Video - મોરબીમાં 'ડાન્સિંગ વોટર': કૂવામાંથી દરિયાઈ મોજાંની જેમ ઊછળતાં પાણીએ લોકોમાં જગાડ્યું કુતૂહલ, જાણો શુ કહે છે વૈજ્ઞાનિક ?
Morbi dancing well
મોરબી નજીકના વીરપરડા ગામમાં એક રહસ્યમય ઘટના સામે આવી છે, જ્યાં એક 18 ફૂટ ઊંડા કૂવામાં છેલ્લા ચાર દિવસથી પાણી દરિયાના મોજાંની જેમ સતત ઊછળી રહ્યું છે. કૂવામાં 'ડાન્સિંગ વોટર' જેવા આ અસામાન્ય દ્રશ્યોનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોમાં ભારે આશ્ચર્ય અને કુતૂહલ સર્જાયું છે.
A mysterious well in Virparda village, Morbi taluka, Gujarat, India, showed unusual activity again today. Its water appeared to move on its own, resuming around 3:00 PM after a similar disturbance two days ago. Large crowds have gathered, and the cause remains unknown, though… pic.twitter.com/mw9xrI9Cyb
— Weather Monitor (@WeatherMonitors) August 7, 2026
સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતાં લોકોની ભારે ભીડ જામી
જામનગર-અમૃતસર નેશનલ હાઈવે પર સ્થિત ખેતરના આ કૂવામાં અચાનક પાણીની વિચિત્ર હિલચાલ શરૂ થતાં જ તેના વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા હતા. અસામાન્ય અને ચમત્કારિક લાગતી આ ઘટનાને નજરે જોવા માટે આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. કૂવા તરફ આવતાં લોકોએ પોતાના મોબાઈલ ફોનમાં આ દ્રશ્યો કેદ કર્યા હતા.
ચમત્કાર કે વૈજ્ઞાનિક કારણ? લોકોમાં વિવિધ તર્ક-વિતર્ક
કૂવામાં સમુદ્રની લહેરોની જેમ સતત હલતા પાણીને જોઈને લોકોમાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ છે. સ્થળ પર પહોંચેલા કેટલાક સ્થાનિક લોકો તેને કોઈ દૈવી ચમત્કાર ગણાવી રહ્યા છે, તો બીજી તરફ જાગૃત નાગરિકોનું માનવું છે કે પાણીની આ પ્રકારની વર્તણૂક પાછળ પૃથ્વીના ભૂગર્ભમાં થતી કોઈ હિલચાલ, ગેસનું દબાણ કે અન્ય કોઈ વૈજ્ઞાનિક કારણ હોઈ શકે છે.
અન્ય કૂવાઓ શાંત, જ્યારે આ જ કૂવામાં તોફાની હિલચાલથી અચરજ
કૂવાના માલિક પ્રાણજીવનભાઈ સાદરિયાના જણાવ્યા અનુસાર, તેમણે આશરે ત્રણ મહિના પહેલાં જ પોતાના ખેતરમાં 30 ફૂટ વ્યાસ અને 18 ફૂટ ઊંડાઈ ધરાવતો આ કૂવો બનાવડાવ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે આસપાસના અન્ય તમામ કૂવાઓમાં પાણી સંપૂર્ણપણે શાંત છે, જ્યારે માત્ર તેમના જ કૂવામાં છેલ્લા ચાર દિવસથી પાણી સતત તોફાની બનીને ઊછળી રહ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા પણ આ રહસ્યમય મોજાં પાછળના સાચા કારણની તપાસ શરૂ કરવામાં આવી છે.
વૈજ્ઞાનિકે જાહેર કર્યુ સાચુ કારણ
મોરબીના જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી જગદીશ વાઢેરના જણાવ્યા મુજબ, પ્રારંભિક તપાસમાં ભૂકંપીય પ્રવૃત્તિના કોઈ પુરાવા મળ્યા નથી.
તેમણે સમજાવ્યું કે તાજેતરના ભારે વરસાદને કારણે ભૂગર્ભજળનું સ્તર ઝડપથી વધી રહ્યું છે. તેના કારણે ભૂગર્ભ ખડકોમાં નાના છિદ્રોમાં ફસાયેલી હવા બહાર નીકળી રહી છે. આ હવા પાણીની સપાટી પર દબાણ બનાવી રહી છે, જેનાથી તરંગો ઉત્પન્ન થઈ રહ્યા છે.
ભૂસ્તરશાસ્ત્રીએ એમ પણ સમજાવ્યું કે કૂવો રસ્તાની બાજુમાં સ્થિત છે, જ્યાં પવનનો પ્રવાહ વધુ છે. આ પાણીની સપાટી પર ગતિ પણ વધારી શકે છે.
ભૂકંપ સાથે કોઈ સંબંધ નથી, સંસ્થા પણ પુષ્ટિ કરે છે
જગદીશ વાઢેરએ જણાવ્યું હતું કે આ બાબતે ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR) નો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. સંસ્થાએ સ્પષ્ટતા કરી હતી કે આ વિસ્તારમાં કોઈ સક્રિય ફોલ્ટ લાઇન અથવા ભૂકંપીય પ્રવૃત્તિ નથી, એટલે કે આ ઘટના ભૂકંપ સાથે સંબંધિત નથી.
ગુજરાત ભૂગર્ભજળ સંશોધન સંસ્થા વિગતવાર કરશે તપાસ
મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો બાદ જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીઓએ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. પ્રારંભિક તપાસમાં પાણીની ગતિવિધિનું કારણ ફસાયેલી હવા હોવાનું જણાય છે.
જોકે, ગુજરાત ભૂગર્ભજળ સંશોધન સંસ્થાની એક ટીમને અંતિમ નિષ્કર્ષ પર પહોંચવા માટે વિગતવાર અભ્યાસ કરવા સૂચના આપવામાં આવી છે. ટીમ સરકારને પોતાનો અહેવાલ સુપરત કરશે, જેના પછી આ અનોખી ઘટનાની વૈજ્ઞાનિક રીતે પુષ્ટિ થઈ શકશે.
આકર્ષણનું કેન્દ્ર રહ્યું
અંતિમ અહેવાલ બહાર ન પડે ત્યાં સુધી, આ રહસ્યમય કૂવો આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. જોકે, નિષ્ણાતો કહે છે કે હાલ પૂરતું, તેને કોઈ ચમત્કાર, અલૌકિક ઘટના કે ભૂકંપ સાથે જોડવાને બદલે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવું જોઈએ. પ્રારંભિક તપાસ સ્પષ્ટપણે દર્શાવે છે કે તે કુદરતી ભૂગર્ભજળ રિચાર્જ અને જમીનની અંદર ફસાયેલી હવાના દબાણનું પરિણામ હોઈ શકે છે.

