Rajkot News - રાજકોટમાં પત્નીના અનૈતિક સંબંધોની શંકામા પતિએ પત્નીને ગોળી મારીને પોતે કરી આત્મહત્યા
રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા નાગેશ્વર વિસ્તારમાં પત્નીના ભત્રીજા સાથેના અનૈતિક સંબંધોની શંકાના આધારે ઉશ્કેરાયેલા પતિએ પત્ની પર ફાયરિંગ કરી તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો. આટલેથી ન અટકતાં પતિએ પોતે જ લમણે ગોળી મારી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
લગ્નેત્તર સંબંધોની આજકાલ જાણે ફેશન થઈ ગઈ છે. આટલા બનાવો બને છે કે લગ્ન પછી અન્ય સાથે ના અફેયરનો અંજામ હંમેશા કરૂણ જ આવે છે છતા ખબર નહી સમાજના ભણેલા ગણેલા યુવક-યુવતીઓને શુ થઈ ગયુ છે કે પોતાનો સુખી સંસાર છોડીને ફાલતુના લફડામાં પડીને જીવનને બરબાદ કરે છે. ક્યારેક ક્યારેક આવા સંબંધોમાં દગો કે છેતરપીંડીનો ભોગ બનનાર વ્યક્તિને એટલી આવેશમાં આવી જાય છે કે ગમે તે હદ સુધી જઇ શકે છે. આવી જ એક ઘટના રાજકોટમાં સામે આવી.
સુત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ પતિને શંકા હતી પત્નીનો તેના જ ભાઇના દીકરા સાથે પ્રેમ સંબંધ છે. જેને લઇને બન્ને વચ્ચે અવાર-નવાર ઝઘડા થતા હતા. આખરે ઉશ્કેરાયેલા પતિએ આજે સવારના સમયે પત્ની યોગમાંથી પરત ફરતા બિલ્ડિંગના આંગણામાં જ પત્ની પર ફાયરિંગ કર્યું હતું.. એટલું જ નહીં ફાયરિંગ બાદ તેણે પોતે પણ લમણે ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી.
ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી 3 કારતૂસ જપ્ત કર્યા છે. પોલીસે પતિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ઇજાગ્રસ્ત પત્નીનું નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે અને આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.