ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 11 સપ્ટેમ્બર 2020 (13:07 IST)

અમદાવાદમાં સી પ્લેનનું એરોડ્રામ બનાવવા 4 હજાર ચોરસમીટર જમીનની ફાળવણી થઈ

કેન્દ્ર સરકારની ઉડાન યોજના અંતર્ગત ગુજરાતમાં શરૂ થનારી આ સી પ્લેન સેવા માટે સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી તથા પાલિતાણામાં શેત્રુંજી નદીના સ્થળની પસંદગી કરવામાં આવી છે. સી પ્લેનનું એરપોર્ટ બનાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકાએ 4,074 ચોરસમીટર જમીન નાગરિક ઉડ્ડયન વિભાગને ફાળવવાનો નિર્ણય લીધો છે, સી પ્લેનના એરોડ્રામ માટેની જમીન સાબરમતી નદીના પશ્ચિમ બાજુના આંબેડકર બ્રિજ પાસેના પાલડી બાજુ ફાળવવામાં આવી છે. અમદાવાદ સાબરમતીમાં વોટર એરોડ્રામ માટે, સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સી પ્લેન એરોડ્રામ બનાવવા માટેની લોટિંગ જેટી અમદાવાદ મોકલવામાં આવતી હોવાની રાજ્યકક્ષાના કેન્દ્રીય શિપિંગમંત્રી મનસુખ માંડવિયાએ કેટલીક તસવીરો ટ્વીટ કરી હતી. મનસુખ માંડવિયા પોતાના ટ્વીટમાં લખ્યું છે કે ' અમદાવાદ આવી રહી છે ઇનોવેટિવ કોન્ક્રીટ લોટિંગ જેટી!' તેમણે લખ્યું છે કે સાબરમતી રિવરફ્રન્ટ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક નર્મદા નદી પર બનનારા વોટર–એરોડ્રામનો આ ભાગ છે. સી પ્લેન ટૂંક સમયમાં જ હકીકત બનશે! સાથે જ તેમણે શિપિંગ મંત્રાલય અને ઇનલેન્ડ વોટરવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના આ પ્રોજેકટમાં ઝડપ કરવા માટે વખાણ પણ કર્યા. 2017માં વિધાનસભાની ચૂંટણી સમયે પીએમ મોદીએ સી પ્લેનની ચર્ચા શરૂ કરી હતી. હવે, કેન્દ્ર સરકારે 19 પેસેન્જરની ક્ષમતા ધરાવતાં ત્રણ એરોપ્લેનની પસંદગી કરી લીધી છે. આ પ્લેન સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર ઊડશે.  સ્ટેચ્યૂ ઓફ યુનિટી વચ્ચે શરૂ થનારી સી પ્લેન સર્વિસનું ભાડું 4થી 5 હજાર હોવાનું જણાવાઈ રહ્યું છે. આ ઉપરાંત રોજ ચાર જેટલી લાઇટ ઉડાણ ભરી શકાશે અને સી પ્લેનમાં 2 પાયલટ, 2 ઓન–બોર્ડ ક્રૂ-મેમ્બર્સ હશે. ગુજરાતમાં 2017ની વિધાનસભા ચૂંટણી સમયે પીએમ મોદીએ અગાઉ કોઈપણ પ્રકારની જાહેરાત કર્યા વિના અચાનક અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી સી પ્લેનથી મુસાફરી કરી હતી. જોકે બાદમાં આ પ્રોજેકટ અટવાઈ ગયો હતો. બાદમાં હવે એકાએક સી પ્લેન માટેની તૈયારીઓ પુરજોરમાં શરૂ થઈ ગઈ છે.