શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: બુધવાર, 25 માર્ચ 2020 (15:07 IST)

રાજ્યમાં આજે વધુ ત્રણ પોઝિટિવ કેસ: કુલ ૩૮ કેસ નોંધાયા, ૨૦,૬૮૮ દર્દીઓ ૧૪ દિવસના કોરેન્ટાઈન હેઠળ: ૧૪૭ વ્યક્તિઓ સામે FIR નોંધાઇ

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ જયંતિ રવિએ જણાવ્યું છે કે કોરોના વાયરસને આગળ વધતો તેમજ તેનું સંક્રમણ અટકાવવા માટે રાજ્ય સરકારે સર્વેલન્સ  અને ટ્રેકિંગને  વધુ સઘન બનાવ્યું  છે. આજ સુધીમાં રાજ્યમાં ૧,૦૭,૬૨,૦૧૨ નાગરિકોનું સર્વેલન્સ-ટ્રેકિંગ પૂર્ણ કરાયું છે. આજે સવારે કોરોના વાયરસ સંદર્ભે રાજ્ય સરકારે કરેલ કામગીરીની વિગતો મીડિયાને આપતા ડૉ. રવિએ ઉમેર્યું કે આજે રાજ્યમાં વધુ ત્રણ નવા કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે આ સાથે કુલ ૩૮ પોઝિટિવ કેસ નોંધાયા છે આજે જે ત્રણ કેસ નોંધાયા છે તેમાં એક અમદાવાદમાં જે દુબઈની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે અને એક- એક વડોદરા અને સુરતમાં છે જે સ્થાનિક ટ્રાન્સમિશનના કારણે નોંધાયો છે. આજદિન સુધી અમદાવાદમાં ૧૪, સુરતમાં ૦૭, રાજકોટમાં ૦૩, વડોદરામાં ૦૭, ગાંધીનગરમાં ૦૬ અને કચ્છમાં ૦૧ કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો છે.
 
જયંતિ રવિએ ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા સર્વેલન્સની કામગીરીને વધુ સઘન બનાવાઈ છે. સર્વેલન્સ દરમિયાન ૫૦ વ્યક્તિઓમાં રોગની અસર જણાતા વધુ તપાસ કરવામાં આવી છે. રાજ્યમાં ૨૦,૬૮૮ નાગરિકો ૧૪ દિવસના કોરેન્ટાઈન હેઠળ છે જેમાં ૪૩૦ વ્યક્તિઓ સરકારી હોસ્પિટલમાં, ૨૦,૨૨૦ હોમ કોરેન્ટાઈન અને ૩૮ ખાનગી કોરેન્ટાઈન હેઠળ છે. જે લોકોએ કોરેન્ટાઈનનો ભંગ કર્યો છે તેવા ૧૪૭ વ્યક્તિઓ સામે એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. રાજ્યમાં ૧૦૪ હેલ્પલાઇન પણ કાર્યરત છે જેમાં અત્યાર સુધીમાં ૧૫ હજારથી વધુ કોલ આવ્યા છે. જેમને માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવી રહ્યું છે જે પૈકી ૨૫૮ વ્યક્તિઓને સારવાર પુરી પડાઇ છે.
 
જયંતિ રવિએ ઉમેર્યું હતું કે રાજ્યના ૪ મહાનગરોમાં કોરોના વાયરસ વાળા દર્દીઓની સારવાર માટે ખાસ હોસ્પિટલ કાર્યરત કરાઇ છે જેમાં અમદાવાદમાં ૧૨૦૦ બેડ, સુરતમાં ૫૦૦ બેડ, વડોદરા અને રાજકોટમાં ૨૫૦-૨૫૦ બેડની સુવિધા ઉપલબ્ધ છે. સાથે સાથે રાજ્યમાં ૧૫૮૩  આઇસોલેશન બેડ સરકારી હોસ્પિટલમાં અને ૬૩૫ બેડની વ્યવસ્થા ખાનગી હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે. અને વધુ બેડ ઉભા કરવાની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાઈ છે. ગંભીર દર્દીઓને સારવાર માટે તમામ વિભાગોમાં થઈને સરકારી હોસ્પિટલ ખાતે ૬૦૯ વેન્ટિલેટર અને ખાનગી સંસ્થાઓમાં અંદાજે ૧૫૦૦ જેટલા વેન્ટિલેટર ઉપલબ્ધ છે.
 
તેમણે ઉમેર્યું કે રાજ્યની અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર તથા જામનગર ખાતેની મેડિકલ કોલેજોમાં કોવિદ-૧૯ અંતર્ગત લેબોરેટરી ટેસ્ટ માટે ટેસ્ટીંગની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. કોરોના વાયરસ રોગનો ફેલાવો અટકે તે માટે સોશિયલ ડિસ્ટન્સિંગ અત્યંત અનિવાર્ય છે ત્યારે નાગરિકો પણ તેની ખાસ તકેદારી રાખે એ માટે રાજ્ય સરકાર દ્વારા અપીલ પણ કરાઈ છે.