શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 16 માર્ચ 2018 (14:42 IST)

NDA સરકારે અવગણના કરતાં બે વર્ષથી ગુજરાત સરકારે પડતર પ્રશ્નો વિશે પૂછવાનું જ માંડી વાળ્યુ

લોકસભાની ચૂંટણી વખતે યુપીએ સરકારે ગુજરાતને અન્યાય એ મુદ્દો ચગાવવામાં ભાજપે કોઇ કસર છોડી ન હતી. હવે ઘડિયાળના કાંટા જાણે ઉંધા ફરી રહ્યાં છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં બિરાજમાન થયા બાદ ગુજરાતના પડતર પ્રશ્નો વિશે કેન્દ્ર સરકાર જવાબ આપવા તૈયાર નથી.હવે સ્થિતી એવી સર્જાઇ છેકે, ગુજરાત સરકારે છેલ્લા બે વર્ષથી વિવિધ પડતર પ્રશ્નોના મુદ્દે પ્રશ્ન પૂછવા કે દરખાસ્ત કરવાનુ જ માંડી વાળ્યુ છે. ગુજરાતમાં નવી રેલ્વે લાઇનો નાંખવા માટે બે વર્ષમાં ગુજરાત સરકારે દરખાસ્ત જ કરી નથી.

અમદાવાદમાં રેલ્વે હોસ્પિટલ અને સરકારી નર્સિંગ હોસ્પિટલ શરૃ કરવા પણ ભાજપ સરકારે રસ દાખવ્યો નથી.નરોડામાં ફેફસાના રોગોની રાજ્ય કામદાર વિમા યોજના હોસ્પિટલ બાંધવા ય સરકારે કેન્દ્રમાં દરખાસ્ત કરી મદદ માંગી નથી. પશ્ચિમ રેલ્વેનું વડુ મથક અમદાવાદ ખાતે ખસેડવા માટે છેલ્લા કેટલાંય વર્ષોથી માંગણી છે છતાંય મોદી સરકાર સાંભળવા રાજી નથી. ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં લેપ્ટોપાયરોસિસના દર્દીઓની સંખ્યા વધી રહી છે. ગુજરાતમાં લેપ્ટોપાયરોસિસ માટે એડવાન્સ રિસર્ચ સેન્ટર બનાવવાની માંગ હજુ સંતોષાઇ શકી નથી. ગુજરાતને સિંધુ બેસિનનુ પાણી ફાળવવા માટે પણ રાજ્ય સરકારની વાત કેન્દ્રમાં અટવાઇ છે.આવા તો ઘણાં પડતર પ્રશ્નો છે. આમ,ગુજરાતના ઘણાં પડતર પ્રશ્નો પૈકી ઘણાં પ્રશ્નો વિશે ખુદ ભાજપ સરકારે જ કબૂલ્યુ કે, બે વર્ષમાં કેન્દ્રમાં દરખાસ્ત જ કરાઇ નથી.કેટલીય વાર સરકારે પત્ર-દરખાસ્ત મોકલીને માંગ કરી છે પણ કોઇ જવાબ મળતો નથી. ઘણાં પ્રશ્નો અંગે તો મોદી સરકારે જવાબ આપવાનુ જ ટાળ્યુ છે પરિણામે ગુજરાત સરકારનુ કેન્દ્રમાં કઇં ઉપજતુ ય નથી ને,કોઇ સાંભળતુ ય નથી.એટલે હારીથાકીને હવે રાજ્ય સરકારે પ્રશ્ન વિશે પૂછવાનુ જ ટાળ્યું છે.