બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Updated :નવીન નેગી , શનિવાર, 11 જાન્યુઆરી 2020 (18:22 IST)

Rahul Dravid : અખબારના પહેલા પાને ફોટો છપાયો પણ દ્રવિડને એ ન ગમ્યું

રાહુલ દ્રવિડ જ્યાં સુધી ભારતીય ક્રિકેટ ટીમમાં રમતાં રહ્યા ત્યાં સુધી એક સંકટમોચનની ભૂમિકામાં રહ્યા. જબરજસ્ત ડિફેન્સને કારણે તેમને 'ધ વૉલ' પણ કહેવાય છે. જેન્ટલમૅન ગેમ કહેવાતી ક્રિકેટમાં રાહુલ એક પરફેક્ટ ઉદાહરણ સાબિત થયા. તેમને મેદાનમાં ક્યારેય કોઈની સાથે વિવાદમાં સપડાતાં જોયા નથી.
 
મેદાન જ નહીં બહાર પણ દ્રવિડએ પોતાની સાદગીને કારણે ઘણી વાર લોકોનાં દિલ જીતી લીધાં છે. દ્રવિડે વર્ષ 2012માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી હતી.
 
ઑક્ટોબર 2013માં કર્ણાટક સ્ટેટ ક્રિકેટ ઍસોસિયેશન (કેએસસીએ)ના ગ્રૂપ Iમાં ડિવિઝન IIનો મુકાબલો હતો. આ મૅચ બેંગલુરુ યુનાઇટેડ ક્રિકેટ ક્લબ (બીયુસીસી) અને ફ્રેન્ડ્સ યુનિયન ક્રિકેટ ક્લબ (એફયુસીસી) વચ્ચે હતી.
 
બાળપણમાં ક્લબ માટે બેટિંગ
 
દ્રવિડ બાળપણમાં બીયુસીસી ક્લબ તરફથા રમતા હતા. જે પણ ટીમ આ મૅચ જીતે એ ગ્રૂપમાં ટૉપ-2માં આવી જતી. એટલે દ્રવિડ માટે આ ક્લબ મૅચ ખાસ જરૂરી હતી.
 
બે દિવસીય મુકાબલમાં દ્રવિડે પહેલા દિવસે ફિલ્ડિંગ કરી. તેઓ પોતાની મનપસંદ જગ્યા સ્લિપ પર રહ્યા અને સૌથી સિનિયર ખેલાડી હોવાને કારણે પૂરી 82 ઓવર સુધી તેઓ ફિલ્ડ પર રહ્યા.
 
બેટિંગમાં દ્રવિડે શાનદાર સદી ફટકારીને સૌથી વધુ 113ની ઇનિંગ ખેલી. તેમની આ ઇનિંગની મદદથી તેમની ક્લબને ફાઇનલમાં જગ્યા બનાવવામાં મદદ મળી.
 
ઓમાનના સુલતાનનું નિધન, હવે બંધ કવર પર સૌની નજર
 
રાહુલ દ્વવિડે ભારતના પૅરાલમ્પિક સ્વીમર શરથ ગાયકવાડની એ સમયે મદદ કરી જ્યારે તેઓ સ્વિમિંગ છોડવાનું વિચારી રહ્યા હતા.
 
વર્ષ 2014માં કારકિર્દીમાં ઉતારચઢાવ આવતાં શરથે સ્વિમિંગ છોડવાનું નક્કી કરી લીધું હતું. ત્યારે દ્રવિડે તેમના મૅન્ટરની ભૂમિકા ભજવી હતી.
 
દ્રવિડે શરથને પોતાની કારકિર્દીનું ઉદાહરણ આપીને સમજાવ્યું કે કેવી રીતે મુશ્કેલ સમયનો સામનો કરી શકાય.
 
એક ઇન્ટરવ્યૂમાં શરથ જણાવે છે કે દ્રવિડે ક્યારેય તેમના પર કોઈ ચીજ થોપવાની કોશિશ નહોતી કરી. તેઓ દુનિયાના સર્વશ્રેષ્ઠ ઍથ્લીટોની કહાણીઓ સંભળાવતા.
 
દ્રવિડે શરથને તેમનો અનુભવ જણાવ્યો કે જ્યારે તેઓ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા અંગે વિચારી રહ્યા હતા. દ્રવિડને લાગતું હતું કે કદાય તેમની ફિટનેસ બરાબર રહી નથી. પરંતુ પછી કેવી રીતે તેઓએ ખુદને આ હાલતમાંથી ઉગાર્યા.
 
દ્રવિડની શીખને કારણે શરથે વર્ષ 2014ના એશિયન પેરા ગેમ્સમાં ભાગ લીધો અને છ ચંદ્રક મેળવવામાં સફળ નીવડ્યા. તેઓએ બહુસ્પર્ધી ટુર્નામેન્ટમાં સૌથી વધુ પદક જીતનારાં પીટી ઉષા (પાંચ પદક)નો ભારતીય રેકૉર્ડ પણ તોડી નાખ્યો.
 
