1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 27 ફેબ્રુઆરી 2021 (13:23 IST)

AMCમાં ભાજપ અને કોંગ્રેસ સહિત AIMIM તથા અપક્ષની પણ ઓફિસ બનશે, કોંગ્રેસના કાર્યાલયને નાનું કરી દેવાયું

હાલ AMCમાં ભાજપના જીતેલા ઉમેદવારની સંખ્યા 160 છે, જ્યારે કોંગ્રેસની 24, AIMIM 7 અને અપક્ષની 1 બેઠક છે
 
રાજ્યમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં અમદાવાદ મહાનગરપાલિકામાં ઓવૈસીની AIMIM પાર્ટીએ પણ ખાતું ખોલાવ્યું છે. જમાલપુર બેઠક પર ચારેય તેમજ મકતમપુરા બેઠક પર AIMIMના ત્રણ ઉમેદવારની જીત થઈ છે. એક અપક્ષ ઉમેદવાર કાળુભાઇ ભરવાડની જીત થતા હવે ભાજપ- કોંગ્રેસ ઉપરાંત આ બંનેના કાર્યાલય કોર્પોરેશનની ઓફિસમાં ઉભા કરવામાં આવી રહ્યા છે. કોર્પોરેશનની ઓફિસમાં ચોથા માળે વિપક્ષના નેતાની ઓફિસની સામે કોંગ્રેસના કાર્યાલયને નાનું કરી તેની બાજુમાં એક કેબિન બનાવવામાં આવી રહી છે. તેની બાજુમાં AIMIM માટે કાર્યાલય ઊભુ કરવામાં આવી રહ્યું છે.
 
AIMIM અને અપક્ષની પણ ઓફિસ બનશે
 
કોંગ્રેસના કાર્યાલયને નાનું કરી અને લાકડાનું પાટીશન મારી અને બાજુમાં એક કાર્યાલય ઊભુ કરવામાં આવી રહ્યું છે. જે કાર્યાલય અપક્ષમાંથી ચુંટણી લડી જીતેલા કાળુભાઇ ભરવાડને આપવામાં આવે તેવી શકયતા છે જ્યારે તેમની બાજુમાં બે ઓફિસને એક કરી કાર્યાલય બનાવવામાં આવી રહ્યું છે. જે AIMIMને આપવામાં આવે તેવી શકયતા છે. મેયર અને ડેપ્યુટી મેયર માટે આગામી દિવસમાં જાહેરાત બાદ બોર્ડ બનાવવામાં આવશે. હવે કોર્પોરેશનમાં ભાજપના જીતેલા ઉમેદવારની સંખ્યા 160 થઈ છે, જ્યારે કોંગ્રેસની 24, AIMIM 7 અને અપક્ષની 1 બેઠક છે.
 
કોંગ્રેસ હવે રિક્વીઝીશન બોર્ડ બોલાવી શકશે નહીં
 
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીના પરિણામ બાદ ભાજપ પાસે 160 કોર્પોરેટરોનું સંખ્યા બળ છે જ્યારે કોંગ્રેસ સહિત અન્ય પક્ષ અને અપક્ષ મળીને કુલ 32 કોર્પોરેટરોનું સંખ્યાબળ છે. તેવામાં 2015ની સરખામણીએ વિપક્ષ આ વખતે નબળો પડયો છે. અમદાવાદ શહેરના કોઇપણ પ્રાથમિક સુવિધાના મુદ્દે કે પછી કોઇ દુર્ઘટનાના મુદ્દે રિક્વીઝીશન બોર્ડ બોલાવવાની સત્તા પણ વિપક્ષે ગુમાવી છે. BPMC એક્ટની જોગવાઇ પ્રમાણે, વન ફોર્થ એટલે કે, 48 સભ્યો કે તેથી વધુ સભ્યોની સમંતિ સાથે દરખાસ્ત રજુ કરાય તો રિક્વીઝીશન બોર્ડ બોલાવી શકાય છે. ૨૦૨૧ની ચૂંટણીમાં શાસક પક્ષ વધુ મજબુત બન્યો છે તેની સંખ્યા 160 થઇ ગઇ છે જ્યારે વિપક્ષ માત્ર 32 કોર્પોરેટરોમાં સમેટાયો છે, જેમાં કોંગ્રેસ પાસે માત્ર 24 કોર્પોરેટરો છે.આ સંજોગોમાં તેઓ ક્યારેય રિક્વીઝીશન બોર્ડ બોલાવી શકશે નહીં.
 
ઓવૈસી ઈફેક્ટે અમદાવાદમાં કોંગ્રેસનું ગણિત ફેરવી નાખ્યું
 
ઓવૈસી ઇફેક્ટ અમદાવાદ શહેરમાં દેખાઈ હતી અને લઘુમતી વિસ્તારમાં કોંગ્રેસનું ગણિત ફેરવી નાખ્યું છે. હવે આગામી 2022ની વિધાનસભામાં કોંગ્રેસના બાપુનગર અને ખાડિયા સહિત જમાલપુર વિસ્તારમાં ગાબડું પડે એવાં સમીકરણો રચાયાં છે. એની સાથે કોંગ્રેસના ચાલુ ધારાસભ્ય ચિંતામાં મુકાયા છે.ઓવૈસી હવે 2022માં પણ વિધાનસભામાં પોતાની પાર્ટીના ઉમેદવાર ઊભા રાખશે; એ માટે પ્રયાસ શરૂ કર્યા છે.ખાનપુરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં AIMIMના તમામ જીતેલા ઉમેદવારોને મળીને આગળની રણનીતિ માટે પણ ધ્યાન દોર્યું હતું. શહેરમાં જમાલપુર વોર્ડમાંથી AIMIMના બીના પરમાર, અફસાનાબાનુ, મુસ્તાક ખાદીવાલા અને મોહમ્મદ રફીક શેખે કોંગ્રેસના ઉમેદવારોને પરાસ્ત કરી કોર્પોરેશનમાં એન્ટ્રી કરી છે. જ્યારે મક્તમપુરા વોર્ડમાંથી AIMIMના સુહાના મન્સુરી, જેનલબીબી શેખ અને મહંમદ પઠાણનો વિજય થયો છે.