શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated :અમદાવાદ: , શનિવાર, 14 સપ્ટેમ્બર 2019 (11:57 IST)

રાજ્યના 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, નર્મદા ડેમ 138 મીટરની સપાટી પહોંતા છલકાયો

રાજ્યમાં પડી રહેલા સાર્વત્રિક વરસદા વચ્ચે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ દાહોદ જિલ્લામાં 8 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ચોમાસાની સિઝનનો કુલ વરસાદ 120 ટકા થયો છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં રોડ પર પાણી ફરી વળ્યા હતા. તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે ઉપરવાસમાંથી થઇ રહેલી પાણીની આવકને કારણે સરદાર સરોવર ડેમ છલોછલ ભરાઇ જતા ઓવરફ્લો થઇ શકે છે.
 
રાજ્યમાં ભારે વરસાદ બાદ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટી 138 મીટર પહોંચી ગયો છે. જેને લઇને હજુ પણ જો પાણીની આવક થશે તો ડેમ ઓવરફ્લો થઇ શકે છે. સૌપ્રથમ વખત રાજ્યમાં સરદાર સરોવર ડેમ છલકાવવાની ઘટના બનશે. સરદાર સરોવરમાં પાણીની ભારે આવક થતા ડેમના 23 દરવાજા ખોલી દેવામાં આવતા નર્મદા નદી બે કાંઠે વહેતી થઇ છે.
 
નર્મદા નદી બે કાંટે વહેતિ થતા 175 ગામોને એલર્ટ કરાયા છે. વર્ષ 2017માં પીએમ મોદીએ સરદાર સરોવર ડેમનું લોકાર્પણ કર્યું હતું. આગામી 17મી સપ્ટેમ્બરે પોતાના જન્મદિવસ પર વડાપ્રધાન મોદી સરદાર સરોવરની મુલાકાત લેશે. હાલ ડેમના 23 દરવાજા 4 મીટર દૂર ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી 7 લાખ 17 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
 
જ્યારે ડેમમાં ઉપરવાસમાંથી 7 લાખ 70 હજાર ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. છેલ્લા છ દિવસથી કેવડિયાનો ગોરા બ્રીજ પાણીમાં ગરકાવ થયો છે. સરદાર સરોવર પર દરવાજા મૂકાયા બાદ ઇતિહાસમાં પહેલીવાર ડેમ ઓવરફ્લો થશે. રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 13 સપ્ટેમ્બર સુધી સરદાર સરોવર(Sardar Sarovar)માં હાલમાં 3,19,996.28 MCFT પાણીનો સંગ્રહ થયો છે, જે તેની કુલ જળસંગ્રહ શક્તિના 95.78 ટકા છે.