શુક્રવાર, 14 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 1 એપ્રિલ 2021 (18:46 IST)

વિધાનગૃહમાં કરી જાહેરાત, સુપ્રસિદ્ધ તીર્થ ચામુંડા ધામ ચોટિલામાં બનશે રોપ-વે

Rope-way to be made at Chamunda Dham Chotila
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટિલામાં પર્વતની ટોચે બિરાજતા ચામુંડા માતાના દર્શને હવે ઝડપથી પહોચી શકાય તેવી યાત્રિ સુવિધા માટે ચોટિલામાં રોપ-વે સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ ગુજરાત વિધાનસભાના હાલ ચાલી રહેલા અંદાજપત્ર સત્રના આજના અંતિમ દિવસે પ્રશ્નોત્તરી કાળ દરમ્યાન એક પ્રશ્નના ઉત્તરની ચર્ચામાં સહભાગી થતાં આ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. 
 
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં આવેલા પવિત્ર યાત્રાધામોમાં આવતા શ્રદ્ધાળુ-યાત્રિકોની સુવિધા માટે રાજ્ય સરકારે યાત્રી સુખાકારીના અનેક આયોજનબદ્ધ કામો ઉપાડયા છે. તેમણે આ સંદર્ભમાં કહ્યું કે હાલ આદ્યશક્તિ પીઠ અંબાજી, મહાકાળી ધામ પાવાગઢમાં દર્શનાર્થીઓ માટે રોપ-વે સફળતાપૂર્વક કાર્યરત છે. 
 
તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એશિયાના સૌથી મોટા રોપ-વે ગિરનાર રોપ-વે ની સેવાઓ પણ લોકાર્પણ કરી છે. આ ત્રણેય રોપ-વે સેવાઓને યાત્રિકો-પ્રવાસીઓના મળી રહેલા અપ્રતિમ પ્રતિસાદને પગલે હવે રાજ્યમાં ચામુંડા ધામ ચોટિલા ખાતે પણ રોપ-વે સેવા શરૂ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ રોપ-વે કામગીરી માટેની એજન્સી પણ નિયત કરી દેવામાં આવી છે અને આવનારા દિવસોમાં આ રોપ-વે નિર્માણની કામગીરી શરૂ થઇ જશે.
 
ચોટિલામાં રોપ-વે શરૂ કરવાના રાજ્ય સરકારના આ નિર્ણયને પરિણામે હવે, ચામુંડા માતાજીના દર્શનાર્થે આવતા વરિષ્ઠ વડીલો, વૃદ્ધો, બાળકો કે જરૂરતમંદ યાત્રિકોને રોપ-વે દ્વારા ચોટિલા પર્વતની ટોચે માતાજીના દર્શને પહોચવામાં સરળતા થશે. એટલું જ નહિ, સમય અને શ્રમ પણ બચશે. આ રોપ-વે સેવા શરૂ થવાથી ચોટિલા યાત્રાધામની તળેટી સહિતના આસપાસના વિસ્તારોમાં વધુ પ્રમાણમાં યાત્રિકો-પર્યટકો આવતા થશે અને સ્થાનિક કક્ષાએ રોજગારી તેમજ આર્થિક ગતિવિધિને પણ નવું બળ મળશે.