ફોન પર પીટરસનને સલાહ આપી
 
ઇંગ્લૅન્ડના બૅટ્સમૅન કેવિન પીટરસન પોતાની આક્રમક બેટિંગ માટે દુનિયાભરમાં જાણીતા છે. પણ જ્યારે તેમનું ક્રિકેટ ફૉર્મ ડામાડોળ થવા લાગ્યું તો સલાહ મળી પોતાની રક્ષાત્મક બેટિંગ માટે જાણીતા રાહુલ દ્રવિડની.
 
2010માં ઇંગ્લૅન્ડની ટીમ બાંગ્લાદેશ પ્રવાસે હતી. પીટરસન પર રન બનાવવાનું દબાણ સતત વધી રહ્યું હતું, કેમ કે 2008થી તેઓએ કોઈ મોટી ઇંનિગ ખેલી નહોતી.
 
બાંગ્લાદેશ સામેની મૅચમાં મેદાનમાં ઊતરતા પહેલાં પીટરસને દ્રવિડ સાથે ફોન પર વાત કરી હતી. બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં પીટરસને દ્રવિડ સાથેની ટેલિફોનિક વાત વિશે જણાવ્યું હતું.
 
તેમણે કહ્યું હતું, ''મેં દ્રવિડ સાથે ફોન પર વાત કરી અને સ્પિનને સારી રીતે રમવાની ટિપ્સ મેળવી. દ્રવિડ સાથે હું આઈપીએલ પણ રમી ચૂક્યો છું. તેમજ ભારત સામે રમતાં પણ મેં તેમને નજીકથી જોયા છે કે તેઓ કેવી રીતે સ્પિન બૉલિંગનો સામનો કરે છે.''
 
પીટરસને આગળ જણાવ્યું, ''દ્રવિડે મને બહુ અગત્યની સલાહ આપી. તેઓએ મને જણાવ્યું કે મારો હાથ ક્યાં રહેવો જોઈએ, કયા સમયે મારે ફ્રન્ટ પર આગળ આવવું જોઈએ. મેં તેમની સલાહ માની અને સફળ રહ્યો.''
 
પીટરસને બાદમાં પોતાની ઑટોબાયોગ્રાફીમાં પણ દ્રવિડનો ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે દ્રવિડે ઇમેલના માધ્યમથી પણ તેમને ઘણી ટિપ્સ આપી હતી.
 
નાગરિકતા સંશોધન કાયદાને દેશભરમાં વિરોધ વચ્ચે લાગુ કરી દેવાયો
દ્રવિડે જણાવ્યો અસલી 'હીરો'નો અર્થ
 
ઈએસપીએન ક્રિકફન્ફોથી પ્રકાશિત 'રાહુલ દ્રવિડની ટાઇમલેસ સ્ટીલ' પુસ્તકમાં રાહુલ દ્રવિડનાં પત્ની વિજયેતાએ તેમના અનેક કિસ્સો વર્ણવ્યા છે.
 
વિજયેતાએ લખ્યું, 2004માં દ્રવિડને સૌરવ ગાંગુલી સાથે પદ્મશ્રી મળ્યો હતો. સન્માન મળવાના આગળના દિવસે અખબારમાં પહેલા પાને બંનેની તસવીર છપાઈ હતી. આ તસવીર જોઈને દ્રવિડે કહ્યું હતું કે પહેલા પાને આવો ફોટો છપાવો દુર્ભાગ્યપૂર્ણ છે.
 
દ્રવિડનું માનવું હતું કે 'હીરો' શબ્દનો ઉપયોગ બહુ જાણીજોઈને કરવો જોઈએ અને વાસ્તવિક હીરો તો આપણા સૈનિકો, વિજ્ઞાનિકો અને ડૉક્ટરો છે.
 
વિજયેતાએ તેમનાં લગ્ન અગાઉના કિસ્સાઓ પણ શૅર કર્યા હતા. તેમણે લખ્યું છે, લગ્ન પહેલાં એક વાર રાહુલ દ્રવિડ નાગપુરમાં તેમના ઘરે ખાવા માટે આવ્યા હતા.
 
ત્યારે એવું લાગ્યું નહોતુ કે તેઓ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર છે, કેમ કે તેઓ તેમના વિશે કશું બોલતાં નહોતા, તેઓ ક્રિકેટ કરતાં મારી મેડિકલના અભ્યાસ અને મારી ઇન્ટર્નશિપ અંગે જાણવા માગતા હતા. તેઓ અન્ય લોકો અને અન્યનાં કામને વધુ ગંભીરતાથી લેનારી વ્યક્તિ છે. જાતને નહીં.