શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By પારૂલ ચૌધરી|

પ્રાચીન ભારતની મહાન વિદ્યાપીઠ

(સાભારઃ હિન્દૂ સંસ્‍કૃતિ અંક, ગીતા પ્રેસ, ગોરખપુર)

પ્રાચીન ભારતમાં શિક્ષાના ત્રણ મહાકેન્દ્ર તક્ષશિલા, નાલન્દા અને વિક્રમશીલા વિશ્વ વિદ્યાલય હતાં, જેના ધ્વંષાવશેષો હજું સુધી જોવા મળે છે. આમાંથી પહેલી વિશ્વ વિદ્યાલય પંજાબમાં અને બીજી બે મગધ (બિહાર) માં હતી. આનું વિસ્તૃત વર્ણન આપણને ભારતના ઇતિહાસમાં જોવા મળે છે. વિદેશીઓએ પણ આની ખુલ્લા મને પ્રશંષા કરી છે.

* તક્ષશિલા વિશ્વવિદ્યાલય
* નાલન્દા વિશ્વવિદ્યાલય
* વિક્રમશીલા વિશ્વવિદ્યાલય

તક્ષશીલા વિશ્વવિદ્યાલય:-

ભારતની પ્રાચીન શિક્ષણ સંસ્થા પંજાબ પ્રદેશના રાવલપિંડી શહેરથી 18 મીલ દૂર તક્ષશીલા નામની નગરીમાં હતી. અહીંયાની સભ્યતા સંસારની સર્વોત્તમ અને જૂની સંસ્થાઓમાંની એક હતી. ચાણક્ય જેવા રાજનીતીજ્ઞ અને ભૃત્ય કૌમારજીવ જેવા શલ્ય ચિકિત્સક અહીંયા અધ્યાપક હતાં.

ઇતિહાસકારોનું કહેવું થાય છે કે ભરતના બે પુત્રો હતાં તક્ષ અને પુષ્કર. પુષ્કરે પુષ્કરાવર્ત અને તક્ષે તક્ષશિલા બનાવડાવી હતી.

ઇ.સ. પાંચસો વર્ષ પૂર્વથી લઇને છઠ્ઠી સદી સુધી તક્ષશીલા ખુબ જ ઉન્નતિશીલ રહી હતી. ત્યાર બાદ હૂણ આક્રમણકારીઓએ તેનો સર્વનાશ કરી દીધો હતો. પછી લગભગ અઢી હજાર વર્ષ બાદ વૈજ્ઞાનિકોના ઘણા પ્રયાસો બાદ ત્યાંનું ખોદકામ થયું. જેની અંદરથી તેઓને તે જમાનાની પુરાતન વસ્તુઓ મળી આવી હતી. તે ઉપરાંત બ્રાહ્મી અને ખરોષ્ટ્રી લિપિમાં લખેલા શિલાલેખ પણ મળી આવ્યાં હતાં.

નાલન્દા વિશ્વવિદ્યાલય:-

તક્ષશિલા બાદ નાલન્દા વિશ્વ વિદ્યાલયનું સ્થાન આવે છે. સાચે જ આ આખા સંસારની જ્ઞાનપીઠ હતી. આને તત્કાળ જગતને જ્ઞાન, વિજ્ઞાન, સાહિત્ય, કલા, શિલ્પ, સભ્યતા અને સંસ્કૃતિ વગેરેનું દાન આપ્યું હતું. નાલન્દામાં ભણ્યા વિના શિક્ષા અધુરી જ ગણાતી.

નાલન્દાની સ્થિતિ વિશે ઇતિહાસકારોના જુદા જુદા મત છે. પાલિ-સાહિત્યમાં નાલન્દા રાજગૃહથી આઠ મીલ દૂર બતાવી છે. એક ચીની યાત્રી ટ્વાંન-ધ્વાકેની કથાઅનુસાર નાલન્દા વર્તમાન બિહાર શરીફ શહેરના દક્ષિણ-પશ્ચિમ ખુણામાં એક આંબાનો બગીચો હતો. તે બગીચામાં નાલન્દા નામનો એક નાગરાજ રહેતો હતો.

