ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 10 જુલાઈ 2019 (11:38 IST)

પ્રેમલગ્નનો કરુણ અંજામઃ સુવર્ણ જાતિના યુવતી સાથે લગ્ન કરનાર દલિત યુવકની હત્યા

માંડલમાં આંતરજ્ઞાાતિય પ્રેમલગ્નના કરૃણ અંજામની ઘટનામાં ગર્ભવતી પત્નીને લેવા માટે ગયેલા યુવક પર યુવતીના પરિવારજનોએ તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. યુવક પોલીસની મહિલાઓ માટેની 'અભયમ' ટીમ સાથે યુવતીના ઘરે ગયો ત્યારે આ બનાવ બન્યો હતો. આ બનાવને પગલે આ વિસ્તારમાં ચકચાર સાથે ગભરાટ ફેલાઈ ગયો હતો. પોલીસે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અહીં જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દીધો છે. ઘટના બાદ આરોપીઓ ઘરે તાળુ મારીને ભાગી જતા પોલીસે પાંચ અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓની શોધ હાથ ધરી છે.

આ બનાવની વિગત મુજબ કચ્છ ગાંધીધામમાં રહેતા હરેશ યશવંતભાઈ સોલંકીએ છ મહિના અગાઉ માંડલ પાસે વરમોરા ગામમાંરહેતા ઉર્મિલાબહેન ઝાલા સાથે કોર્ટમાં પ્રેમલગ્ન કર્યા હતા. જ્ઞાાતિ અલગ હોવાથી યુવતીના પરિવારજનો આ લગ્નથી નારાજ હતા. દરમિયાન યુવતીની દાદી બિમાર પડતા પરિવારજનો ગાંધીધામ જઈને દિકરી ઉર્મિલાને પોતાની સાથે લઈ ગયા હતા.  પત્નીને તેના ઘરેથી પરત લાવવામાં જોખમ જણાતા હરેશભાઈએ ૮ જુલાઈના રોજ અભ્યમ મહિલા હેલ્પલાઈનમાં ફોન કરીને જણાવ્યું હતું કે મારી પત્ની બે મહિનાથી પ્રેગનન્ટ છે જેથી મને ચિતા થાય છે. મને મારા સસરા દશરથસિંગે માંડલના વરમોર ખાતે બોલાવેલ છે જેથી તમે મારા સસરા તથા તેમના પરિવારજનોને સમજાવવા માટે સાથે આવો. આથી હેલ્પલાઈનના કાઉન્સીલર ઓફિસર ભાવિકાબહેન એન.ભગોરા, મહિલા કોન્સ્ટેબલ અર્પિતાબહેન લીલાભાઈ અને ડ્રાઈવર સુનિલકુમાર એન.સોલંકી સાથે સરકારી વાહનમાં માંડલ પહોંચ્યા હતા. માંડલ બસ સ્ટેન્ડ પર પહોંચીને તેમણે હરેશને ફન કરતા હરેશ આવી પહોંચ્યો હતો. તેની સાથે તેની માતા સુશીલાબહેન તથા સંબંધી ધીરૃભાઈ જે.જાદવ હતા. 

બાદમાં માતા અનં સંબંધીને બસ સ્ટેન્ડ પર ઉભા રહેવા જણાવી હરેશ અભયમ ૧૮૧ વાહનમાં વરમોર જવા રવાના થયો હતો. સાતેક કિલોમીટર બાદ વરમોર ગામ આવતા ભાવિકાબહેને હરેશને ઘર બતાવવા કહ્યું હતું અને વાહનમાં બેસી રહેવા કહ્યું હતું. આથી હરેશે દુરથી પત્નીનું ઘર બતાવીને વાહનમાં બેસી રહ્યો હતો.અહીંથી ભાવિકાબહેન કોન્સ્ટેબલ અર્પિતાબહેન સાથે હરેશની પત્ની ઉર્મિલાબહેનના ઘરે પહોંચ્યા હતા. જ્યાં ઈન્દ્રજીતસિંહ ઉર્ફે કાનો દશરથસિંહ ઝાલા તેની માતા હાજર હતા.થોડીવાર બાદ ઉર્મિલાબહેનના પિતા દશરથસિંહ આવી પહોંચ્યા હતા. જ્યાં ભાવિકાબહેને ૨૦ મિનીટ સુધી દશરથસિંહ તેના દિકરા ઈન્દ્રજીતસિંહ અને દિકરી ઉર્મિલાબહેનનું કાઉન્સિલીંગ કર્યું હતું. જેમાં તેમણે એકાદ મહિનાનો સમય માંગીને સમાધાન કરવાની વાત કરી હતી.

ત્યારબાદ સાંજે પોણા સાત વાગ્યે દશરથસિંહ ભાવિકાબહેન અને અર્પિતાબહેનને અભયમની ગાડી સુધી મુકવા માટે આવ્યા હતા. તે સમયે હરેશભાઈ ડ્રાઈવર સીટની બાજુમાં બેઠેલા હતા. તરત જ ઉશ્કેરાયેલા દશરથસિંહે આને કોણે અહીં બેસાડયો છે કહીને આગળનો દરવાજો ખોલી નાંખ્યો હતો. દરમિયાન આઠથી દસ માણસો લાકડી, તલવાર ધારીયા અને છરી સાથેના હથિયારો સાથે આવી પહોંચ્યા હતા. તેમણે વાહનની આગળ ટ્રેકટર ઉભુ કરી દઈને આડશ ઉભી કરી દીધી હતી. તેમણે વાહનના આગળના કાચ પર ધોકો મારીને કાચનો ભુક્કો બોલાવી દીધો હતો. દશરથસિંહે બુમ પાડીને કાના, હસમુખસિંહ, જયદીપસિંહ, અનોપસિંહ બધા તુટી પડો કોઈને છોડવા નથી. આપણી છોકરીને આ ભગાડી ગયો છે. તે ડ્રાઈવર સીટની બાદમાં બેઠો છે અને તેને બહાર કાઢીને મારી નાંખો. બાદમાં આ શખ્સો તિક્ષ્ણ હથિયારો સાથે હરેશને વાહનમાંથી બહાર કાઢીને તેની પર તુટી પડયા હતા. ઈન્દ્રજીતે છરી વડે હરેશના ગળા પર વાર કર્યા હતા. જ્યારે દશરથસિંહ ધારીયા વડે હરેશના માથાના ભાગે વાર કરતા હતા. અન્ય શખ્સો લાકડીઓ વડે હરેશ પર તુટી પડયા હતા. હરેશ બચાવો બચાવોની બુમો પાડતો હતો પણ તેને બચાવવા વાળુ કોઈ હાજર ન હતું. તે સિવાય આ શખ્સોએ ભાવિકાબહેન અને અર્પિતાબહેનને પણ ગડદાપાટુનો મુઢ માર માર્યો હતો. તાત્કાલિત અર્પિતાબહેને ૧૮૧ કંટ્રોલરૃમને જાણ કરી બનાવની હકીકત જણાવી હતી. પંદરેક મિનીટ બાદ માંડલ પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. લોહીલુહાણ હરેશભાઈને તપાસતા તેમનું મોત નીપજ્યું હોવાનું જણાયું હતું. તેમણે હરેશભાઈનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.