોકે, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો (PIB) અમદાવાદ ખાતે યોજાયેલી પ્રેસ બ્રિફિંગમાં અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. નાગરિકોને ગભરાઈને બિનજરૂરી ખરીદી (Panic Buying) ન કરવા અને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા વિનંતી કરવામાં આવી છે.
રાજ્યમાં પેટ્રોલિયમ પેદાશોની વર્તમાન સ્થિતિ
IOC ના નોડલ અધિકારી સંજીબ બેહરાએ જણાવ્યું કે ગુજરાતમાં અત્યારે 6688 પેટ્રોલ પંપ, 16 સ્ટોરેજ ડેપો અને 11 LPG બોટલિંગ પ્લાન્ટ સંપૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત છે. કોઈ પણ પેટ્રોલ પંપ પર ઈંધણ ખૂટી પડવાની (Dry out) સ્થિતિ નથી. ગઈકાલે જ રાજ્યમાં 2.43 લાખથી વધુ ગેસ સિલિન્ડરની સફળતાપૂર્વક ડિલિવરી કરવામાં આવી છે, જે દર્શાવે છે કે પુરવઠો સંપૂર્ણપણે નિયંત્રણમાં છે.
ગ્રામ્ય વિસ્તારો માટે કેરોસીન વિતરણની વિશેષ વ્યવસ્થા
રાજ્યના ખાદ્ય અને પુરવઠા વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં રાંધવા અને પ્રકાશ માટે કેરોસીન ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને 1452 કિલો લિટર કેરોસીનનો ખાસ જથ્થો મળ્યો છે. દરેક જિલ્લાને 36 કિલો લિટર કેરોસીન ફાળવવામાં આવ્યું છે, જેનો ભાવ ₹61.40 થી ₹66.14 પ્રતિ લિટર રહેશે. મોટા પરિવારોને 5 લિટર અને સંસ્થાઓને 25 લિટર સુધી કેરોસીન દરેક તાલુકાના નિયત પેટ્રોલ પંપ પરથી મળી રહેશે.
ખેડૂતો માટે ખાતરનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ
કૃષિ વિભાગના એડિશનલ ડાયરેક્ટર નીતિન શુક્લએ ખેડૂતોને આશ્વાસન આપ્યું છે કે રાજ્યમાં ખાતરની કોઈ કમી નથી. હાલમાં 1.87 લાખ મેટ્રિક ટન યુરિયા, 0.45 લાખ મેટ્રિક ટન DAP અને 1.80 લાખ મેટ્રિક ટન NPK ખાતરનો જથ્થો સંગ્રહિત છે. એપ્રિલ મહિના માટે ભારત સરકાર દ્વારા વધારાના ખાતરની ફાળવણી પણ કરી દેવામાં આવી છે, જેમાંથી 20,000 મેટ્રિક ટન પુરવઠો રાજ્યમાં આવી પહોંચ્યો છે.
કાળાબજારી રોકવા સરકારની કડક કાર્યવાહી
ઈંધણ કે ખાતરની અછતનો કોઈ ગેરફાયદો ન ઉઠાવે તે માટે સરકાર સતર્ક છે. કાળાબજારી અને સંગ્રહખોરી રોકવા માટે રાજ્યભરમાં અત્યાર સુધીમાં 2451 જેટલા સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. નિયમોનું ઉલ્લંઘન કરનારા 24 ગેસ વિતરકોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. ખાતરના વિતરણ પર નજર રાખવા માટે ખાસ વિજિલન્સ ટીમો પણ મેદાનમાં ઉતારવામાં આવી છે.
ગ્રાહકો માટે હેલ્પલાઈન અને સાવચેતીની સૂચના
સરકારે લોકોને અપીલ કરી છે કે તેઓ કોઈ પણ ખોટી માહિતીથી પ્રેરાઈને પેટ્રોલ પંપ કે ગેસ એજન્સીઓ પર લાંબી લાઈનો ન લગાવે. જો કોઈ ગ્રાહકને પુરવઠા અંગે કોઈ ફરિયાદ હોય અથવા કાળાબજારીની શંકા જણાય, તો તેઓ સરકારના ટોલ-ફ્રી હેલ્પલાઈન નંબર 1800 233 0222 પર સંપર્ક કરી શકે છે. વહીવટીતંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જનતાના સહકારની અપેક્ષા રાખે છે.

