1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 14 મે 2021 (14:16 IST)

'કોરોના' સામે રક્ષણ મેળવવા માટે ડાંગ સહિત આસપાસના ગામોમા થશે "પંચતત્વ શુદ્ધિકરણ યજ્ઞ"

દંડકારણ્યની પાવન ભૂમિમા ચૈત્રી નવરાત્રિથી શરૂ થયેલા એક માસના 'વૈશ્વિક શાંતિ વૈદિક હવન' ની શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂર્ણાહુતિ કરવામા આવી છે. આ યજ્ઞની ફળશ્રુતિ રૂપે હવનની પૂર્ણાહુતિ સાથે "પંચતત્વ શુદ્ધિકરણ યજ્ઞ"નો પ્રારંભ થઈ રહ્યો છે. 
 
ડાંગ જિલ્લાના વનપ્રદેશમા આવેલા રજવાડી ગામ વાસુરણા ખાતે વિશ્વ કલ્યાણની ભાવના સાથે વર્ષભર અનેક સેવા પ્રવૃત્તિઓ કરતા 'તેજસ્વિની સંસ્કૃતિ ધામ' ખાતે ગત ચૈત્રી નવરાત્રિથી એક માસના 'વૈશ્વિક શાંતિ વૈદિક હવન' ની શરૂઆત કરવામા આવી હતી. જેની પુર્ણાહુતી વેળા પ્રાપ્ત થયેલી 'દૈવી જ્યોત' સાથે અહીંથી 'પંચતત્વ શુદ્ધિકરણ યજ્ઞ' નો પ્રારંભ થઇ રહ્યો છે. 
આ અંગેની ભૂમિકા સ્પષ્ટ કરતા સંસ્થાના સ્થાપક સુશ્રી હેતલ દીદી એ વિશ્વભરમા વ્યાપ્ત 'કોરોના' ની મહામારીથી ઈશ્વર સંપૂર્ણ જગતને મુક્તિ અપાવે, તથા ભારતવર્ષની સાથો સાથ સંપૂર્ણ જગતને પણ સ્વસ્થતા પ્રદાન કરે તેવો આશય રહેલો છે, તેમ જણાવ્યુ હતુ. 
 
સાંપ્રત સમયમા ચારે કોર જ્યારે 'કોરોના' હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે, વાતાવરણમા ફેલાયેલા રોગયુક્ત જીવાણુ અને વિષાણુઓના નાશ માટે, તથા પ્રજાજનોની રોગ પ્રતિકારક શક્તિમા વધારો થાય તે માટે 'તેજસ્વિની સંસ્કૃતી ધામ' વાસૂર્ણા ખાતે ગત તા.૧૩ એપ્રિલ થી ૧૩ મે સુધી વિવિધ પ્રકારની વન ઔષધિઓના ઉપયોગ દ્વારા સતત એક મહિના સુધી વૈદિક હવન કરવામા આવ્યો હતો. 
 
પ્રકૃતિના સાનિધ્યમા કરેલા આ વૈદિક હવન બાદ તેની ફલશ્રુતિ રૂપે પ્રભુકૃપા થી પ્રાપ્ત થયેલી 'દિવ્ય જ્યોત' વડે આગામી દિવસોમા વાસુરણા સહિત શિવારીમાળ, બારીપાડા, આહવા, વધઈ, બીલીમોરા, અમલસાડ, વલસાડ, નવસારી, સુરત સહિતના શહેરોમા તથા ગામડાઓમા પણ "પંચતત્વ શુદ્ધિકરણ યજ્ઞ" નુ આયોજન કરાયુ છે. જેમા દરેક શહેરો, અને ગામના યુવાનો, યુવતિઓ, વિવિધ સંસ્થાઓ ભાગ લઇ શકશે. 
જેમના દ્વારા 'કોરોના' દર્દીઓ માટે સરકારે તૈયાર કરેલા 'કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ', 'આઇસોલેશન સેન્ટર્સ' વિગેરે નજીક હવન કરી વાતાવરણ શુદ્ધિ અભિયાન ચલાવવામા આવશે. 
 
સૂર્યોદય કે સૂર્યાસ્તના સમયે આવા સેન્ટરો કે ગામની કોઈ પણ શેરી કે સોસાયટીઓમા ગાયના ગોબરના છાણા, ગાયનુ દેશી ઘી, હવન સામગ્રી, વિવિધ પ્રકારની સમીધા, ગૂગળ, કપૂર, લોબાન, લવિંગ, બિલ્વ પત્ર એવમ બિલ્વ ફળ, લીમડો, દાભડો, આંકડો, તુલસી, વડલો, નીલગીરી ના પાન, નવગ્રહ વનસ્પતિ, તલ, કમળ કાકડી, અરડૂસી વિગેરે ઔષધીઓનો ધુમાડો કરી, સમગ્ર ક્ષેત્રને પ્રાચીન વૈદિક પદ્ધતિથી સેનેટાઈઝર કરવામા આવશે. 
 
જે કોઈ પોતાના ક્ષેત્રમા આ યજ્ઞ યાત્રા દ્વારા શુદ્ધિકરણ અભિયાન કરવા માંગતા હોય તો તેમણે જય ગોપાલ જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ નવસારી/સુરત, તથા તેજસ્વિની સંસ્ક્રુતિ ધામ પરિવાર-ડાંગ, વલસાડ, નવસારી, સુરતનો સંપર્ક કરી શકે છે.