1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 16 ડિસેમ્બર 2021 (12:49 IST)

ઘોઘંબાની GFL કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે વિકરાળ આગ,બે કામદારોના મૃત્યુ

પંચમહાલ જિલ્લાના રણજીતનગરમાં એક ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ અને આગની દુર્ધટનાને પગલે બે કામદારો ના મૃત્યુ  થયા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને અને જે કામદારોને ઇજા પહોંચી છે અને ધાયલ થયા છે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચાડી યોગ્ય કાર્યવાહી કરવા અને  સારવારનો પ્રબંધ કરવા અને આ દુર્ધટનામાં બચાવ-રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવા પંચમહાલ જિલ્લા કલેક્ટર સાથે ટેલીફોનિક વાતચીત કરીને સૂચના આપી છે.
 
 
 
મુખ્યમંત્રી આ બ્લાસ્ટની દુર્ધટનાની વધુ વિગતો માટે જિલ્લા કલેક્ટરના સતત સંપર્કમાં છે.પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજિતનગર ખાતે રેફરન ગેસ બનાવતી ગુજરાત ફ્લોરો કેમિકલ કંપની (GFL) કંપનીમાં બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં 5 કામદારોના મોતની આશંકા છે અને જાનહાનિ હજી વધી શકે છે. આગની ઘટનામાં અનેક કામદારો ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં હાલોલ, કાલોલ, ગોધરા તેમજ ખાનગી કંપનીના ફાયર ફાઇટરોએ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા છે.રણજીતનગરની કંપનીમાં થયેલા બ્લાસ્ટના ધડાકા 10 કિમી દૂર સુધી સંભળાયા હતા. 5 કિ.મી. સુધીના વિસ્તારમાં વાહન-વ્યવહાર અને સામાન્ય લોકોની અવર-જવર બંધ કરી દેવાઈ છે. સેફ્ટી કીટ પહેરીને ટીમો કંપનીની અંદર પ્રવેશી છે અને તપાસ હાથ ધરવામાં આવી છે.ઘોઘંબાના રણજિતનગર ખાતે આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીના MPI-1 પ્લાન્ટમાં આજે વહેલી સવારે પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ લાગી હતી. કંપની અને આજુબાજુના વિસ્તારોમાં અફરાતરફીનો માહોલ સર્જાયો છે. આગ બાદ બ્લાસ્ટની ઘટનામાં મોટી સંખ્યામાં કામદારો ઇજાગ્રસ્ત થયા છે. ભયાનક ઘટનામાં મોટી સંખ્યામાં મોતની આશંકા સેવાઇ રહી છે. ઇજાગ્રસ્તોને હાલોલની ખાનગી અને રેફરલ હોસ્પિટલમાં લવાઇ રહ્યા છે.