1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 19 મે 2021 (19:11 IST)

વાવાઝોડાથી નુકસાન પામેલા મોટાભાગના રસ્તાઓ નાગરિક માટે ખોલી દેવાયા

તાઉ-તે વાવાઝોડા અંતર્ગત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રસ્તાઓ, વીજળી, પાણી-પુરવઠા જેવી માળખાકીય સુવિધાઓને નુકસાન પહોંચ્યું છે. આ સ્થિતિમાં રાજ્યનું વહીવટીતંત્ર અને કર્મયોગીઓએ દિવસ રાત એક કરી યુદ્ધના ધોરણે સ્થિતિ પૂર્વવત બનાવવા કામ કરી રહ્યા છે.
 
રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલી માહિતી મુજબ વાવાઝોડાને પરિણામે રાજ્યના ઘણા વિસ્તારોમાં ઝાડ પડવાથી લાઈટના થાંભલા પડવાથી તથા અન્ય કારણોસર ૯૫૯ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયા હતા. જે પૈકી ૮૯૯ રસ્તાઓ ખોલી દેવાયા છે જ્યારે અન્ય માર્ગોને પૂર્વવત કરવા માર્ગ-મકાન વિભાગના કર્મયોગી જહેમત ઉઠાવી રહ્યા છે.
 
જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના ૧૦૨ રસ્તાઓ પૈકી ૧૦૧ રસ્તાને વાહન વ્યવહાર માટે ખુલ્લા કરી દીધા છે. જ્યારે અમરેલીમાં ૯૮ પૈકી ૪૬ રસ્તાઓ પર વાહન વ્યવહાર પૂર્વવત થયો છે. જ્યારે ગીર સોમનાથમાં ૧૬૬ રસ્તાઓ વાવાઝોડાથી પ્રભાવિત થયા હતા જેમાંથી ૧૫૯ રસ્તાઓ પુન : ધમધમતા થઈ ગયા છે. આ ઉપરાંત રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, બોટાદ, જુનાગઢ અને પોરબંદર જિલ્લાના તમામ રસ્તા માર્ગ અને મકાન વિભાગ દ્વારા પૂર્વવત કરી દેવાયા છે.
 
ઉત્તર ગુજરાતના અમદાવાદ જિલ્લાના ૧૯, ખેડાના ૨૭, આણંદના ૪૬, સાબરકાંઠાના ૫૩, અરવલ્લીના ૧૭, પાટણના ૭, મહેસાણાના ૬ અને બનાસકાંઠાના ૧ રસ્તાનું સમારકામ સમયસર પૂરું કરીને આ રસ્તાઓને વાહનવ્યવહાર માટે યોગ્ય કરી દેવાયા છે. 
 
મધ્ય ગુજરાતમાં વાવાઝોડાથી રસ્તાઓ બંધ થઈ ગયા હતા જેમાં વડોદરામાં ૩૪, પંચમહાલમાં ૨૮, મહીસાગરમાં ૪, દાહોદમાં ૩ અને છોટાઉદેપુરમાં ૨ રસ્તાઓનું યુદ્ધના ધોરણે સમારકામ કરી વાહન વ્યવહાર માટે ખુલ્લા મુકી દેવામાં આવ્યા હતા.
 
દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાના કારણે ઝાડ પડવાથી અને લાઇટના થાંભલા પડવાથી વાહન વ્યવહાર માર્ગો બંધ કરી દેવાયા હતા જે પૈકી સુરતના ૧૧૬, નવસારીના ૩૬ અને વલસાડના ૨૪ માર્ગોને નાગરિકો માટે ખોલી દેવાયા હતા. ઉપરાંત ભરૂચમાં ૨૩ અને નર્મદાના ૧૧ ગામોમાં રસ્તાઓ શરૂ કરી દેવાયા છે.