1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 13 નવેમ્બર 2019 (12:15 IST)

મહુવાના અનાવલ અને નવસારીના વાંસદા પંથકમાં 2.4ની તીવ્રતાનો ભૂકંપ

મહુવા તાલુકાના અનાવલ ગામે મંગળવારે રાત્રે ચાર જેટલા ભૂકંપના આંચકાએ લોકોને ભયભીત કરી દીધા હતા.2.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો અને તેનુ એપી સેન્ટર મહુવા તાલુકાનુ વલવાડા ગામ હતુ.ભૂકંપના આંચકાની તીવ્રતાને લઈ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.  મંગળવાર દિવસ દરમિયાન ભૂકંપના આંચકા ટોક ઓફ ધ ટાઉન બન્યા હતા. અવારનવાર અનુભવાતા ભૂકંપના આંચકાથી લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. અનાવલ તેમજ આજુબાજુ ગ્રામજનો હવે રાત પડતા જ ભૂકંપના આંચકાના ડરથી ભયભીત બની જાય છે. છેલ્લા બે દિવસથી ત્રણ ચાર જેટલા આવતા ભૂકંપના આંચકાએ તેમની ઉંઘ હરામ કરી નાખી છે. મંગળવાર રાત્રિના 8.01 કલાકે 2.4ની તિવ્રતાનો ભૂકંપના આંચકા આવ્યા હતા અને તેનુ એપીક સેન્ટર મહુવા તાલુકાનુ વલવાડા હતું. જોકે તાલુકામા આ ભૂકંપના આંચકાને લઈ કોઈ નુકસાની કે જાનહાનિની માહિતી મળી નથી. વાંસદા તથા તેની આસપાસના ગામોમાં પણ ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. ગતરોજ વાંસદા નજીક એપીક સેન્ટર લીમઝર અને વાંદરવેલા રહ્યું હતું તો આજે વલવાડા જણાયું હતું. મંગળવારે રાત્રે 8 કલાકે 2.4ની તીવ્રતાનો આંચકો આવતા લોકોના ઘરનો સમાન ખખડવા લાગતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. રાત્રે આવેલા ભૂકંપ અથવા સવારે 6.50 કલાકે આવેલ ભૂકંપને લઈ કંડોલપાડા પીએચસી સેન્ટરની પાણીની ટાંકી તૂટી ગઈ હતી. વાંસદામાં સોમવારે ત્રણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પ્રથમ 2 , બીજો 2.1 ની તીવ્રતા અને ત્રીજો તો 2.7નો આંચકો આવતા લોકો ઘર બહાર નીકળી આવ્યા હતા.ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસમોલોજીકલ રિસર્ચના રિપોર્ટમાં જણાવ્યા મુજબ સોમવારે મોડીરાત્રે 2.06 કલાકે હળવો ભૂકંપ હતો. તીવ્રતા માત્ર 1.5 જ હતી. તેનું કેન્દ્રબિંદુ ઉનાઈ અને ડોલવણ હતું.