1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 2 જાન્યુઆરી 2020 (11:40 IST)

રાજ્ય સરકારના નવ લાખથી વધુ અધિકારી/કર્મચારી-પેન્શનરોને ૫ % મોંઘવારી ભથ્થાનો લાભ અપાશે

રાજ્ય સરકારના નવ લાખથી વધુ અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનરોને તા.૦૧.૦૭.૨૦૧૯ થી ૫ % મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ મોંઘવારી ભથ્થુ જાન્યુઆરી-૨૦૨૦ ના પગાર સાથે ચુકવવામાં આવશે, જેનાથી રાજ્ય સરકાર ઉપર વાર્ષિક રૂ.૧૮૨૧ કરોડનું વધારાનું ભારણ પડશે. જુલાઇ-૨૦૧૯ થી ડીસેમ્બર-૨૦૧૯ સુધીના છ માસના મોંધવારી ભથ્થાના તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચુકવવામાં આવશે જેનો નિર્ણય હવે પછીથી કરવામાં આવશે.
 
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલ આ નિર્ણય મુજબ રાજ્ય સરકારના ૨,૦૬,૪૪૭, પંચાયત વિભાગના ૨,૨૫,૦૮૩, અન્ય કર્મચારીઓ ૭૯,૫૯૯ અને ૪,૫૦,૫૦૯ પેન્શનરો મળી, અંદાજીત કુલ ૯,૬૧,૬૩૮ અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનરોને રાજ્ય સરકારે સાતમાં નાણા પંચના લાભો મંજૂર કરેલ છે, જે મુજબ હાલમાં પગાર તથા પેન્શન ચુકવવામાં આવે છે.
 
તેમણે કહ્યું કે, રાજ્ય સરકારના, પંચાયતના તથા અન્ય ગ્રાન્ટેબલ સંસ્થાઓના અધિકારીઓ તથા કર્મચારીઓને સાતમાં પગાર પંચનો લાભ આપવામાં આવી રહ્યાં છે. ભારત સરકાર દ્વારા તા.૦૧.૦૭.૨૦૧૯ થી ૫ % મોંઘવારી ભથ્થુ મંજૂર કર્યું છે. રાજ્ય સરકારના અધિકારીઓ તથા કર્મચારીઓને તેમના પગાર ઉપરાંત અત્યારે ૧૨ % મોંઘવારી ભથ્થુ ચુકવવામાં આવી રહ્યું છે. 
 
ભારત સરકારે પણ તા.૦૧.૦૭.૨૦૧૯ થી વધુ ૫ % મોંઘવારી ભથ્થુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે જાહેર કર્યું છે જે સંદર્ભે રાજ્ય સરકારના અધિકારીઓ તથા કર્મચારીઓને પણ કેન્દ્રના ધોરણે વધુ ૫ % મોંઘવારી ભથ્થુ ચુકવવાનો નિર્ણય કર્યો છે અને જાન્યુઆરી-૨૦૨૦ ના પગારની ચુકવણી સાથે આ ૫ % મોંઘવારી ભથ્થાનો વધારો ચુકવવામાં આવશે. આ નિર્ણયના કારણે રાજ્ય સરકાર ઉપર વાર્ષિક અંદાજે રૂ.૧૮૨૧ કરોડ જેટલુ ભારણ વધશે.