પાવાગઢ જતાં ભક્તો માટે મહત્વના સમાચાર: આજથી 8 ઓગસ્ટ સુધી રોપવે સેવા બંધ રહેશે
પાવાગઢ મહાકાળી માતાજીના દર્શન કરવા જતાં શ્રદ્ધાળુઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. મંદિર તંત્ર દ્વારા પાવાગઢ ખાતે ચાલતી રોપવે સેવા આજથી લઈને 8 ઓગસ્ટ સુધી સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યાત્રાળુઓની સુરક્ષા અને રોપવેના સુચારુ સંચાલનને ધ્યાનમાં રાખીને નિયમિત મેન્ટેનન્સ અને તકનીકી ચકાસણી હાથ ધરવા માટે આ સેવા સતત પાંચ દિવસ સુધી સ્થગિત કરવામાં આવી છે.
રોપવે સેવા બંધ રહેવાના કારણે આ દિવસો દરમિયાન પાવાગઢ આવતા ભક્તોએ મહાકાળી માતાના દર્શન કરવા માટે મંદિર સુધી પહોંચવા પગથિયાં ચડીને જવું પડશે અથવા તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવાયેલી અન્ય વૈકલ્પિક વ્યવસ્થાઓનો ઉપયોગ કરવો પડશે. અચાનક રોપવે સેવા બંધ રહેવાથી ખાસ કરીને વૃદ્ધ, બાળકો અને અશક્ત શ્રદ્ધાળુઓને થોડી અગવડતાનો સામનો કરવો પડી શકે છે.
તંત્ર દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે રોપવેનું તમામ તકનીકી મેન્ટેનન્સ કામ પૂર્ણ થયા બાદ 8 ઓગસ્ટથી સેવાઓ પૂર્વવત અને નિયમિત રીતે શરૂ કરી દેવામાં આવશે. આથી, આગામી દિવસોમાં પાવાગઢ દર્શનાર્થે આવવાનું આયોજન કરી રહેલા તમામ યાત્રાળુઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ પોતાની મુસાફરીનું આયોજન કરતાં પહેલાં આ સૂચનાની ખાસ નોંધ લે.
