શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 7 મે 2021 (23:44 IST)

એક તરફ થેલેસેમિયાગ્રસ્ત માતા કિંજલબહેનને લોહી ચડાવાતું, બીજી તરફ તેઓ બાળકીને સ્તનપાન કરાવતા

સમગ્ર વિશ્વમાં આવતીકાલે શનિવારે વર્લ્ડ થેલેસેમિયા ડે અને રવિવારે મધર્સ ડેની ઉજવણી થશે. ત્યારે આ બંને વૈશ્વિક દિનના મહિમાને ઉજાગર કરે તેવો ગુજરાતની એક એવી મહિલાનો કિસ્સો સામે આવ્યો છે. આ મહિલા પોતાના મજબૂત અને અડગ મનોબળને લીધે માતૃત્વને આડે આવનારા તમામ અંતરાયોને હરાવી ચુકી છે. થેલેસેમિયાગ્રસ્ત મહિલા એક તરફ બાળકીને સ્તનપાન કરાવે છે. તો બીજી તરફ તેના શરીરમાં લોહી ચડાવવામાં આવતું હોય છે.  કિંજલબહેન ગુજરાતની પ્રથમ સંભવિત એવી થેલેસેમિયાગ્રસ્ત બહેન છે કે જેમને આ જન્મજાત વ્યાધિ હોવા છતાં વિધાતા સામે હામ ભીડી અને પોતાની જીવલેણ પરિસ્થિતિ જાણતા હોવા છતાં ગર્ભધારણ કર્યો. અને સ્વસ્થ બાળકીને જન્મ આપીને જ રહ્યાં.  કિંજલબહેન જન્મથી જ થેલેસેમિયાગ્રસ્ત હતા. તેથી તેમના લગ્નમાં ઘણી અડચણો આવી. સદભાગ્યે તેમને નવિનભાઈ જેવો સમજદાર જીવનસાથી મળ્યો. મુલાકાત બાદ કિંજલબહેને નવિનભાઈને બિમારી વિશે સત્ય જણાવ્યું પણ નવિનભાઈનો કિંજલબહેન સાથે જ લગ્ન કરવાનો અફર રહ્યો.


પાંચ વર્ષ સુધી બંને એ પોતપોતાના પરિવારને મનાવ્યા અને 2017માં ધામધૂમથી લગ્ન કર્યાં. લગ્ન બાદ પતિ નવિનભાઈએ કિંજલબહેનના જીવને બચાવવા માટે બાળક દત્તક લેવાની તૈયારી દર્શાવી, પણ આ વાત કિંજલબહેનને મંજૂર નહોતી. તેમને પોતાના સંતાનને જન્મ આપવો હતો. આખરે કિંજલબહેનની સમજાવટ બાદ નવિનભાઈ તૈયાર થયા. કિંજલબહેને દવાઓ લઇને શરીર માતૃત્વ માટે તૈયાર કર્યું.  આ ઘટના એટલા માટે મહત્વની છે કારણકે થેલેસેમિયાના કોઇ પણ દર્દીના શરીરમાં હંમેશા લોહીની ઉણપ રહે છે, તેથી તેમને દર થોડા દિવસના અંતરે કોઇ ને કોઇ દાતાનું લોહી ચડાવવું પડતું હોય છે. તેમણે અડગ મનોબળ સાથે સ્વસ્થ બાળકી નવ્યાને પણ જન્મ આપ્યો. કિંજલબહેનને સતત દવાઓ અને સમયાંતરે લોહી ચડાવવા માટે જેવા પડકારોનો સામનો કરીને  પોતાની દિકરીને જન્મ આપ્યો. ઘણી વખત તો એવું થતું કે કિંજલબહેન લોહી મેળવવા માટે પોતાની નાની નવ્યાને જોડે લઇને હોસ્પિટલ જતાં જ્યાં એક તરફ લોહી ચડતું હોય અને બીજી તરફ નવ્યાને સ્તનપાન કરાવતા. કોરોનાની મહામારીમાં પણ સરકારની મદદથી કિંજલબહેનને લોહી ચડાવવાની સુવિધા મળી રહી, જેનાથી આ મહામારીના સમયમાં પણ કિંજલબહેનને બહુ તકલીફ ન પડી. આ બધી મુશ્કેલી કિંજલબહેને પાર કરી અને હવે તેમાંથી બહાર પણ આવી ગયા છે. હવે નવ્યા બે વર્ષની થઈ ગઈ છે અને સંપૂર્ણ સ્વસ્થ છે.   ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની થેલેસેમિયા કમિટિના ચેરમેન અને થેલેસેમિયા જાગૃતિ ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. અનિલ ખત્રી કહે  છે કે, કોરોના મહામારીની શરૂઆતથી જ ગુજરાતમાં થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓની તકલીફો શરૂ થઈ ગઈ હતી. થેલેસેમિયાના દર્દીઓ માટે સૌથી મહત્વનું લોહી હોય છે. ગુજરાત સરકારે દરેક બ્લડ બેન્કને વાહનો ફાળવ્યાં જેનાથી રક્તદાતાઓને ઘરેથી લાવવા અને મૂકી જવાનું અને લોહી મેળવવાનું કામ નિર્વિઘ્ને અને સમયસર થવા લાગ્યું છે.ગામડાઓમાં પણ રેડક્રોસ અને સરકારના વાહનોની મદદથી દર્દીને લાવવા અને મૂકી જવાની સુંદર વ્યવસ્થા ગોઠવાઈ હતી.  થેલેસેમિયાની દવા ખુબ જ મોંઘી હોય છે, જેને સિવિલ હોસ્પિટલ્સમાં સરકાર વિનામૂલ્યે આપે છે. થેલેસેમિયા દર્દી માટે પણ કોવિડ ઝોનમાં જવું જોખમી હતું, તેથી થેલેસેમિયાના દર્દીઓનો જીવ જોખમમાં ન મુકાય તે માટે શરૂઆતથી જ સરકારે ખુબ મોટી મદદ કરી. સરકારે આખા ગુજરાતમાં દરેક સિવિલ હોસ્પિટલથી થેલેસેમિયાની દવા લઇને રેડક્રોસની બ્રાન્ચ ઉપર મૂકી અને એ રીતે થેલેસેમિયાના દર્દી બાળકોને વિના વિઘ્ને અને કોવિડ ઝોનમાં ગયા વગર જ જીવનજરૂરી દવા ઉપલબ્ધ થઈ