1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 14 ફેબ્રુઆરી 2018 (12:33 IST)

વરસાદ ખેંચાશે તો પણ પીવાના પાણીની તંગી નહીં રહે - મુખ્ય સચિવ જે.એન.સિંગ

નર્મદા ડેમમાં પાણી ખૂટી પડયાની સ્થિતિ અંગે આવી રહેલા અહેવાલો તેમજ વાસ્તવિક સ્થિતિનો તાગ મેળવવા માટે રાજ્યનાં મુખ્ય સચિવ જે.એન. સિંઘે કેવડીયા ખાતેનાં નર્મદાના મુખ્ય ડેમ સાઈટની મુલાકાત લીધી હતી. જ્યાં ટોચનાં એન્જિનિયરો અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે લાંબી ચર્ચા વિચારણા કરીને પાણી સંબંધીત તમામ વિગતો મેળવી હતી. ત્યારબાદ જાહેર કર્યું છે કે જો આગામી ચોમાસામાં વરસાદ બેથી ત્રણ મહિના સુધી ખેંચાશે તો પણ ગુજરાતના નાગરીકોને પીવાના પાણીની કોઈ જ મુશ્કેલી નહીં થાય.

મુખ્ય સચિવ સિંઘે કહ્યું છે કે, બાયપાસ ટનલ મારફતે પાણી વહેવડાવવાની તમામ તૈયારીઓ થઈ ગઈ છે. આખા ઉનાળા દરમિયાન પીવાના પાણી માટે લોકોને કોઈ જ સમસ્યા રહેવાની નથી. હાલમાં નર્મદા ડેમમાંથી રોજનું પાંચ સેન્ટીમીટર પાણી સુકાઈને ઓછું થઈ રહ્યું છે. ગત ચોમાસામાં મધ્યપ્રદેશ-રાજસ્થાનમાં ઓછો વરસાદ થતાં ડેમમાં પાણીનો જથ્થો ઓછો થઈ ગયો છે. આમ છતાં પીવાના પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. એટલું જ નહી જો વરસાદ ઓગસ્ટ સુધી ખેંચાશે તો પણ પીવાના પાણીની સમસ્યા રહેવાની નથી. તેઓએ કહ્યું કે અગાઉ વડાપ્રધાને કેવડીયા ખાતે રોપ-વે બનાવવાની જાહેરાત કરી હતી. હવે વહિવટી તંત્ર દ્વારા આ પ્રોજેક્ટ હાથ પર લેવાયો છે. ટેન્ડરીંગની પ્રક્રિયા પણ શરૃ કરાશે અને ખુબ જ ઝડપથી રોપ-વે બનાવવાની દિશામાં આગળ વધાશે. મુખ્ય સચિવે કહ્યું કે, સરદાર સાહેબની પ્રતિમાનું કામ, (સ્ટેચ્યુ ઓફ યુનિટી) પણ દિવસ-રાત પૂરજોશમાં ચાલી રહ્યું છે. ૨૦૦૦ જેટલા મજૂરો કામે લાગેલા છે. ૩૧ ઓક્ટોબરે આ કામ પણ પુરું કરાશે. આ જ સ્થળે મ્યુઝીયમ અને ગેલેરી પણ બનાવાશે. જેમાં કેન્દ્રનું સાંસ્કૃતિક ડીપાર્ટમેન્ટ ગુજરાતને બધી જ મદદ કરશે. જેમાં સરદાર સાહેબે લખેલા પત્રો સહિતની લોખંડી પુરુષની અનેક બાબતો મુકાશે.