1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 9 ઑગસ્ટ 2021 (14:41 IST)

ગુજરાતમાં સમયસર જ ચૂંટણી યોજાશે, UPની ચૂંટણી સાથે ગુજરાતને કોઇ લેવા દેવા નથી': CM રૂપાણી

નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળાના જીતનગર ખાતે આજે 'વિશ્વ આદિવાસી દિવસ' નિમિત્તે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં 341 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા બિરસા મુંડા યુનિવર્સિટીના બિલ્ડિંગનું મુખ્યમંત્રીએ ખાતમુહૂર્ત કર્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, હું નથી માનતો કે, વહેલી ચૂંટણી આવશે. રાજ્યમાં સમયસર જ ચૂંટણી યોજાશે. ઉત્તરપ્રદેશની ચૂંટણી સાથે ગુજરાતને કોઈ લેવા દેવા નથી. અમે લોકો તો સતત કામ કરનારા લોકો છીએ. ભાજપ કોઇ ચૂંટણીલક્ષી યોજના બનાવતી નથી.

અમે તો 5 વર્ષમાં સતત લોકો વચ્ચે જનારા છીએ.  કોંગ્રેસના વિરોધ પ્રદર્શન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ઉજવણી કરે છે અને કોંગ્રેસ વિરોધ કરે છે. કોંગ્રેસના વિરોધની કોઈએ નોંધ લીધી નથી. આજે વિશ્વ આદિવાસી દિન નિમિત્તે કોંગ્રેસ આદિવાસીઓનો વિરોધ કરે છે. કોંગ્રેસનો વિરોધ ફક્ત મીડિયામાં દેખાઈ રહ્યો છે.અમરેલી થયેલા અકસ્માત અંગે CM રૂપાણીએ સંવેદના વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે, અમરેલીમાં ગમખ્વાર અકસ્માતમાં આઠ લોકોના મૃત્યુ થયા છે. આ ખૂબ જ દુઃખદ ઘટના છે. આ પ્રસંગે તમામ મૃતકોને 4 લાખ રૂપિયાની સહાયની CM વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી.આ પ્રસંગે CM રૂપાણીએ લોકોને સોશિયલ ડિસ્ટન્સ સાથે શ્રાવણ મહિનામાં તહેવારોની ઉજવણી કરવાની લોકોને અપીલ કરી હતી અને હડતાળ પર ગયેલા તબીબોને પણ કામે લાગી જવાની પણ અપીલ કરી હતી.