ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 7 ડિસેમ્બર 2021 (11:16 IST)

આજે વિદેશથી અમદાવાદ આવનારી 14 ફ્લાઈટમાં 2 હજારથી વધુ મુસાફરો આવશે, હાઇ રિસ્ક કન્ટ્રી' યુકે અને સિંગાપોરનો સમાવેશ

નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસમાં થઇ રહેલા સતત વધારાને પગલે કોરોના વાયરસ ફરી માથું ઉંચકે તેવી દહેશત વ્યાપી ગઇ છે. વિદેશથી આવતા મુસાફરો પર વોચ વધારવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ ખાતે આજે  વિદેશમાંથી 14 ફ્લાઇટમાં 2 હજારથી વધુ મુસાફરો આવશે. અમદાવાદ એરપોર્ટમાં આગામી 24 કલાકમાં જે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ આવવાની છે તેમાં 'હાઇ રિસ્ક કન્ટ્રી' લંડન-સિંગાપોરનો પણ સમાવેશ થાય છે. ગત શુક્રવારે આ ફ્લાઇટ લંડનથી અમદાવાદ આવી ત્યારે તેમાં એક મહિલા કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. આજે રાત્રે 9.50 વાગ્યે સિંગાપોર એરલાઇન્સની ફ્લાઇટ અમદાવાદ આવશે. આ ફ્લાઇટમાં પણ 200 જેટલા મુસાફરો હોવાનો અંદાજ છે. બ્રિટન-સિંગાપોર હાઇ રિસ્ક કન્ટ્રીમાં સામેલ છે. જેના પગલે આ ફ્લાઇટના તમામ મુસાફરોનો RTPCR ટેસ્ટ કરવામાં આવશે. RTPCR ટેસ્ટના રીઝલ્ટ બાદ જ આ મુસાફરોને જવા દેવામાં આવશે. લંડન, સિંગાપોર સિવાયના મુસાફરોને રેન્ડમલી RTPCR ટેસ્ટ બાદ જવા દેવાશે. આજે એક જ દિવસમાં 2 હજાર જેટલા વિદેશથી આવનારા મુસાફરોના આગમનને પગલે તંત્ર સાબદું થઇ ગયું છે. અમદાવાદ એરપોર્ટ પર બે પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે. એક રેપીડ RTPCR જેમાં માત્ર 1 જ કલાકમાં રિપોર્ટ આવી જાય છે.જ્યારે અન્ય એક નોર્મલ RTPCR ટેસ્ટ  જેનો રિપોર્ટ 8થી 10 કલાકે આવે છે. જો રેપિડ RTPCR કરવો તો તેનો ચાર્જ 2700 વસુલવામાં આવે છે, જ્યારે નોર્મલ RTPCRનો ચાર્જ 400 વસુલવામાં આવે છે. કોઈ મુસાફર કોવિડ ટેસ્ટ કરવી ઝડપથી જ બહાર નીકળવા ઈચ્છતો હોય છે જેથી તેને 2700 રૂપિયા ચૂકવવા પડે છે. જો પાંચ સભ્યોના પરિવાર સાથે કોઈ મુસાફર આવતો હોય તો તેને ટેસ્ટ માટેના જ 13 હજાર 500 જેટલો ચાર્જ ચૂકવવો પડે છે. આટલી મોટી રકમના ચૂકવવી હોય તો તેને 8 થી 10 કલાક ટર્મિનલ પર ફરજીયાત બેસી રહેવું પડે એટલે મજબૂરીના માર્યા પણ ખિસ્સા પર બોઝ નાખવો પડે છે.