શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 7 મે 2021 (18:29 IST)

સરકારે બે જ દિવસમાં માંગણીઓનો ઉકેલ લાવવાની ખાતરી આપ્યા બાદ સિનિયર ડૉક્ટરોની હડતાળ સમેટાઈ

સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબોએ સરકાર સામે બાયો ચઢાવીને વર્ષ 2008થી બાકી રહેલી બઢતી અંગે ત્વરિત નિર્ણય લેવાય તેવી માંગ કરીને પોતાની અલગ અલગ 15 માંગણીઓ મામલે સરકારની આવેદન પત્ર આપ્યાં હતાં. પરંતુ સરકાર તરફથી કોઈ પગલાં નહીં ભરાતાં તબીબોએ ગઈ કાલે ગુરુવારે ઘરણાં યોજ્યાં હતાં અને આંદોલનની ચીમકી આપી હતી. તેમને આ આંદોલનમાં જુનિયર ડોક્ટરોએ પણ ટેકો આપ્યો હતો. ત્યારે હવે સરકાર તરફથી તેમને બે દિવસમાં ઉકેલ લાવવાની ખાતરી અપાતાં હડતાળ પાછી ખેંચવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે મુખ્યમંત્રી રૂપાણીની સૂચનાથી ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં આરોગ્ય, FD, GAD ના અધિકારી અને GMTAના પ્રતીક મેમ્બર્સ વચ્ચે રચનાત્મક વાતચીત થઈ હતી. મંત્રી જાડેજાએ કોરોનાના દર્દીઓના હિતમાં હાલના GMTA ના પ્રતિક ઉપવાસ અને આંદોલન સ્થગિત કરવાની અપીલ કરતાં, ડોક્ટરોએ તેમના પર વિશ્વાસ બતાવી આંદોલન સ્થગિત કર્યું છે. ગૃહરાજ્ય મંત્રી જાડેજાએ મુખ્યમંત્રી સાથે મિટિંગ કરી, બે દિવસમાં પોઝિટિવ ઉકેલ આવશે તેવી ખાતરી આપતાં આંદોલન સમેટી લેવામાં આવ્યું છે. ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશન સાથે જોડાયેલા 1700 સિનિયર તબીબો ધરણા પર ઉતાર્યા હતાં .15 માંગણીઓ સાથે તબીબોની મહામારી વચ્ચે પ્રોફેસર તબીબોની હડતાળ શરુ થઈ હતી.2008 થી પેન્ડિંગ રહેલી 15 માંગણીઓ અનેક રજુઆત બાદ પણ સરકાર વિચારણા નહીં કરતી હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. સાતમા પગાર પંચના લાભથી પણ 1700 જેટલા ડોક્ટરો વંચિત રહ્યાં હોવાનું સિનિયર ડોક્ટરોએ જણાવ્યું હતું.