ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 12 જૂન 2020 (11:55 IST)

ગુજરાતના આ વિસ્તારોમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 45 તાલુકામાં વરસાદ

હાલમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયુ હોઈ ગુજરાતના ઘણા ભાગમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી IMD દ્વારા કરી છે. જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લા વધારે પ્રભાવિત થવાની શક્યતા છે ત્યારે આ વિસ્તારના વહીવટીતંત્રને સચેત રહેવા સૂચન કર્યુ હતું આ ઉપરાંત આ બેઠકમાં સિંચાઈ વિભાગ, આર & બી વિભાગ, ફોરેસ્ટ વિગેરે અલગ-અલગ વિભાગ અને સેન્ટ્રલ વોટર કમિશન, એન.ડી.આર.એફ તેમજ એસ.ડી.આર.એફ દ્વાર પૂર્વ તૈયારીની પણ વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ આગામી વરસાદની સીઝનમાં સંભંવિતા આફતને પહોચી વળવા અને સાવચેત રહેવા ભાર પૂર્વક અનુરોધ કર્યો હતો.
 
હવામાન વિભાગે જણાવ્યું હતું કે 13 અને 14 જૂને સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે તેમાં પ્રથમ દિવસે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા જ્યારે બીજા દિવસે બનાસકાંઠા અને આણંદમાં ભારે વરસાદ પડશે.
 
રાજ્યમાં આજે સૌરાષ્ટ્ર, કચ્છમાં પવન સાથે ભારે વરસાદની સંભાવના છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, ખેડામાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે મધ્ય ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં શુક્રવારે ભારે વરસાદ પડી શકે છે.
 
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 45 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢના માળિયામાં 2.5 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે ગઢડામાં સવા 2 ઈંચ, કુતિયાણામાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. તો તાલાલામાં 2 ઈંચ, મેંદરડામાં પોણા 2 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે રાણાવાવમાં પોણા 2 ઈંચ, માણાવદરમાં 1.5 ઈંચ વરસાદ, ગીર ગઢડામાં સવા ઈંચ, વડિયામાં સવા ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે ચોર્યાસીમાં 1 ઈંચ, ગોંડલમાં પોણો ઈંચ વરસાદ પડ્યો છે. તો ભાણવડ, વિસાવદર, ખંભાળિયા, ઉમરગામમાં પોણો ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે માંડવી અને લાલપુરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે.
 
રાહત કમિશનર અને સચિવ હર્ષદ આર. પટેલના અધ્યક્ષ સ્થાને વેઘર વોચ ગૃપની બેઠક એન.આઈ.સીના વિડિયો સોફ્ટવેરના માધ્યમથી ઓનલાઈન યોજાઈ હતી. જેમાં રાહત કમિશ્નરએ આગામી વરસાદની સીઝનમાં સંભવિત આફતને પહોચી વળવા અને તમામ પરિસ્થિતિમાં સાવચેત રહેવા અનુરોધ કર્યો હતો.
 
તેમણે આરોગ્ય વિભાગને ખાસ કોવિડ-૧૯ મહામારી માટે યોગ્ય કાળજી તેમજ તમામ જરૂરી વ્યવસ્થા ગોઠવી રાખવા સૂચના આપી હતી . આ ઉપરાંત આર એન્ડ બી વિભાગને રાહત નિયામક દ્વારા જિલ્લામાં જર્જરીત મકાનનો સરવે કરવા તેમજ કોઈ અનિચ્છનીય બનાવ બને તો તત્કાલિક સંબંધિત કલેકટરને જાણ કરવા સુચના આપી હતી.