1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 7 એપ્રિલ 2022 (12:29 IST)

ગુજરાતમાં જળસંકટઃ ઉત્તર ગુજરાતના જળાશયોમાં 16 અને કચ્છમાં 23 ટકાથી પણ ઓછું પાણી બચ્યું

drinking water
ગુજરાત સહિત દેશભરમાં ઉનાળાની શરૂઆત થઈ રહી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પણ ઓળંગી ગયો છે. ત્યારે વધતી ગરમી સાથે હવે રાજ્યમાં જળ સંકટ ઊભું થઈ શકે છે. રાજ્યના જળાશયોમાં પાણીની સ્તર સતત ઘટી રહ્યું છે. તેમાં પણ ઉત્તર ગુજરાત અને કચ્છના જળાશયોમાં તો અનુક્રમે 16 અન 23 ટકા જ પાણીનો જથ્થો બાકી રહ્યો છે. હજુ તો ઉનાળાની શરૂઆતમાં જ જળાશયોની આ સ્થિતિ છે.

નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના ડેટા મુજબ, 5મી એપ્રિલ સુધીના રાજ્યના જળાશયોમાં કુલ 52.93 ટકા જેટલો પાણીનો જથ્થો છે. જેમાં ઉત્તર ગુજરાતના 16 જળાશયોમાં 16.16 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 49.68 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 68.03 ટકા, કચ્છના 20 જળાશયોમાં 23.22 ટકા તથા સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 46.39 ટકા પાણીનો જથ્થો છે. ઉપરાંત સરદાર સરોવર ડેમમાં હાલ 50.27 ટકા પાણીનો જથ્થો છે.જે મુજબ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની સ્થિતિ હાલની દ્રષ્ટિએ સારી કહી શકાય. પરંતુ ઉત્તર ગુજરાત અને કચ્છમાં આગામી સમયમાં પાણીની તીવ્ર તંગી ઊભી થઈ શકે છે.

ઉત્તર ગુજરાના બનાસકાંઠાના જળાશયોમાં તો માત્ર 7.09 ટકા જ પાણીનો જથ્થો રહ્યો છે. જ્યારે સાબરકાંઠામાં 14.70 ટકા, અરવલ્લીમાં 18.97 ટકા અને મહેસાણામાં 21.44 ટકા પાણીનો જથ્થો છે. કચ્છના 20 જળાશયોમાં પણ સ્થિતિ વધુ સારી ન કહી શકાય.ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની વાત કરીએ તો હાલમાં તેમાં 50 ટકા જેટલો પાણીનો જથ્થો છે. જોકે બીજી તરફ રાજ્યના 206માંથી 38 ડેમ એવા છે જેમાં 10 ટકાથી પણ ઓછું પાણી છે. જેમાના 13 ડેમોમાં 1 ટકાથી પણ ઓછું પાણી છે. ઉનાળાની શરૂઆતમાં જ રાજ્યના જળાશયોની આ સ્થિતિ છે, ત્યારે એપ્રિલ બાદ મે તથા જૂન મહિનામાં આ સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.