1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 21 એપ્રિલ 2022 (16:34 IST)

ભર ઉનાળે ગુજરાતમાં માવઠું, અમરેલીમાં વીજળી પડતા માછીમારનુ મોત, કમોસમી વરસાદને કારણે કેરીના પાકને નુકશાનનો ભય

ગુજરાતમાં સૌરાષ્ટ્ર સહિત અનેક જીલ્લાઓમાં આવેલા માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી છે.  આજે સવારે ખેડા અને વલસાડ જિલ્લામાં હળવાં વરસાદી ઝાપટાં વરસ્યાં હતાં. તો ખેડા, ભાવનગર અને આણંદ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. કમોસમી વરસાદના કારણે કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
 
અમરેલીમાં વીજળી પડતાં એકનું મોત
હવામાન વિભાગની અગાહીને લઇને અમરેલી જિલ્લાના દરિયાઈ કાંઠે વીજળીના કડાકાભડાકા જોવા મળ્યા હતા. વરસાદ આવ્યો નહીં, પરંતુ ગાજ્યો વધારે. ત્યારે રાજુલા નજીક આવેલા પીપાવાવ પોર્ટ ફોરવે માર્ગ પર લોજિક પાર્ક આવેલો છે. ત્યાં નજીક પાણીની ખાડી આવેલી છે, એમાં માછીમારી કરી રહેલા 35 વર્ષીય ભરતભાઇ સોલંકી નામના માછીમાર પર વીજળી પડતાં તેમનું ઘટનાસ્થળે મોત થયું હતું. જિલ્લામાં ગઇકાલ સવારથી વાતાવરણમાં પલટા સાથે બપોર બાદ કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યાં હતાં. અમરેલી શહેરમાં મધરાતે વરસાદી ઝાપટાં પડ્યાં હતાં, જ્યારે દરિયાઈ બેલ્ટ રાજુલા શિયાળ બેટ અને પીપાવાવ વિસ્તારમાં વહેલી સવારે વીજળીના કડાકાભડાકા આકાશમાં જોવા મળ્યા હતા.
 
હવામાન વિભાગની છૂટાછવાયા વરસાદની આગાહી.
વલસાડના ધરમપુર અને કપરાડામાં વરસાદી છાંટાં પડ્યાં
વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જિલ્લામાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા વિસ્તારમાં છૂટોછવાયા કમોસમી વરસાદી છાંટા પડતાં કેરીના પાક પર નભતા ખેડૂતોમાં ચિંતાનો વિષય બન્યો હતો. વલસાડ જિલ્લા અને આજુબાજુના વિસ્તારોમાં વાદળછાયા હવામાનને લઈને કેરીના પાક પર નભતા ખેડૂતોમાં ભારે ચિંતાનો વિષય બન્યો હતો. વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો. એને લઈને આંબાવાડીમાં તૈયાર થતી પહેલા ફાલની કેરીઓમાં નુકસાનીની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.
 
ખેડા જિલ્લામાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો
ખેડા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણનો‌ મિજાજ બદલાયો છે. ગઇકાલે બુધવારે બપોર બાદ આકાશમાં વાદળો છવાતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઇ હતી. તો બીજા દિવસે વહેલી પરોઢિયે જિલ્લાના અમુક સ્થળો ઉપર છુટો-છવાયા જગ્યાએ માવઠું થતાં ખેડૂતોના જીવ અદ્ધર થયા છે. રોડ ભીંજવે તેવો સામાન્ય વરસાદથી પાકમાં રોગચાળો થાય તેવી દહેશત ખેડૂતોને સતાવી રહી છે. આવા વાતાવરણને કારણે ઉનાળુ પાકને માઠી અસર પહોંચશે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે. ઠાસરા, ડાકોર તેમજ અન્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડ્યો હતો. ઉનાળામાં વરસાદી છાંટાના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. જો કે આવા વાતાવરણના કારણે બાફ અને અસહ્ય ઉકળાટથી જિલ્લાવાસીઓ ત્રસ્ત બન્યા છે.