એવું પણ કહેવામાં આવે છે કે ભગવાન બુધ્ધ પૂર્વ જન્મમાં ત્યાં બોધીસત્વ રૂપમાં જન્મ્યા હતાં. તે જગ્યાનું ખોદકામ કરવાથી એક નાગાર્જૂનની મૂર્તિ મળી હતી. જ્યાં પહેલા નાલન્દા વિદ્યાપીઠની સુંદર ઇમારતો હતી ત્યાં આજે એક બડગામ નામની એક બસ્તી છે. અહીંયાં ફક્ત પુસ્તકિયું જ્ઞાન જ આપવામાં નહોતું આવતું પરંતુ હસ્તકળાઓ પણ શીખવાડવામાં આવતી હતી.

અહીંયાં લગભગ દસ હજાર કરતાં પણ વધું શિષ્યો હતાં અને દોડ હજાર કરતાં પણ વધું અધ્યાપકો હતાં. નાલન્દા ફક્ત મગધનો જ જ્ઞાન-ભંડાર નહોતો પરંતુ આખા સંસારમાં જ્ઞાન-વિજ્ઞાનનો પથપ્રદર્શક હતો. પરંતુ થોડીક નિર્બળતાઓ અને મુસલમાનોના આક્રમણે નાલન્દાને માટીમાં ભેળવી દિધું હતું.

વિક્રમશીલા વિશ્વવિદ્યાલય:-

ભારતની ત્રીજી વિશ્વવિદ્યાલયના સ્થળને લઈને ઇતિહાસકારોમાં અલગ અલગ મત પ્રવર્તે છે. તિબટ્ટી બૌધ્ધ ગ્રંથોના અનુવાદ પછી તેના આધાર પર વર્તમાન ભાગલપુર જીલ્લાના સુલતાનગંજને વિક્રમશીલા નિશ્ચિત કરી હતી.

આ વિશ્વ વિદ્યાલયની ચારો તરફ તોરણો હતાં. દરેક પ્રવેશદ્વાર પર એક-એક પ્રવેશિકા પરીક્ષાગૃહ હતો. આ બધા જ દ્વારો પર એક એક મહાન વિદ્વાન હતાં. જે પણ વિદ્યાર્થી અહીંયાં ભણવા માટે આવતો હતો તેને પહેલા આ દ્વારસ્થ પંડિતોની પરિક્ષામાં પાસ થવું પડતું હતું.

આ વિદ્યાપીઠમાં 108 પંડિતો હતાં અને તેમાં આચાર્ય દિપંકર શ્રી જ્ઞાન હતાં. અહીંયાનાં મહાપંડિતોમાં ડોમ્બીયા, સ્મૃત્યાકર વગેરે સિદ્ધ‍િઓ હતી.

વર્ષ 1193 માં પાલવંશી રાજાઓનાં અધઃપતનની સાથે-સાથે આ વિશ્વવિદ્યાલય પણ હંમેશ માટે અંધકારની ગર્તામાં ‍જતી રહી હતી. વિજયમાં મદાંધ થયેલા મુસ્‍લીમોએ મહમ્મદ બીન અખ્તિયારની આગેવાની હેઠળ ગોવિન્દ પાલની હત્યા કરીને વિક્રમાશિલાને લૂંટી હતી. હજારો વિદ્યાર્થીઓ અને અધ્યાપકોની હત્યા કરી હતી. તેઓએ લગભગ બે વર્ષ જુનાં ધર્મ અને ભારતીય સભ્યતાનો એટલી હદે નાશ કર્યો કે તેનો પુનઃઉદ્ધાર થઇ શક્યો નહીં.