બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 19 મે 2021 (18:54 IST)

અસરગ્રસ્ત રાજ્યો કેન્દ્ર સરકારને તેમની આકારણી મોકલશે પછી એને આધારે તાત્કાલિક નાણાકીય સહાય આપવામાં આવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ચક્રવાત તાઉતેથી ઊભી થયેલી સ્થિતિની સમીક્ષા કરવા ગુજરાતની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રીએ ગુજરાતમાં ઉના (ગિર – સોમનાથ), જાફરાબાદ (અમરેલી), મહુવા (ભાવનગર) અને દીવમાં ચક્રવાતથી અસર પામેલા વિસ્તારોનો હવાઈ સર્વે કર્યો હતો.
 
તેમણે ગુજરાત રાજ્યને તાત્કાલિક રાહત પ્રવૃત્તિઓ હાથ ધરવા રૂ. 1,000 કરોડની નાણાકીય સહાયની જાહેરાત કરી હતી. પછી કેન્દ્ર સરકાર રાજ્યમાં કેટલી હદે નુકસાન થયું છે એનું આકલન કરવા આંતર-મંત્રીમંડળીય ટીમને મોકલશે, જેના અહેવાલને આધારે વધારે સહાયતા પ્રદાન કરવામાં આવશે.
 
પ્રધાનમંત્રીએ રાજ્યના લોકોને ખાતરી આપી હતી કે, કેન્દ્ર સરકાર આ મુશ્કેલ સમયગાળામાં રાજ્ય સરકાર સાથે સંકલન સ્થાપિત કરીને કામ કરશે, અસરગ્રસ્ત વિસ્તારોમાં માળખાગત સુવિધાઓની પુનઃસ્થાપન અને એનું પુનઃનિર્માણ કરવા માટે શક્ય તમામ સહાયતા પ્રદાન કરશે.
 
પ્રધાનમંત્રીએ મુલાકાત દરમિયાન કોવિડ મહામારી સાથે સંબંધિત સ્થિતિની પણ સમીક્ષા કરી હતી. રાજ્ય સરકારના વહીવટીતંત્રે પ્રધાનમંત્રીને મહામારી સામે લડવા માટે હાથ ધરવામાં આવેલા પગલાં વિશે જાણકારી આપી હતી અને પ્રધાનમંત્રીએ મહામારીનું નિવારણ કરવા માટે પગલાં લેવામાં આવે એ સુનિશ્ચિતતા કરવા પર ભાર મૂક્યો હતો.
 ગુજરાતમાં આ મુલાકાત દરમિયાન તેમની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અન્ય અધિકારીઓ સામેલ થયા હતા.
 
પ્રધાનમંત્રીએ ભારતના વિવિધ વિસ્તારોમાં ચક્રવાતને કારણે અસર પામેલા તમામ લોકોની સાથે હોવાની લાગણી વ્યક્ત કરી હતી તથા આ આપત્તિ દરમિયાન પોતાના સગાસંબંધીઓ ગુમાવનાર લોકો પ્રત્યે દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરી હતી.
 
 તેમણે કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન રાજ્યો તથા દીવ અને દમણ તથા દાદરા નગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચક્રવાતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રૂ. 2 લાખ અને ઇજાગ્રસ્ત લોકોને રૂ. 50,000ની સહાય આપવાની જાહેરાત કરી હતી.
 
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ચક્રવાત પછી ઊભી થયેલી સ્થિતિમાં અસરગ્રસ્ત રાજ્યોની સરકારો સાથે સંકલન સ્થાપિત કરીને કામ કરી રહી છે. આ રાજ્યો માટે તાત્કાલિક નાણાકીય સહાય આપવામાં આવશે, જે માટે સંબંધિત રાજ્યો સરકારોએ કેન્દ્ર સરકાર સમક્ષ તેમની આકારણી રજૂ કરવી પડશે, જેના આધારે નાણાકીય સહાયનો નિર્ણય લેવામાં આવશે. 
 
પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, આપણે આપત્તિ વ્યવસ્થાપનના સંબંધમાં વધારે વૈજ્ઞાનિક અભ્યાસ હાથ ધરવા ધ્યાન કેન્દ્રિત કરવાનું જાળવી રાખવું પડશે. તેમણે આંતર-રાજ્ય સંકલન વધારવા અને અસરગ્રસ્ત વિસ્તારોમાંથી ઝડપથી સ્થળાંતરણ થાય એ સુનિશ્ચિત કરવા આધુનિક સંચાર ટેકનિકોનો ઉપયોગ કરવા પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવાની અપીલ કરી હતી. તેમણે નુકસાન થયેલા ઘરો અને અસરગ્રસ્ત વિસ્તારોમાં મિલકતોનું સમારકામ કરવાની પણ અપીલ કરી હતી.