1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 10 જાન્યુઆરી 2020 (10:57 IST)

આજથી શરૂ થશે ગુજરાત વિધાનસભાનું સત્ર, ૨૪ ફેબ્રુઆરીએ રજૂ થશે બજેટ

ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં લેવાયેલ નિર્ણયો બાદ મીડિયાને માહિતી આપતા પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, આજે તા. ૧૦મી જાન્યુઆરીના રોજ ગુજરાત વિધાનસભાના સત્રની શરુઆત ભારતના બંધારણના અનુચ્છેદ ૧૭૬ મુજબ રાજ્યપાલના સંબોધનથી થશે. રાજ્યપાલના સંબોધન બાદ ૧૫ મિનિટનો વિરામ રહેશે અને ત્યારબાદ ગૃહની બેઠક મળશે. રાજ્યપાલના સંબોધન માટેના આભાર પ્રસ્તાવની રજૂઆત કરાશે. કામકાજ સલાહકાર સમિતિની બેઠકનો અહેવાલ રજૂ કરવામાં આવશે.
 
બંધારણના ૧૨૬માં સુધારાને બહાલી આપતો પ્રસ્તાવ મુખ્યમંત્રી દ્વારા રજૂ કરવામાં આવશે. જેમાં લોકસભામાં તેમજ રાજ્યોની વિધાનસભામાં અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ માટે બેઠકોના આરક્ષણ માટેની મુદત તા.૨૫/૦૧/૨૦૨૦ના રોજ પુરી થાય છે. તે મુદત વધુ ૧૦ વર્ષ લંબાવવા માટેનો આ બંધારણીય સુધારો છે. જેને સંસદના બંને ગૃહોમાં પસાર કરવામાં આવ્યો છે. આ  વિધેયકને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલતા પહેલાં બંધારણના અનુચ્છેદ ૩૬૮ મુજબ દેશના ઓછામાં ઓછા ૫૦% વિધાનમંડળોએ તે અંગે રિઝોલ્યુશન પસાર કરી બહાલી આપવી જરૂરી છે. આ હેતુ માટે આજે આ એક દિવસીય સત્રમાં કાર્યવાહી હાથ ધરાનાર છે. જે માટે અંદાજે ૧ કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે.
 
ત્યારબાદ સીટીઝન્સ (એમે‍ન્ટમે‍ન્ટ) એક્ટ, ૨૦૧૯ લાવવાના કે‍ન્દ્ર સરકારના નિર્ણયને સમર્થન આપતો ગૃહ રાજ્યમંત્રીનો પ્રસ્તાવ હાથ ધરવામાં આવશે. જે માટે પણ અંદાજે ૨ કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે. ત્યારબાદ સભાગૃહની બેઠકો તારીખ ૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૦ સુધી મુલત્વી રાખવામાં આવશે. બજેટ સત્રની કામગીરીના સંદર્ભમાં ગૃહની બેઠક પુન: તા. ૨૪મી ફેબ્રુઆરી-૨૦૨૦થી મળશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણા મંત્રી નીતિન પટેલ વર્ષ-૨૦૧૯-૨૦નું ખર્ચનું પૂરકપત્ર તથા વર્ષ-૨૦૨૦-૨૧નું અંદાજપત્ર તા. ૨૪મી ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ રજૂ કરશે અને તા. ૩૧મી માર્ચ ૨૦૨૦ના રોજ સત્ર સમાપ્ત થશે.   
 
રાજ્યપાલના સંબોધન પરના આભાર પ્રસ્તાવની ચર્ચા માટે ત્રણ બેઠકો ફાળવવામાં આવી છે. તેઓએ જણાવ્યું કે પુરક માંગણીઓ પર ચર્ચા અને મતદાન માટે બે બેઠકો, અંદાજ પત્રની સામાન્ય ચર્ચા માટે ચાર બેઠકો અને વિભાગવાર માંગણીઓ પર ચર્ચા અને મતદાન માટે ૧૨ બેઠકો ફાળવવામાં આવી છે. આ ઉપરાંત સત્ર દરમિયાન સરકારી વિધેયકો અને સરકારી કામકાજ માટે ચાર બેઠકો ફાળવવામાં આવી છે. આમ, એકંદરે કુલ – ૨૫ દિવસના કામકાજ દરમ્યાન ગૃહની ૨૭ બેઠકો મળશે.