શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 14 સપ્ટેમ્બર 2017 (17:04 IST)

બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ માત્ર ચૂંટણી પ્રચાર માટે? શ્રાદ્ધમાં આ પ્રોજેક્ટનું કામ સવાલો ખડા કરે છે

અમદાવાદ-મુંબઇ વચ્ચેનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જોરશોરથી ગાજી રહ્યો છે. તેનું ભૂમિપૂજન ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે પરંતુ આ એક એવો પ્રોજેક્ટ છે કે જેનું શરીર છે પણ આત્મા જ નથી..!! સરળ શબ્દોમાં કહીએ તો બુલેટ માટે ગુજરાતમાંથી કેટલી જમીન સંપાદન થઇ, કયા અધિકારીની નિમણૂક કરાઇ, સમગ્ર પ્રોજેક્ટની ઓફીસ ક્યાં છે વગેરે જેવા અનેક મુદ્દાઓનો જવાબ સરકાર પાસે નથી. સામાન્ય સંજોગોમાં રાજકીય નેતાઓ ચૂંટણીનું ફોર્મ ભરવા માટે માત્ર વિજયી મૂર્હુત પસંદ કરતા હોય છે ત્યારે આટલા મોટા પ્રોજેક્ટનું ભૂમિપૂજન શ્રાધ્ધાનાં ખરાબ ગણાતા દિવસોમાં કરાઇ રહ્યું છે એ પણ આશ્ચર્યજનક બાબત છે. ભૂમિપૂજન થાય એનો સીધો સાદો અર્થ એવો નીકળે છે કે, આગળનું બધું ક્લિયર છે. હવે ખોદકામ કરી પ્રોજેક્ટને આગળ ધપાવાશે. પણ આ પ્રોજેક્ટમાં તો હજુ ગુજરાત સરકારનાં કોઇ અધિકારીની પણ નિમણૂક કરાઇ નથી. કેન્દ્ર સરકારમાંથી સંપર્ક કરવો હોય તો કોને કરે ? રેલવે અને કેન્દ્રના અધિકારીઓ વચ્ચે મધ્યસ્થીનું કામ કરનારા અધિકારી પણ નિમાયા નથી. કેન્દ્ર સરકારમાંથી સંપર્ક કરવો હોય તો કોને કરે ? રેલવે અને કેન્દ્રનાં અધિકારીઓ વચ્ચે મધ્યસ્થીનું કામ કરનારા અધિકારી પણ નિમાયા નથી. ઉપરાંત ડીટેઇલ સ્ટડી રીપોર્ટ, સર્વે રીપોર્ટ અને ફીજિબીલીટી રીપોર્ટ તૈયાર થયો છે કે કેમ ? તૈયાર થયો હોય તો મંજૂર થયો છે કે નહીં તેની પણ સરકારી તંત્રને ખબર નથી. બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ૨૦૨૨માં પૂરો કરવાની વાત છે તો દર વર્ષે કેટલું કામ થશે ? એ બાબત પણ હવામાં છે. જમીન સંપાદન કરવા માટેનું પ્રાથમિક જાહેરનામું પણ બહાર પડાયું નથી તો ભૂમિપૂજન બાદ હવે સીધું ખોદકામ કઇ રીતે અને ક્યારથી ચાલુ થશે ? બુલેટ ટ્રેન માટેનું કોઇ અલગથી ડિવિઝન બનાવાયું નથી. ડીસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી હોઇ, મતદારોને આકર્ષવા માટેની જ આ જાહેરાત છે. વાસ્તવમાં પ્રોજેક્ટ ખરેખર ક્યારે પૂરીપૂર્ણ થશે તે વિશે કોઇ કશું જ બોલવા સુધ્ધાં તૈયાર નથી.