મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By
Last Updated : બુધવાર, 14 સપ્ટેમ્બર 2022 (16:09 IST)

Gujarat election Ghatlodia Seat - કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મત વિસ્તાર ઘાટલોડિયામાં કેજરીવાલનો પગપેસારો

kejriwal
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે બરાબરનો જંગ જામવાનો છે. ત્યારે વાત કરીએ ગૃહમંત્રી અમિત શાહનો સંસદિય મત વિસ્તાર તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઘાટલોડિયા બેઠકની. આ બેઠક પર 2017માં ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસના શશિકાંત પટેલને હરાવ્યા હતાં. આ બેઠક અસ્તિત્વમાં આવી ત્યારથી અત્યાર સુધીમાં બે વિધાનસભાની ચૂંટણીઓ યોજાઇ છે. જેમાં 2012માં તે સમયના ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને આજના વડાપ્રધાનના વિશ્વાસુ એવા આનંદીબેન પટેલ ભાજપ પક્ષ તરફથી ઉમેદવાર તરીકે ઊભા રહ્યા હતા. જેમનો કોંગ્રેસના ઉમેદવાર રમેશ પટેલ સામે 1,10,395 વોટથી ભવ્ય વિજય થયો હતો. ત્યારબાદ 2017ની ચૂંટણીમાં ભુપેન્દ્ર પટેલ કોંગ્રેસના શશીકાંત પટેલને પણ 1.15 લાખ કરતા વધુ મતોથી જીતીને કોંગ્રેસને કારમો પરાજય આપ્યો હતો. એટલે કે જ્યારથી આ બેઠક બની છે, તે ભાજપના કબ્જામાં છે.

2012ની ચૂંટણીમાં ભાજપનું વોટ શેરિંગ 74.61 ટકા રહ્યું હતું. જે 2017માં ઘટીને 72.5 ટકા નોંધાયું હતું. આ ઉપરાંત, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ આ વિસ્તારમાં પલડુ ભાજપના પક્ષે જ ભારે રહ્યું છે.ઘાટલોડિયા બેઠક પર પાટીદારો અને રબારીઓ બંનેનું પ્રભુત્વ છે. પરંતુ હવે કેજરીવાલે ઘાટલોડિયામાં જ રિક્ષાચાલકના ઘરે ભોજન લઈને ભાજપને ચોંકાવી દીધો છે. કેજરીવાલે અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલના મત વિસ્તારમાં જ પ્રચારની શરૂઆત કરી છે. લોકોની ભીડ જોઈને કેજરીવાલને આ વિસ્તારમાં કેટલો ફાયદો થાય છે. તે આવનારો સમય જ બતાવશે.ઘાટલોડિયા બેઠક પર અત્યાર સુધીમાં બે વિધાનસભાની ચૂંટણી યોજાઈ ચૂકી છે. બંને વખત ભાજપનો વિજય થયો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ બેઠક પરથી પહેલીવાર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા.

ભુપેન્દ્ર પટેલ પોતે પાટીદાર સમાજમાંથી આવે છે. 1982માં સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમાનો અભ્યાસ કરી ચૂકેલા ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયા બેઠક પરથી નગરપાલિકામાંથી ચૂંટણી લડવાની શરૂઆત કરી હતી.જે બાદ તેઓ પાલિકાના ચેરમેન બન્યા હતા. ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ ચૂંટણીમાં તેઓ કાઉન્સિલર તરીકે ચૂંટણી લડ્યા હતા. કાઉન્સિલર તરીકે તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્કૂલ બોર્ડના ચેરમેન અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કામ કર્યું હતું. તેઓ પહેલીવાર 2017માં વિધાનસભા ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા.2021માં જ્યારે વિજય રૂપાણીને મુખ્યમંત્રી પદેથી હટાવી દેવામાં આવ્યા ત્યારે અચાનક ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. ભૂપેન્દ્ર પટેલને ગુજરાતમાં દાદા તરીકે પણ ઓળખવામાં આવે છે. ભૂપેન્દ્ર પટેલ દાદા ભગવાનના અનુયાયી છે.2012ની ચૂંટણીમાં આનંદીબેન પટેલની સામે કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડેલા રમેશભાઈ પટેલને માત્ર 44 હજાર મત મળ્યા હતા. જ્યારે આનંદીબેન પટેલને 1 લાખ 54 હજાર મત મળ્યા હતા. તે જ સમયે, 2017 ઘાટલોડિયા બેઠક પર, પાટીદાર આંદોલન છતાં, કોંગ્રેસના શશિકાંત પટેલને અહીં 57902 મત મળ્યા હતા. જ્યારે ભૂપેન્દ્ર પટેલને 1 લાખ 75 હજાર મત મળ્યા હતા.