1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 29 જુલાઈ 2020 (09:34 IST)

વિજય રૂપાણી આજે રાજકોટ-વડોદરાની મુલાકાતે, કેસની સંખ્યા હજારને પાર

મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે બુધવાર તા. ર૯ જુલાઇએ રાજકોટ અને વડોદરાની કોરોના સંક્રમણ નિયંત્રણની સમીક્ષા માટે એક દિવસીય મુલાકાત લેશે. તેઓ બુધવાર સવારે ૧૦-૩૦ કલાકે રાજકોટ પહોચીને રાજકોટ શહેર તેમજ ગ્રામીણ ક્ષેત્રની કોરોના કોવિડ-19ની સ્થિતી સંદર્ભમાં કલેકટર, મ્યુનિસિપલ કમિશનર, ડી.ડી.ઓ તેમજ શહેર પોલીસ કમિશનર સાથે સમીક્ષા બેઠક યોજશે. મુખ્યમંત્રી - નાયબ મુખ્યમંત્રી ત્યારબાદ સાંસદો, ધારાસભ્યો અને રાજકોટના મેયર તથા મહાપાલિકાના પદાધિકારીઓ સાથે બેઠક યોજવાના છે.
 
વિજય રૂપાણી અને નીતિન પટેલ IMA રાજકોટ બ્રાન્ચના અગ્રણી તબીબો અને રાજય સરકારના મહત્વપૂર્ણ ડૉકટરો સાથે પણ મિટીંગ કરવાના છે. તેઓ ત્યારબાદ રાજકોટમાં મિડીયા બ્રિફીંગ કરશે અને બપોર બાદ વડોદરા જવા રવાના થશે. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સાથે રાજકોટ-વડોદરાની આ સમીક્ષા મુલાકાતમાં મુખ્ય સચિવ અનિલ મૂકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ પણ જોડાવાના છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી-નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને આ વરિષ્ઠ અધિકારીઓ સાથે બપોર બાદ ૩-૦૦ વાગ્યે વડોદરા પહોચશે.
 
સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે સૌરાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ 747 એક્ટિવ કેસો રાજકોટમાં છે. સૌરાષ્ટ્રમાં સોમવારે પાંચ વાગ્યા સુધી કુલ 2616 એક્ટિવ કેસો છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 3603 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 1,43,727 કોરોનાના ટેસ્ટ કરાય છે. તેમજ સૌરાષ્ટ્રમાં હાલ, 97,645 લોકો ક્વોરેન્ટાઇનમાં છે.
 
જ્યારે સૌરાષ્ટ્રમાં સૌથી ઓછા એક્ટિવ કેસો પોરબંદરમાં 11, દેવભૂમિ દ્વારકમાં 16, બોટાદમાં 59 અને મોરબીમાં 59 એક્ટિવ કેસો છે. આ સિવાય અમરેલીમાં 161, ગીર સોમનાથમાં 175, જામનગરમાં 184 અને જૂનાગઢમાં 214 એક્ટિવ કેસ છે.
 
તેઓ વડોદરામાં પણ શહેર અને ગ્રામીણ ક્ષેત્રની કોરોના સંક્રમણ નિયંત્રણ સ્થિતિની સમીક્ષા માટે જિલ્લાના શહેરી અને વહિવટીતંત્ર-પંચાયત-પોલીસતંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજશે. મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રી વડોદરા શહેર જિલ્લાના વિધાયકો, મહાનગરપાલિકાના મેયર અને પદાધિકારીઓ તેમજ IMAના વડોદરા બ્રાન્ચના અગ્રણી તબીબો સાથે તબક્કાવાર બેઠક યોજી સ્થિતીની વિગતો મેળવી માર્ગદર્શન આપવાના છે. વડોદરામાં બેઠકોની શૃંખલા પૂર્ણ કરીને મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રી મિડીયા બ્રિફીંગ કરશે અને ત્યારબાદ ગાંધીનગર પરત આવશે.