ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 7 સપ્ટેમ્બર 2020 (10:18 IST)

મુસાફરોના માટે આનંદના સમાચાર: ગુજરાતમાં આજથી શરૂ થશે આ બે સેવાઓ

કોરોનાકાળમાં અટકી પડેલી મુસાફરીને વેગ આપવાનો એસટી નિગમ દ્વારા નિર્ણય લેવાયો છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં એસ.ટી.નિગમની લોકલ બસ સર્વિસ તા.૭ સપ્ટેમ્બર એટલે કે આજથી શરૂ થઇ જશે. નાઇટ આઉટની ગામડાઓની આશરે દૈનિક ૧૦ હજાર ટ્રીપો શરૂ થશે. જેને લઇને રાજ્યના અંતરિયાળ ગામડાઓમાં રહેતા લોકોને મોટી રાહત મળી જશે. પાંચેક માસ બાદ લોકલ સર્વિસ ચાલુ થવા જઇ રહી છે. ગામડામાં જતી બસના કંડક્ટરને થર્મલ ગન અપાશે. બસમાં પ્રવાસી બેસે તે પહેલાં જ થર્મલ ગનથી સ્કેન કરાશે. 
 
 
એસટી નિગમના અધિકારીએ જણાવ્યું કે, આજે સોમવારથી નિગમ દ્વારા ગ્રામ્ય વિસ્તારની બસોનું સંચાલન શરૂ કરતા કુલ શિડ્યુલની સંખ્યા વધીને 6000 થશે. ગ્રામ્ય વિસ્તારની બસોમાં કંડક્ટરોને થર્મલ ગન આપવા માટે નિગમ દ્વારા 2000 જેટલી થર્મલ ગનનો ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે. આમ કોરોના ની ગાઈડલાઈન ને અનુસરીને બંધ પડેલા રૂટ ફરીથી ધમધમતા થયા છે અને જનજીવન ને ફરથી પાટા ઉપર લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
 
તો બીજી તરફ 25 માર્ચથી બંધ કરવામાં આવેલી મેટ્રો સેવા શહેરમાં આજથી પુન:શરૂ થઇ રહી છે. મેટ્રો બંધ રહેવાથી અત્યાર સુધીમાં રૂપિયા 16 લાખનું નુકસાન થયું છે.  અમદાવાદમાં મેટ્રો સેવા શરૂ કરવાની સાથે જ મેટ્રો ઓથોરિટી દ્વારા કોવિડ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત મેટ્રો ટ્રેન અને સ્ટેશન પર પૂર્વ તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે. જેમ કે, કોચને સેનેટાઇઝેશન, સફાઇ અને સોશિયલ ડિસ્ટન્સિંગ સ્ટીકરનું અમલીકરણ કરાયું છે.
 
7-8 સપ્ટેમ્બરના રોજ 11થી 12.10 અને સાંજે 4.25થી 5.10 દરમિયાન મેટ્રો ટ્રેન દોડાવવામાં આવશે. આ દરમિયાન કોવિડ ગાઈડલાઈનનું પાલન થઇ રહ્યું છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવશે. 9થી 12 સપ્ટેમ્બરે સવારે 11થી સાંજે 5 સુધી મેટ્રો ટ્રેન દોડાવવામાં આવશે. 13 સપ્ટેમ્બરના NEET પરીક્ષા સમયે સવારે 7થી સાંજે 7 સુધી સેવા મળશે.
 
14 સપ્ટેમ્બરથી અગાઉ મુજબ સવારે 11 વાગ્યાથી સાંજના 5.10 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડશે. ત્યારે કોવિડ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. મેટ્રો સ્ટેશન ઉપર જ કોરોન્ટાઈન રૂમ બનાવવામાં આવ્યા છે. જરૂર પડશે તો વધુ સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવશે.