1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 11 સપ્ટેમ્બર 2017 (11:19 IST)

સંવાદમાં બુદ્ધિજીવીઓને આમંત્રણ અપાયું હોત તો અમિત શાહનું પાણી મપાઇ જાત:કોંગ્રેસ

ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ દ્વારા અમદાવાદ ખાતે યોજવામાં આવેલા 'યુવા સંવાદ કાર્યક્રમ'ને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ 'ફિક્સ' થયેલો 'ફ્લોપ શો' ગણાવ્યો છે અને ઉમેર્યું છે કે આ કહેવાતા સંવાદમાં સમાજના લેખકો, બુદ્ધિજીવીઓ, આલોચકો, વિવેચકો અથવા સાચી જનતાને આમંત્રણ આપવામાં આવ્યું હોત તો અમિત શાહના પગે રેલો આવી ગયો હોત તે નિશ્ચિત છે.

ગુજરાત કોંગ્રેસે જણાવ્યું હતું કે 'ભાજપ અને નેતાઓ હવામાં જ રહે છે, હવે જ્યારે વિધાનસભાની ચૂંટણી વખતે જમીન પરની પકડ છૂટી ગઇ હોવાની પ્રતીતિ થઇ છે એટલે યુવા સંવાદ કાર્યક્રમ યોજવો પડયો છે. કહેવાતા સંવાદમાં અમિત શાહ ભૂલી ગયા કે આ કાર્યક્રમમાં કોંગ્રેસને સવાલ કરવાનો નહીં પણ ભાજપ સરકારે કરેલા વહીવટ સામે થતા સવાલોનો જવાબ આપવાનો હતો. અમિત શાહના કહેવા મુજબ ૩ લાખ સવાલ આવ્યા હતા અને તેના પરથી અંદાજ આવી શકે છે કે ગુજરાતમાં પરિસ્થિતિ કઇ હદે વકરી છે. ભાજપ પાસે સંવાદ જેવા કાર્યક્રમો યોજવા સિવાય કોઇ વિકલ્પ પણ નથી. કેમકે, તેમના સંગઠન કે સરકારના પ્રતિનિધિઓ લોકો વચ્ચે જઇ શકતા નથી. નીતિનભાઇ પોતાના સમાજના કાર્યક્રમમાં જાય તો પણ ખુરશીઓ ઉછળે છે, પ્રદિપસિંહને વિધાનસભામાં જ બેકારીથી કંટાળેલો યુવાન જૂતું મારે, નવજાત શિશુ જેવા યુવા અધ્યક્ષ રૃત્વિજ પટેલ તો જાણે એક ટેસ્ટરની ભૂમિકા અદા કરે છે. રોષ માપક યંત્રની જેમ ભાજપ તેમને જે-તે વિસ્તારમાં ધકેલી પ્રજાના રોષનું માપ કાઢે છે.