શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સુરતઃ , મંગળવાર, 18 મે 2021 (19:18 IST)

વાવાઝોડાની અસરથી ૪૦૦થી વધુ વૃક્ષો ધરાશાયી થયા, ૬૦૦ થી વધુ ગ્રામ્ય વિસ્તારોમાં વીજપુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે.

ટોલ ફ્રી નં. ૧૯૧૨૩ અથવા ૧૮૦૦ ૨૩૩ ૩૦૦૩ ઉપર ફરિયાદ કરી શકાશે

તાઉ’તે (Tau’Te) વાવાઝોડાની અસર સુરત શહેર-જિલ્લામાં જોવા મળી હતી. પવનના સુસવાટા સાથે ભારે વરસાદને કારણે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વૃક્ષો પડવાના, વીજળી ગુલ થવાના, કાચા મકાનો ધરાશાયી થવાના બનાવો બન્યા હતા. જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જરૂરી ટીમો બનાવીને યુદ્ધના ધોરણે કામગીરી કરીને યાતાયાત, દૂરસંચાર અને વીજ સેવાઓ પૂર્વવત કરવામાં આવી રહી છે. 
 દક્ષિણ ગુજરાત વીજ કંપની પાસેથી મળતી વિગતો મુજબ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ૯૯૦ જેટલા ગામડાઓમાં વીજ સેવા અસરગ્રસ્ત થઈ હતી. જેમાં ખાસ કરીને દરિયાકિનારાના ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત થયા હતા. જેમાંથી ૬૦૦ થી વધુ ગ્રામ્ય વિસ્તારોમાં વીજપુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. ૭૦૦થી વધુ ફીડરો અસરગ્રસ્ત થયા હતા. જે પૈકી ૫૨૦ ફિડરોને વિવિધ પેટા વિભાગીય કચેરીઓની ટીમો બનાવીને વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતો. જયારે ૯૦૦ થી વધુ અસરગ્રસ્ત વીજથાંભલાઓને સત્વરે રિપેરિંગ કરીને ૫૦૦ થાંભલાઓ પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા. ૧૦ ટ્રાન્સફોર્મરો પણ અસરગ્રસ્ત થયા હતા. વીજ પુરવઠા અંગેની કોઈ પણ ફરિયાદ હોય તો વીજ ગ્રાહકોએ દક્ષિણ ગુજરાત વિજ કંપનીના ટોલ ફ્રી નંબર : ૧૯૧૨૩ અથવા ૧૮૦૦ ૨૩૩ ૩૦૦૩ ઉપર ફરિયાદ કરી શકે છે. આ ઉપરાંત ડીજીવીસીએલની મોબાઈલ એપ પર ફરિયાદ કરી શકે છે. ઉપરાંત કંપનીની વેબસાઈટ પર સ્થાનિક સ્તરે પેટાવિભાગીય કચેરી સ્થિત ફોલ્ડ સેન્ટરના નંબરો પણ ઉપલબ્ધ છે જેનો વિજ વિક્ષેપની ફરિયાદ તથા માહિતી માટે સંપર્ક સાધી શકાશે. શહેર-જિલ્લામાં આવેલી કોવિડ-૧૯ની હોસ્પિટલો કે સારવાર કેન્દ્રોને વિજ પુરવઠો અવિરત મળતો રહે તે માટે ખાસ તકેદારી લેવામાં આવી છે.  સુરત શહેર-જિલ્લાની વાત કરીએ તો, શહેરમાં ૪૭ તથા જિલ્લામાં ૧૩૮ મળી કુલ ૧૮૫ થાભલાઓને નુકશાન થયું છે.
        સુરત જિલ્લામાં ૬.૦૦ વાગ્યા સુધીની માહિતી મુજબ તાલુકાઓમાં વાવાઝોડાથી કાચા-પાકા મકાનોને નુકસાન થયાની પ્રાથમિક અંદાજની વિગતો સાંપડી હતી. માંગરોળ તાલુકામાં ૨૨૩ પાકી ખાનગી મિલકતો તથા ૭૩ કાચા મકાનો/ઝુંપડાઓને નુકસાન થયું છે. જયારે કામરેજ તાલુકામાં ૧૭ કાચા મકાનો તથા માંકણા ગામે ઝાડ પડવાથી એક માનવમૃત્યુ નોંધાયું છે. ચોર્યાસીમાં ૧૦, ઓલપાડમાં ૩૯, પલસાણામાં ૧૫ કાચા મકાનો તથા ઝુંપડાઓને નુકશાન થયું છે. આમ સમગ્ર જિલ્લામાં અંદાજીત ૨૩૧ પાકી ખાનગી મિલકતો તથા ૧૬૬ જેટલા કાચા મકાન કે ઝુંપડાઓ, ૬૫ જેટલી સરકારી મિલકતો મળી કુલ ૪૬૨ મિલકતોને નુકશાન થયું હોવાનો પ્રાથમિક અહેવાલ પ્રાપ્ત થયો છે. 
 
            જયારે રસ્તાઓ કે રહેણાંક વિસ્તારોમાં પડેલા ઝાડની વિગતો જોઈએ તો સુરત સીટીમાં ૨૦૧, ચોર્યાસી તાલુકામાં ૧૭, ઓલપાડમાં ૭૯, માંગરોળમાં ૨૭, બારડોલી નગરપાલિકાના ૨૦ તથા ગ્રામ્યમાં ૧૮, કામરેજમાં ૬૦, માંડવી તાલુકામાં ૦૬  મળી અંદાજીત ૪૦૦ થી વધુ વૃક્ષો પડયા હતા.  વાવાઝોડાના કારણે ૬૫ જેટલા બંધ થયેલા રસ્તાઓ  પૈકી ૫૬ રસ્તાઓને માર્ગ-મકાન વિભાગ તથા એન.ડી.આર.એફની મદદની વિવિધ ટીમો દ્વારા યુધ્ધના ધોરણે ધરાશાયી વૃક્ષોને હટાવીને વાહન વ્યવહાર પૂર્વતત કરાયા હતો. 
        જિલ્લામાં પડેલા વરસાદની વિગતો જોઈએ તો સવારના ૬.૦૦ થી સાંજના ૪.૦૦ વાગ્યા સુધીમાં સૌથી વધુ ઓલપાડ તાલુકામાં ૧૧૮ મિ.લી., સુરત સીટીમાં ૧૦૮ મિલી., બારડોલીમાં  ૮૨ મિ.લી., ચોર્યાસીમાં ૧૩, કામરેજમાં ૭૪,  મહુવામાં ૫૭, માંગરોળમાં ૩૮, પલસાણામાં ૬૭ તથા ઉમરપાડા તાલુકામાં ૨૦ મીલીલીટર જેટલો વરસાદ વરસવા પામ્યો છે.