1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ભાજપનુ રાષ્ટ્રીય અધિવેશન
Written By
Last Modified: ગુરુવાર, 21 જુલાઈ 2022 (08:37 IST)

આગામી ચાર દિવસ ગુજરાતના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, અહીં રેડ એલર્ટ જાહેર

rain in rajkot
આગામી ચાર દિવસ ગુજરાતના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, અહીં રેડ એલર્ટ જાહેર
 
આપત્તિ વ્યવસ્થાપન મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ SEOC, ગાંધીનગર ખાતે મીડિયાને સંબોધતા કહ્યું હતું કે, રાજ્યમાં અનેક વિસ્તારોમાં હાલ ધીમી ધારે વરસાદ થઇ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સમયમાં ભારે વરસાદ પડવાની સંભાવના ધરાવતા જિલ્લા પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના અનુસાર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ માટે મુખ્યમંત્રીશ્રી દ્વારા સંબંધિત કલેક્ટરો અને વહીવટી તંત્રને સજ્જ રહેવા જણાવાયું છે.
 
રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ કહ્યું હતું કે, આગામી તા.૨૨ અને ૨૩ જુલાઈ દરમિયાન સુરત, નવસારી, ડાંગ, વલસાડ અને તાપીમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે તા. ૨૩ અને ૨૪ જુલાઈ દરમિયાન કચ્છ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં તથા તા.૨૪-૨૫ જુલાઈના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ થવાની સંભાવનાને કારણે રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ સંભવિત પરિસ્થિતિમાં નાગરિકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેમજ ઉદભવનારી તમામ પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ છે તેમ તેમણે ઉમેર્યું હતું.
 
રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ ઉકાઈ ડેમની વિગતો આપતા કહ્યું હતું કે, ઉપરવાસમાં પડેલા વધુ વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા ડેમમાંથી તબક્કાવાર બે લાખ કયુસેક જેટલું પાણી છોડાઈ રહ્યું છે પરંતુ આ પરિસ્થિતિમાં સુરતવાસીઓએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં હાલ કુલ ૫૬ ટકા જળરાશીનો સંગ્રહ થયો છે જે સૌ ગુજરાતીઓ માટે આનંદની વાત છે. સૌરાષ્ટ્રમાં ખોડિયાર, હિરણ અને આંબાજળ ડેમ હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યા છે.
 
રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ કહ્યું હતું કે, રાજ્યના વિવિધ વિસ્તારોમાં વધુ વરસાદના કારણે આશ્રય સ્થાનોમાં આશરો લઇ રહેલા તમામ નાગરીકો હાલની સ્થિતિએ સલામત રીતે પોતાના સ્વગૃહે પરત ફર્યા છે. રાજ્યમાં ૭૪,૨૩૨ નાગરિકોને કેશડોલ્સ ચુકવવામાં આવી છે, જ્યારે સર્વેની કામગીરી પૂર્ણતાને આરે છે. અત્યાર સુધીમાં NDRF, SDRF અને વહીવટી તંત્રના સહયોગથી ૧૫૬૬ નાગરિકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સ્થાપેલી ઉત્તમ વીજળી વ્યવસ્થાના પરિણામે વરસાદની સ્થિતિમાં પણ તમામ ગામોમાં વીજ પુરવઠો ચાલુ છે.
 
તેમણે કહ્યું હતું કે, હાલ કચ્છ, ડાંગ, વલસાડ અને પંચમહાલમાં ૧-૧ નેશનલ હાઈવે પર અગવડના કારણે વાહન વ્યવહારની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યમાં કુલ ૧૪,૬૪૧ પૈકી માત્ર ૫૫ નાના રૂટ પર બસ વ્યવહાર બંધ છે.