શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 6 ફેબ્રુઆરી 2020 (13:05 IST)

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ નિયમમાં સુધાર્યો કર્યો, વિદ્યાર્થીઓ બધા વિષયોમાં રિએસેસમેન્ટ કરાવી શકશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બુધવારે સિન્ડિકેટની બેઠક યોજાઇ હતી જેમાં વિદ્યાર્થીઓના હિતમાં બહુ મહત્ત્વના કહી શકાય તેવા બે નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં અન્ય યુનિવર્સિટીની જેમ વિદ્યાર્થીઓ હવે તમામ વિષયોમાં રિએસેસમેન્ટ કરાવી શકશે અને પ્લેગરીઝમના વિવાદમાં કોઇપણ ભાષામાં પીએચ.ડી.ના વિદ્યાર્થીઓ થીસિસ જમા કરાવી શકશે તેવો નિર્ણય કરાયો છે. રાજ્યની અમુક યુનિવર્સિટીઓમાં વધુ પરિણામો બાદ તમામ પેપરો ખોલાવવાની અને અમુક યુનિવર્સિટીમાં ત્રણથી વધુ પેપરોનું રિએસેસમેન્ટની છૂટ હોવાના અખબારી માધ્યમોમાં આવેલા અહેવાલ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટે પણ પોતાના નિયમોમાં સુધારો કર્યો છે અને હવે વિદ્યાર્થીઓ તમામ પેપરોનું રિએસેસમેન્ટ કરાવી શકશે તેવો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત પ્લેગરીઝમનો વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો હતો જેમાં પણ યુનિવર્સિટીએ કોઇપણ ભાષામાં પીએચ.ડી.ની થીસિસ રજૂ કરી શકાશે તેવો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત બી.એડ. અને લો ફેકલ્ટીમાં ટેબ્લેટ વિતરણ બાબતની દરખાસ્તમાં બન્ને ફેકલ્ટીમાં ટેબ્લેટ આપવા સરકારમાં રજૂઆતનો નિર્ણય કરાયો છે. જ્યારે બિન શૈક્ષણિકની ખાલી 13 જગ્યાની ભરતી માટે પ્રક્રિયા પહેલા તેની લાયકાતના ધારાધોરણ નક્કી કરવા કમિટી રચવા નિર્ણય કરાયો છે આ કમિટીની રચનાની સત્તા સિન્ડિકેટે કુલપતિને સોંપી છે અને કમિટીના રિપોર્ટ બાદ નવેસરથી જાહેરાત આપવા નિર્ણય કરાયો હતો. જ્યારે પ્લેસમેન્ટ હેઠળ ગત વર્ષે લેવાયેલા 440 જેટલા કરાર આધારિત કર્મચારીઓને કારણે ભવિષ્યમાં સ્ટાફને નિયમિતધોરણે સમાવવા માટેના કાયદાકીય પ્રશ્નો ઉપસ્થિત ન થાય તે માટે ફરી આઉટસોર્સિંગ એજન્સીના હવાલે મૂકવા બે નિષ્ણાતના અભિપ્રાય બાદ તમામ સિન્ડિકેટ સભ્યોની કમિટી રચી તેમાં આગામી દિવસોમાં બેઠક યોજી ચર્ચા-વિચારણા બાદ નિર્ણય કરવા નક્કી કરાયું હતું.